• 15 April, 2026 - 3:46 PM

રાંધણગેસનો સપ્લાય ખોરવાય તો ભારતની શું હાલત થાય? વિકલ્પો પણ મોજૂદ છે

ઇઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઇરાન પર કરેલા આક્રમણને પરિણામે ભારતને મળતા ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો સપ્લાય ખોરવાઈ રહ્યો છે. રાંધણગેસનો સપ્લાય મંદ પડીને બંધ થાય કે અત્યંત ઘટી જાય તો ઘર ઘરના રસોડાની કેવી હાલત થઈ જાય તે સહજ કલ્પી શકાય તેવી વાત છે.

છતાંય એ પણ હકીકત છે કે ભારતમાં એલપીજી એટલે કે રાંધણ ગેસ હવે માત્ર એક ઇંધણ નથી, પરંતુ લાખો ઘરો માટે આવશ્યક સુવિધા બની ગયું છે. છેલ્લા દાયકામાં સરકારે યોજનાઓના માધ્યમથી રાંધણગેસનો ઉપયોગ ખૂબ વધારી દીધો છે. તેને કારણે આજના સમયમાં મોટાભાગના ઘરો તેમાં નિર્ભર બની ગયા છે.

રાંધણગેસ પરની ભારતની નિર્ભરતા

ભારત દુનિયાના સૌથી મોટા રાંધણગેસના વપરાશકર્તા દેશોમાંનો એક દેશ છે. ભારતની રાંધણગેસની કુલ માંગમાંથી લગભગ 60 ટકા રાંધણગેસની જરૂરિયાત આયાત કરીને પૂરી કરવામાં આવી રહી છે. આ આયાત ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાંથી જ કરવામાં આવી રહી છે. તેના પરથી થાય છે કે રાંધણગેસના સપ્લાયમાં કોઈ વૈશ્વિક વિક્ષેપ થાય તો ભારત પર બહુ જ મોટી સીધી અસર થાય છે.

રાંધણગેસના સપ્લાયની વર્તમાન સ્થિતિ

ઈરાન યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે રાંધણગેસના સપ્લાયમાં ભારે અવરોધ આવ્યો છે. રાંધણગેસના શિપમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે. ભારતમાં ગેસ સિલિન્ડરની અછત વરતાઈ રહી છે. રાંધણગેસના ભાવમાં ઘર ઘરના રસોડા સુધી સપ્લાય આપતી કંપનીઓએ ભાવમાં વધારો કરી દીધો છે. ગામડાંના ઘણા વિસ્તારોમાં લોકોએ ફરીથી લાકડું, કોલસા અથવા છાણાંથી ચાલતા ચુલ્હા પર રસોઈ કરવા મજબૂર થયા છે.

રાંધણગેસના વિકલ્પો શું છે

આજની તારીખે ભારત રાંધણગેસ વિના રહી શકે તેવી સ્થિતિમાં જ નથી.

શહેરી વિસ્તારોમાં PNG સૌથી મજબૂત વિકલ્પ બની રહ્યો છે. સરકારે પીએનજીના જોડાણો પંદર દિવસમાં જ આપી દેવાની સૂચના જારી કરી છે. આ સૂચનાને આધીન રહીને નવા જોડાણો આપવાના ચાલુ કરી દેવામાં આવ્યા છે. તેમાં ડિપોઝિટ લેવાની ના પાડી છે. તેથી લોકો તેને માટે ઝડપથી અરજી કરતાં થઈ ગયા છે. અરજીના ધસારાને પહોંચી વળવા માટે કંપનીઓ પ્રયાસ કરી રહી છે. પીએનજીના જોડાણ વધવાથી ઘર ઘરના રસોડામાં કોઈપણ જાતના અવરોધ વિના ગેસનો સતત સપ્લાય ચાલુ રહે તેમ છે. તેમાં રાંધણગેસના બાટલાં કરતાં ઓછું જોખમ ઊભું થાય છે. યુદ્ધ જેવી સ્થિતિમાં પણ તેના સપ્લાય પર અસર ઓછી પડી શકે છે.

બીજીતરફ અડધા લિટર પાણીમાંથી હાઈડ્રોનજ છૂટો પાડીને ચલાવી શકાય તેવા સસ્તા ચૂલ્હાના વિડીયો પણ સોશિયલ મિડીયા પર ફરતાં થઈ ગયા છે. આ ખરેખર વ્યવસ્થિત વિકલ્પ હોય તો સરકારે જ ખુદ તેની તપાસ કરીને જાહેરાત કરવી જોઈએ. સરકાર તપાસ કરીને જાહેર કરશે તો જ લોકો તે લેવા દોડી જઈને છેતરાતા અટકી શકશે.

આ સિવાયનો અન્ય વિકલ્પ ઇન્ડક્શન એટલે કે ઇલેક્ટ્રિકથી ચાલતા કૂકિંગ સ્ટવનો છે. આ સ્ટવ વાપરવાથી વીજળીનો વપરાશ વધી શકે છે. તેમાંય સોલાર પાવરથી પેદા થતી વીજળીનો વપરાથ થવાને બદલે કોલસા અને લિગ્નાઈટથી પેદા કરવામાં આવતી વીજળીનો ઉપયોગ કરીને સ્ટવ ચલાવવામાં આવે તો પોલ્યુશન ખાસ્સુ વધી જવાની દહેશત છે. કાર્બન ઉત્સર્જનને 2070 સુધીમાં શૂન્યની સપાટીએ લાવી દેવાના વિશ્વસ્તરે ભારતે આપેલા કમિટમેન્ટ ખોટા સાબિત થઈ શકે છે. અત્યારે રાંધણગેસ ન મળતો હોવાથી ઇન્ડક્શનની ડિમાન્ડ વધી રહી છે.

બીજીતરફ બાયોમાસનો રસોઈ બનાવવા માટેના ઇંધણ તરીકેનો ઉપયોગ વધવા માંડ્યો છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે ગોબર ગેસ પ્લાન્ટ માટેની સબસિડી વધુ વ્યવસ્થિત કરીને સહકારી મંડળીઓને ગોબર ગેસ પ્લાન્ટ નાખવાની દિશામાં સક્રિય કરીને વિદેશી ગેસ પરની નિર્ભરતા ઘટાડી શકે છે. બનાસ ડેરી સાથેના સહયોગમાં ગુજરાતમાં 100 જેટલા ગોબર ગેસ પ્લાન્ટ નાખવા માટે આ અગાઉ જ મારુતિ મોટર ઇન્ડસ્ટ્રીઝનું મેનેમેન્ટ તૈયાર થઈ ચૂક્યું છે. તેનાથી પ્રદુષણ સીમિત થશે. પરંતુ ખેતરનો કચરો કે લાકડાંનો ચૂલો સળગાવીને રસોઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે તો તેને પરિણામે પ્રદુષણ ભયંકર વધી જવાની સંભાવના રહેલી છે. આ જ રીતે સોલારથી પેદા થતી વીજળીનો ઉપયોગ રાંધણગેસના ચૂલા પ્રગટાવવા માટે કરવામાં આવશે તો તે પણ ઇકોફ્રેન્ડલી બની શકશે.

ગોબર ગેસ પ્લાન્ટ નાખવા એ સૌથી સરળ અને સારો વિકલ્પ છે કારણ કે તેનાથી પર્યાવરણ પર વિપરીત અસર પડતી નથી. અત્યારે રાંધણગેસ માટેની નિર્ભરતા આયાતી ગેસ પર છે તે ઘટાડી શકાશે. સરકાર દેશના ગામેગામ ગોબર ગેસ પ્લાન્ટની યોજનાને વધુ સંગીન રીતે આગળ વધારી શકે છે. તેનાથી એક સાથે બે હેતુ પાર પડશે. એક રાંધણગેસ મળશે. બીજું, પ્રાકૃતિક ખેતી માટે ગોબરનો વપરાશ થાય તે પૂર્વે તેમાંથી ગેસ અલગ તારવી શકાશે. ત્રીજું, ગોબર ગેસ કાઢી લીધા પછી બચતી પ્યૂરીનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી માટેના ખાતર કે જમીનને ફળદ્રુપ બનાવતા પ્રવાહી તરીકે ઉપયોગ કરી શકાશે. અત્યારે ભારત રાંધણગેસની આયાત પર વધુ નિર્ભર હોવાથી અને ઇરાને હોર્મુઝની ખાડીમાંથી જહાજોને પસાર થવા દેવાની મનાઈ ફરમાવી હોવાથી રાંધણગેસની અછત વરતાવાની શરૂઆત થઈ ચૂકી છે. ગરીબ વર્ગને તેના વધનારા ભાવના ખર્ચને પહોંચી વળવાને સક્ષમ નથી. તેથી માત્ર આયાતી રાંધણગેસ પર મદાર રાખવો ઉચિત નથી. સ્થાનિક સ્તરે ગોબર ગેસના પ્લાન્ટના માધ્યમથી ગામેગામ કુદરતી ગેસનું ઉત્પાદન વધારી શકાય છે. તેનાથી એનર્જી ડાયવર્સિફિકેશન પણ આવી શકશે.

ટૂંકમાં રાંધણગેસ વિના ભારતને ચાલે તેમ જ નથી. શહેરી જનતાની સમસ્યા વધુ ઝડપથી વકરી શકે છે. આ સંજોગોમાં ગામેગામ રાંધણગેસનું ઉત્પાદન વધે તેવું આયોજન કરી શકે છે. લાંબા ગાળે તે ભયંકર લાભ કરાવનાર સાબિત થઈ શકે છે. આ કુદરતી ગેસમાંથી હાઈડ્રોજન છૂટો પાડીને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન પણ કરી શકાય છે. ગ્રીન હાઈડ્રોજન પેદા કરવાની પ્રક્રિયા દરમિયાન તેમાંથી બ્લેક પાઉડર આડપેદાશ તરીકે નિકળે છે. આ પાઉડરને કોમ્પ્યુટરના પ્રીન્ટરમાં પાઉડર ઇન્ક તરીકે ઉપયોગમા લઈ શકાય છે.

 

Read Previous

આજે શેરબજારમાં 24 કંપનીઓના શેર્સમાં નવા જૂની જોવા મળી શકે

Read Next

ટ્રમ્પ હોર્મુઝ જળમાર્ગ પર નાકાબંધી કેમ કરવા માંગે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular