આઉટવર્ડ નંબર વિનાની નોટિસ આપીને દુકાનદારોને ખંખેરતા અમ્યુકોના અધિકારીઓ
મુખ્યમંત્રીએ પગલાં લેવાની સૂચના આપી છતાં અધિકારીઓ સુસ્ત
આઉટવર્ડ નંબર વિનાની નોટિસ આપીને દુકાનદારોને ખંખેરતા અમ્યુકોના અધિકારીઓ
અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં ફેરિયાઓના દબાણ હટાવાતા નથી, દુકાનદારોને નાના નાની વાતમાં દંડવામાં કસર છોડતા નથી
અમદાવાદઃ છેલ્લા ઘણાં વરસોથી ત્રણ દરવાજા વિસ્તારમાં બેસતા ફેરિયાઓ દુકાનદારોની એન્ટ્રીમાં બેસી જઈને તેમના વેપાર પર બ્રેક લગાવી રહ્યા હોવાની ફરિયાદ સતત કરવામાં આવતી હોવા છતાં અને મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઘટતું કરવાની સૂચના અમ્યુકોના અધિકારીઓને આપી દીધી હોવા છતાંય ફેરિયાઓને હટાવવાના કોઈ જ પગલાં લેવાતા નથી. બીજીતરફ દુકાનદારોની થોડીક વસ્તુઓ દુકાનની બહાર ડિસ્પ્લે કરવા માટે લટકાવવામાં આવે તો પણ તેમને દંડવામાં આવી રહ્યા હોવાની દુકાનદારોની ફરિયાદ બુલંદ બની રહી છે. ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ અંગે ફરીથી રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને ત્રણ દરવાજા વિસ્તારમાં ફેરિયાઓએ કરેલા દબાણને પરિણામે તેમનો વેપાર તૂટી રહ્યો હોવાની ફરિયાદ દુકાનદારોએ કરી હતી. આ સંદર્ભમાં ઘટતું કરવાની જાણ કરતો પત્ર મુખ્યમંત્રી તરફથી મોકલવામાં આવેલો છે. તેના અનુસંધાનમાં કારંજ પોલીસ સ્ટેશને શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરાજ ડોડવાણી અને હોદ્દેદારોને બોલાવીને તેમના સ્ટેટમેન્ટ લઈ લીધા છે. દુકાનદારોના પ્રતિનિધિઓનું સ્ટેટમેન્ટ લીધા બાદ પણ પગલાં લેવામાં આવતા નથી. પરંતુ ત્યારબાદ કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફેરિયાઓ સામે પગલાં ન લેતા અમ્યુકોના અધિકારીઓએ દુકાનદારોને રોજ રોજ પાંચ દસ પાંચદસ નોટિસ આપતા રહે છે.
બીજીતરફ અમ્યુકોના અધિકારીો દુકાનદારોને ઓઉટવર્ડ નંબર વિનાની માત્ર તારીખ નાખીને તથા દુકાનનું નામ લખીને નોટિસો પાઠવીને તેમને રીતસરના ખંખીરી રહ્યા હોવાની પણ વેપારી આલમની લાગણી હોવાનું જાણવા મળી રહ્યું છુ. દરેક વેપારીઓને આઉટવર્ડ નંબર વિના એક સરખી જ નોટિસ આપીને તેમની પાસેૈથી પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાની પણ ફરિયાદ થઈ રહી છે.
દુકાનદારોને તેમના વાહન ગમે ત્યાં પાર્ક કરવા બદલ, દુકાનનો માલ જાહેર રસ્તા પર મૂકવા બદલ અને તેના થકી ટ્રાફિકમાં અવરોધ ઊભો થઈ રહ્યો હોવાનું જણાવીને તેમને દંડવામાં આવી રહ્યા છે. તેમણે રસ્તા પર મૂકેલા માલને કારણે અવરજવર કરનારાઓને તકલીફ થઈરહી હોવાનું ભાર પૂર્વક જણાવવામાં આવ્યું છે. તેથી દુકાનની બહાર કોઈ જ માલ ન મૂકવો તેવી નોટિસ પણ ડિપાર્ટમેન્ટને આપી દેવામાં આવી છે.
