સોશિયલ મિડીયા પરની GST અંગેની ખોટી માહિતીથી વેપારીઓ ન દોરાયઃCBIC
સરકારી નોટિફિકેશન અને પરિપત્રમાં આપવામાં આવેલી માહિતીને આધારે જ નિર્ણય ન લેનારા વેપારીઓ મુસીબતમાં મૂકાઈ જશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સ્લેબમાં અને દરમાં ઘટાડો કર્યા પછી વેપારીઓે જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં જવા માટે વધારાના લાભ મળશે તેવા બોગસ અને અનધિકૃત સમાચારો સોશિયલ મિડીયોમાં વહેતા કરવામાં આવ્યા હોવાની ચેતવણી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે ભારતભરના ટ્રેડર્સને આપી છે. બાવીસમી સપ્ટેમ્બરથી આ લાભ દરેક ટ્રેડરને આપવામાં આવશે તે પ્રકારના સોશિયલ મિડીયા પર વહેતા મૂકવામાં આવેલા આ અહેવાલો બોગસ અને અનધિકૃત હોવાનું જણાવવામાં આવ્યું છે.
ટ્રેડર્સને આપવામાં આવનારા લાભમાં વણવપરાયેલી સેસની ક્રેડિટનો, જીએસટી માફની કેટેગરીમાં આવતા ગુડ્સ પરની ઇનપુટ ટેક્સ ક્રેડિને લગતા તથા નવા ભાવ એડજસ્ટ કરવાની જોગવાઈના અનુસંધાનમાં વિશેષ લાભ આપવામાં આવશે.
સાતમી સપ્ટેમ્બરે ઇશ્યૂ કરવામાં આવેલી ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મિડીયા પર વાઈરલ કરવામાં આવેલા મેસેજ હકીકતની દ્રષ્ટિએ ખોટા અને ગેરમાર્ગે દોરે તેવા છે. પરિણામે તેના પર મદાર ન બાંધવો જોઈએ. માત્ર ને માત્ર સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવનારા નોટિફિકેશન, પરિપત્રોમાં આપવામાં આવેલી માહિતીને જ સ્વીકારવા જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા નવા ફેરફારોના અનુસંધાનમાં આપવામાં આવતા ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન-એફએક્યુમાં આપવામાં આવતી માહિતીને જ સ્વીકારીને આગળ વધવા વેપારીઓ અને કંપનીઓને જણાવવામાં આવ્યું છે. તેમાંય સરકારી વેબસાઈડ અને સરકારી સત્તાવાર ચેનલ પર આપવામાં આવેલી માહિતીને આધારે જ નિર્ણય લેવા જણાવવામાં આવ્યું છે.
જીએસટીમાં કરવામાં આવેલા તમામ ફેરફારોને લગતી સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઈટ અને ચેનલોના માધ્યમથી આપવામાં આવશે. ત્રીજી સપ્ટેમ્બરે મળેલી જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં જીએસટીના ચારમાંથી બે સ્લેબ કરી દેવામાં આવ્યા છે. તેમ જ 12 અને 28 ટકાના જીએસટીના સ્લેબ કાઢી નાખવામાં આવ્યા છે. હવે માત્ર 5 અને 18 ટકાના સ્લેબ રાખવામાં આવ્યા છે. તેમ જ 40 ટકાના સ્લેબમાં અલ્ટ્રા લક્ઝરીની કેટેગરીમાં આવતી ગણતરીની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં આરોગ્યને હાનિ કરતાં પ્રોડક્ટ્સ, મદિરા અને અલ્ટ્રા લક્ઝરી કાર જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુધારાઓ બાવીસમી સપ્ટેમ્બર 2025થી લાગુ કરવામાં આવશે. તેમાં જીએસટીના નિયમોનું પાલન કરવાનું સરળ બનાવી દેવામાં આવ્યું છે. તેમ જ જીએસટીના વહીવટને સરળ બનાવી દેવામાં આવ્યું છે. તેને પરિણામે ગ્રાહકો વધુ ચીજવસ્તુઓ ખરીદી શકે તેટલા સસ્તાં થવાની ગણતરી મૂકવામાં આવી છે. સસ્તી થયેલી ચીજવસ્તુઓ ગ્રાહકોને કાયદેસરના દામે ન આપનારા વેપારીઓ અંગેની ફરિયાદ પણ સીધી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વેપારીઓ સામે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સીધા પગલાં લેશે.