• 4 February, 2026 - 10:48 AM

FTA શું છે? એફટીએથી કોને લાભ થશે, કોને નુકસાન થશે

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલ Free Trade Agreement અંતર્ગત બંને પક્ષોએ ટેરિફ ઘટાડવા કે દૂર કરવા સહમતી દર્શાવી છે. સર્વિસ પૂરી પાડવા માટેનો ટ્રેડ ખુલ્લો કરવા અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન પર પમ સહમતિ વ્યક્ત કરી છે. આ ડીલને ભારત સરકાર દ્વારા “strategic and growth-oriented trade pact” તરીકે ઓળખાવવામાં આવી રહી છે.

બે દાયકા સુધી ચર્ચાવિચારણા કર્યા પછી ભારતે યુરોપિયન સંઘના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. આ કરારને મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓળખાવી છે. ફ્રીટ્રેડ એગ્રીમેન્ટને કારણે બંને દેશ વચ્ચે થતી આયાત નિકાસના પ્રોડક્ટ્સ પરની આયાત  ડ્યૂટી ધીમે ધીમે એટલે કે આગામી પાંચથી દસ વર્ષમાં ખતમ કરવા બંને દેશો સહમત થયા છે. બંને દેશો વચ્ચેની આયાતનિકાસ સાથે સંકળાયેલી 96 ટકા આઈટેમ્સ પરની આયાત ડ્યૂટી તબક્કાવાર ઓછી કરવામાં આવશે કે દૂર કરવામાં આવશે. ભારતમાંથી નિકાસ થતી 99 ટકા આઈટેમ્સ પરની આયાત ડ્યૂટી તબક્કાવાર દૂર કરી દેવામાં આવશે.

ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે 2024-25ના વર્ષના આયાતનિકાસના વહેવારોની વાત કરીએ તો ભારતમાંથી યુરોપમાં અને યુરોપના દેશોમાંથી ભારતમાં 136.5 અબજ યુરોના મૂલ્યની  એટલે કે રૂ. 12,30,000 કરોડની વસ્તુઓની આયાત-નિકાસના વેપારો થયેલા છે.

તેમાંથી ભારતમાંથી અંદાજે 71.3 અબજ યુરોના મૂલ્યની એટલે કે રૂ. 64,20,000 કરોડની વસ્તુઓની નિકાસ થયેલી છે. યુરોપમાંથી થયેલી આયાત અંદાજે 48.8 અબજ યુરોના મૂલ્યની એટલે કે 43,92,000 કરોડના મૂલ્યની વસ્તુઓની આયાત થઈ છે. આમ યુરોપિયન દેશોમાં આયાતનિકાસ કરતો ભારત વિશ્વનો મોટામાં મોટો ભાગીદાર દેશ છે.

27મીએ ભારત–EU વચ્ચે થયેલા વેપાર કરાર-FTA પહેલા

  • કુલ દ્વિપક્ષીય વેપાર: અંદાજે €120–125 બિલિયન
  • ભારતીય રૂપિયામાં: આશરે ₹10.8–11.2 લાખ કરોડ
  • EU ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર
  • ભારત EU માટે: 9–10મો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર

ગુજરાત અને ભારતના લાભ મેળવનારા સેક્ટર્સ

ગુજરાતના કયા સેક્ટર્સને સીધો લાભ મળશે

  • કાપડ અને ટેક્સટાઇલ (Surat, Ahmedabad)
  • કોટન ગાર્મેન્ટ્સ
  • કેમિકલ્સ અને સ્પેશિયલિટી કેમિકલ્સ
  • સિરામિક્સ (Morbi)
  • એન્જિનિયરિંગ ગુડ્સ
  • જેમ્સ & જ્વેલરી (Diamond processing)

સમગ્ર ભારતના કયા સેક્ટર્સને લાભ થશે

  • ટેક્સટાઇલ અને એપેરલ
  • લેધર ગુડ્સ
  • ફાર્માસ્યુટિકલ્સ
  • એન્જિનિયરિંગ અને ઓટો કમ્પોનેન્ટ્સ
  • IT / ITES અને પ્રોફેશનલ સર્વિસિસ
  • રિન્યુએબલ એનર્જી સાધનો

 

ભારતમાંથી EUમાં વધનાર નિકાસ

FTA પછી EU દ્વારા 95 ટકા સુધીના ટેરિફના દરમાં તબક્કાવાર નાબૂદી-phased elimination કરવાની જાહેરાત કરવામાં આવી છે. આયાત ડ્યૂટી એક સાથે નહિ, ધીમે ધીમે ઘટાડીને દૂર કરી દેવામાં આવશે. ભારત સરકાર અને યુરોપિયન સંઘના દેસોના નિર્ણયને કારણે ભારતમાંથી કોટન શર્ટ-પેન્ટ, બેડશીટ, ટાવેલ્સ, હોમ ટેક્સટાઇલ, જેનરિક દવાઓ, ઓટો પાર્ટ્સ, સ્ટીલ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક ફૂડ, સ્પાઈસીસ, હેન્ડીક્રાફ્ટ્સની નિકાસમાં વધારો થશે.

EU ભારતના બજારમાં કેવી રીતે પ્રવેશ કરશે?

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી EU-યુરોપિયન સંઘના 27 દેશોને પણ મોટો ફાયદો થશે. ભારતનું સૌથી મોટું બજાર તેમને નિકાસ કરવા માટે સરળતાથી મળી જશે. યુરોપિયન સંઘના દેશોમાંથી ભારતમાં લક્ઝરી કાર્સ (Mercedes-Benz, BMW, Audi), પ્રીમિયમ બાઇક્સ, વાઈન્સ અને બિયર, પરફ્યુમ્સ અને કોસ્મેટિક્સ, ચીઝ, ચોકલેટ, ડેરી પ્રોડક્ટ્સ, મેડિકલ ડિવાઈસિસની નિકાસ વધશે. આ પ્રોડક્ટ્સ પરની આયાત ડ્યૂટીમાં સંપૂર્ણ ઘટાડો કરવાના નિર્ણયનો અમલ 5થી 10 વર્ષમાં પૂર્ણ થશે. આમ આયાત ડ્યુટીમાં કટ તાત્કાલિક નહીં, પરંતુ 5–10 વર્ષમાં તબક્કાવાર-phased reduction કરવામાં આવશે.

સર્વિસ સેક્ટરમાં 83.1 અબજ ડૉલરના વહેવારો થાય છે. આમ ભારતમાંથી યુરોપિયન સંઘના દેશોમાં સર્વિસની નિકાસ વધારે થાય છે. સમગ્રતયા ટ્રેડ બેલેન્સમાં ભારતમાંથી યુરોપિયન સંઘમાં થતી નિકાસ વધારે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી તેને વેગ મળશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા પછી બંને દેશો વચ્ચેનો ટ્રેડ 2032 સુધીમાં બમણો થઈ જવાના ગણિતો મંડાઈ રહ્યા છે.

એપરલ અને ટેક્સટાઈલ સેક્ટરને લાભ મળશે

ભારત અને ગુજરાતના નીચેના સેક્ટર્સને એફટીએને કારણે વેગ મળશે. તેમાં સૌથી અગ્રક્રમે ટેક્સટાઈલ અને એપરલ સેગમેન્ટ છે. ટેક્સટાઈલ અને એપરલ પરની આયાત ડ્યૂટી તત્કાલ શૂન્ય પર આવી જશે. તેથી ભારતને યુરોપિયન સંઘના ટેક્સટાઈલ અને એપરલના સેક્ટરમાં એન્ટ્રી લેવાની તક મળશે. ભારતના વિવિંગ સેક્ટર માટે તેનાથી બહુ જ મોટી તક નિર્માણ થશે. ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટરના ક્લસ્ટર સુરતને તેનો મોટો લાભ થવાની શક્યતા રહેલી છે. આ અંગે વાતચીત તરતાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા ટેક્સટાઈલ પ્રોડક્ટ્સની નિકાસમાં ઓછામાં ઓછો 2 અબજ ડૉલરનો વધારો થશે. મુંબઈ સ્થિત ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના ચીફ મેન્ટર રાહુલ મહેતાનું કહેવું છે કે ટેક્સટાઈલની નિકાસમાં ઓછામાં ઓછા 25 ટકાનો વધારો થશે. અમેરિકાના ટેરિફ વૉરથી ત્રસ્ત ભારત માટે એક દરવાજો બંધ થાય તો બીજા બાર દરવાજા ખૂલે છે તે ઉક્તિને યુરોપિયન સંઘના દેશો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાર્થક કરી દેખાડી હોવાનું અમદાવાદના મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે. ગુજરાતના ઉત્પાદકો અને નિકાસકારોને આ કરારથી ઘી કેળાં થઈ જવાની સંભાવના છે. જોકે તેમણે ક્વોલિટીના નિયમો, પર્યાવરણને લગતા નિયંત્રણો અને પ્રદુષણ તથા ચાઈલ્ડ લેબરના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે.

ચામડાં અને પગરખા-ફૂટવેરની નિકાસ વધશે

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ભારતમાંથી યુરોપિયન સંઘના દેશોમાં થતી ચામડાંની બનાવટો અને પગરખાંની નિકાસમાં વધારો થશે. તેના પર લાગતી 17 ટકાની આયાત ડ્યૂટી તબક્કાવાર દૂર કરી દેવામાં આવશે. યુરોપિયન સંઘના દેશોમાં 100 અબજ ડૉલરનું પગરખાં અને ચામડાંની વસ્તુઓના નિકાસના બજારનો મહત્તમ લાભ ઊઠાવવાનું ભારતના ઉત્પાદકો અને નિકાસકારો આયોજન કરી શકશે.

ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને લાભ મળશે

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ગુજરાત, મુંબઈ અને ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ ફાયદો થશે. અત્યારે તેના પર 100 ટકા આયાત ડ્યૂટી લેવામાં આવે છે. હવે તે શૂન્ય ટકા ડ્યૂટીથી યુરોપિયન સંઘના દેશોમાં નિકાસ કરી શકાશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રોનું કહેવું છે કે ભારતમાંથી યુરોપિયન સંઘના દેશોમાં થતી દાગીનાની નિકાસ 10 અબજ ડૉલરની સપાટીને વળોટી જાય તેવી સંભાવના છે. અત્યારે આ નિકાસ પાંચ અબજ ડૉલરની છે. સુરતના ડાયમંડ ઉદ્યોગને પણ લાભ મળશે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન સાથે સંકળાયેલા અમદાવાદના અગ્રણી જય બેગાનીનું કહેવું છે કે અમેરિકાના ટેરિફ વૉરના સમયમાં યુરોપિયન સંઘના દેશો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ભારતની નિકાસમાં મોટો વધારો થવાની સંભાવના છે.

 કયા આયાતી માલ સસ્તા થઈ શકે?

પ્રોડક્ટહાલની ડ્યુટીFTA પછી
Luxury cars~100%phased reduction (final level જાહેર નથી)
Perfumes & cosmetics20–30%substantial reduction
Wine & beer100%+phased reduction
Medical devices7.5–10%reduction likely

(નોધ: ચોક્કસ ટકાવારી હજી જાહેર કરવામાં આવી નથી)

નકારાત્મક અસર શક્ય સેક્ટર્સ

  • ડોમેસ્ટિક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ
  • MSME કન્ઝ્યુમર ગુડ્સ
  • ભારતીય વાઈન / ડેરી ઉત્પાદકો
  • લક્ઝરી ગુડ્સ સામે સ્થાનિક બ્રાન્ડ્સ

FTAના પ્લસ અને માઈનસ

એફટીએના પ્લસની વાત કરવામાં આવે તો નિકાસમાં વૃદ્ધિ થશે. નવી રોજગારી નિર્માણ થશે. EUમાંથી ટેક્નોલોજી ટ્રાન્સફરના રસ્તા ખૂલશે. તેથી આવનારા વરસોમાં ભારતીય ઉત્પાદકો જ શ્રેષ્ઠ ગુણવત્તાના ઉત્પાદન કરીને યુરોપિયન દેશોમાં કે પછી વિશ્વના અન્ય દેશોમાં ત્યાંના ઉત્પાદકો કરતાં ઓછા દામે તે વસ્તુઓ વેચી શકશે. ભારતીય ઉત્પાદનો માટે નવું બજાર મળશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન મળશે. એફટીએના નકારાત્મક પાંસાઓની વાત કરવામાં આવે તો આયાતી માલ સામે સ્થાનિક ઉત્પાદકોએ વધુ તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડશે. નાના અને મધ્યમ કદના ઉત્પાદકો-MSME પર સ્પર્ધા કરવાનું દબાણ વધી જશે. ક્વોલિટી અને ભાવ બંનેમાં સ્પર્ધા કરવાની નોબત આવશે. બંને દેશો વચ્ચેની આયાત અને નિકાસ વચ્ચેનો ગાળો વધી જવાનો એટલે કે ટ્રેડ ડેફિસિટ વધી જવાનું જોખમ વધી જશે. તેથી સ્થાનિક ઉદ્યોગને એડજસ્ટમેન્ટ કરવાની ફરજ પડશે. તેમની સામે સ્પર્ધા કરવાની અને તેમના જ દેશમાં તેમનાથી સારા પ્રોડક્ટ્સ ઓછા ભાવે વેચવાની કુનેહ કેળવવાની જરૂર છે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ભારતમાંથી ટેક્સટાઈલ, હોમ ટેક્સટાઈલ, રેડીમેડ ગારમેન્ટ અને એપરલની નિકાસમાં વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે. લેધર અને ફૂટવેરની, જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો થશે. જેમ્સ એન્ડ જ્વેલરની એક્સપોર્ટ તો બમણી થઈ જવાની સંભાવના છે. જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 5 અબજ ડૉલરથી વધીને 10 અબજ ડૉલરની થઈ જવાની ધારણા છે. સી ફૂડ અને દરિયાઈ ઉપજોની નિકાસમાં પણ વધારો થવાની ગણતરી છે. કેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સની નિકાસ પણ વધી જવાની સંભાવના રહેલી છે. એન્જિનિયરિંગ ગુડ્સ અને મશીનરીની એક્સપોર્ટમાં પણ વધારો થવાની શક્યતા છે.

ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે થયેલા કરારને પરિણામે તમામ દેશો પરથી આયાત ડ્યૂટીનો ખાસ્સો લાભ બંને પક્ષોને મળશે. તેથી ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર આઈટેમ્સની નિકાસ થવાની સંભાવના વધી જશે. એક્સપોર્ટ વધતા કામકાજમાં વધારો થશે અને નાના અને મધ્યમ ઉદ્યોગો થકી રોજગારી પણ નિર્માણ થશે. ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રવેશવાની ભારતીય ઉત્પાદકોને વધુ સારી તક મળશે. તેની સામે ભારતના ઓટોમોબાઈલના પૂરજા બનાવનારાઓને યુરોપના નિકાસકારો સામે સ્પર્ધા કરવાની ફરજ પડશે.

 

પોરબંદર, ઓખા અને વેરાવળના સી ફૂડના ઉદ્યોગને લાભ મળશે

ગુજરાતના દરિયાઈ પ્રોડક્ટ્સ અને સી ફીડના બિઝનેસને ખાસ્સો વેગ મળશે. ભારતમાંથી યુરોપિયન સંઘના દેશોમાં નિકાસ કરવામાં આવતા સી ફૂડ પર અને દરિયાઈ ઉપજો પર 26 ટકા આયાત ડ્યૂટી લગાડવામાં આવે છે.

શ્રીમ્પ-ઝિંગા અને મૂલ્યવર્ધિત સી ફૂડની ગુજરાતના વેરાવળ, પોરબંદર અને ઓખામાંથી ખાસ્સી નિકાસ થાય છે. આ ત્રણેય વિસ્તારના સી ફૂડ સાથે સંકળાયેલા ઉત્પાદકોને યુરોપિયન સંઘના દેશો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ભરપૂર લાભ મળશે.

વાપી, દહેજ, અંકલેશ્વરના કેમિકલ-પેટ્રોકેમિકલના બિઝનેસને લાભ મળશે

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સના બિઝનેસને લાભ મળશે. ભારતમાંથી નિકાસ કરવામાં આવતા કેમિકલ્સમાંથી 97.5 ટકા કેમિકલ્સની નિકાસ યુરોપિયન સંઘના દેશોમાં કરવામાં આવે છે. હવે તેની નિકાસ ડ્યૂટી ફ્રી થશે. તેથી ગુજરાતના વાપી, દહેજ, ભરૃચ અને અંકલેશ્વરના કેમિકલના એકમોને તેનો ખાસ્સો લાભ મળશે.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્ટરને પણ યુરોપિયન સંઘ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સનો ખાસ્સો લાભ મળશે. અમેરિકાએ ભારતીય યુવાન પ્રોફેશનલ્સને એચ-1બી વિઝા આપવા માટે એક લાખ ડૉલરની ફી નાખી દઈને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્ટરની સર્વિસનો વ્યવસાયને મોટો ફટકો માર્યો છે. આઈટી કંપનીઓની આવક પર તેની મોટી અસર થઈ શકે છે. પરંતુ યુરોપિયન સંઘના દેશો સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પરિણામે ભારતની આઈટી સર્વિસ કંપનીઓને નવા મોટા કામ મળવાના રસ્તા ખૂલી ગયા છે. યુરોપિયન સંઘના દેશો સાથેનો વેપાર ખાસ્સો વધી જવાની સંભાવના છે. અમેરિકાને તેના નિર્ણય બદલ પસ્તાવાની નોબત આવશે.

પ્લાસ્ટિકની આઈટેમ્સ બનાવનારાઓ યુરોપની કંપનીઓની સ્પર્ધા કરી શકશે

પ્લાસ્ટિક અને રબર ઉદ્યોગને પણ એફટીએનો લાભ મળશે. ગુજરાત પ્લાસ્ટિક અને પોલીમર્સની આઈટેમ્સના મેન્યુફેક્ચરિંગનું હબ છે. પ્લાસ્ટિક્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા જિગીશ દોશીનું કહેવું છે કે ભારતમાં સ્પેશિયાલિટી પ્લાસ્ટિક એડિટીવ્સની યુરોપના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. ભારતમાં તેનું ઉત્પાદન કરનારાઓ બહુ જ ઓછા છે. તેથી યુરોપમાંથી ભારતમાં માલ ડમ્પ થાય અને ભારતના ઉત્પાદકો પર અવળી અસર પડવાની સંભાવના બહુ જ સીમિત છે.

જોકે ભારતમાંથી પ્લાસ્ટિક્સના પ્રોડક્ટ્સની નિકાસ કરવાની તક વધી જશે. ભારતના પ્રોડક્ટ્સ પર યુરોપના દેશોમાં સાડા છ ટકાથી માંડીને જુદી જુદી આયાત ડ્યૂટી વસૂલવામાં આવે છે. હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ જતાં ભારત યુરોપની કંપનીઓ સામે આસાનીથી સ્પર્ધા કરી શકશે. તેથી ભારતને સારી હરીફાઈ કરીને પોતાના ક્વોલિટી પ્રોડક્ટ્સ માટેનું નવું બજાર મળી જશે ભારતમાંથી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની થતી નિકાસમાં અંદાજે 20 ટકાનો વધારો આવી જવાની સંભાવના છે.

મોટર અને ઓટોપાર્ટ્સના ઉદ્યોગ સામે સ્પર્ધા વધશે

યુરોપિયન સંઘના દેશોમાં બનતી અલ્ટ્રા લક્ઝરી મોટરકાર પરની આયાત ડ્યૂટી 110 ટકાથી ઘટાડીને 40 ટકા કરવાનું ભારત સરકારે એફટીએ હેઠળ કમિટમેન્ટ આપ્યું છે. પરિણામે ભારતમાં અલ્ટ્રા લક્ઝરી કાર ખાસ્સી સસ્તી છે. જોકે તેની આયાત પર 2.5 લાખ યુનિટની મર્યાદા મૂકવામાં આવી છે. પરિણામે આયાત વધશે પરંતુ તે સીમિત વૃદ્ધિ જોવા મળશે. યુરોપિયન સંઘના દેશોમાંથી ભારતમાં બીએમડબ્લ્યુ, મર્સિડિઝ, ફોક્સવેગન, ઓડી, સ્પોર્ટ્સ કાર જેવી કાર સ્પર્ધાત્મક દરથી ભારતના બજારમાં પ્રવેશશે. પરિણામે ભારતમાં પ્રીમિયમ કારના ઉત્પાદકો પર ભાવ નીચે લઈ જવાનું દબાણ વધશે. લક્ઝરી કાર પરની આયાત ડ્યૂટી સમય જતાં 40 ટકાથી ઘટીને 10 ટકા સુધી ઘટી જવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હા, આ ડ્યૂટી હેઠળ 2.5 લાખ વાહનોની આયાત કરવાની અપર લિમિટ મૂકવામાં આવેલી છે.

 

આલ્કોહોલ અને વાઈનની બ્રાન્ડ સસ્તામાં મળશે.

એફટીએને કારણે યુરોપના દેશોમાંથી આવતા વાઈનના પેક્સ ભારતમાં સસ્તા પડશે. તેના પરની આયાત ડ્યૂટી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી છે. ભારતમાં પ્રીમિયમ આલ્કોહોલ બનાવતી કંપનીઓ પર ભાવ ઘટાડવાનું પ્રેશર આવી જવાની સંભાવના રહેલી છે વાઈન અને બીવરેજિસ પર પહેલા 150 ટકા આયાત ડ્યૂટી લાદવામાં આવેલી હતી. હવે આયાત ડ્યૂટી ઘટીને પ્રોડક્ટ્સ પ્રમાણે 20થી 30 ટકા પર આવી જશે. ઇટાલી, સ્પેન, ફ્રાન્સની પ્રીમિયમ વાઈન સસ્તી પડશે. સ્પીરિટ, વ્હિસ્કી, જિન અને બ્રાન્ડીની આયાત પર પણ પહેલા 150 ટકા આયાત ડ્યૂટી વસૂલવામાં આવતી હતી. હવે આયાત ડ્યૂટી ઘટીને 40 ટકા પર આવી જશે. બિયર પરની આયાત ડ્યૂટી 110 ટકાથી ઘટીને 50 ટકા થઈ જશે. યુરોપના આલ્કોહોલિક પીણાઓ ભારતના બજારમાં મોટા પ્રમાણમાં ઠલવાશે.ભારતીયોને સસ્તા દામે તે મળતા થશે.

ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉપજો

અનાજ, ડેરી ઉત્પાદનો, મરઘાંબતકાંના ઉત્પાદનો જેવી વસ્તુઓનો એફટીએમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રોસેસ્ડ ફૂડની આયાતમાં અને તેમાંય ખાસ કરીને ઓલીવ ઓઈલ, ચીઝ જેવા ઉત્પાદનોની આયાત યુરોપિયન દેશમાંથી વધી જવાની સંભાવના રહેલી છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાનું કહેવું છે કે ડેરી ઉત્પાદનોને યુરોપિયન સંઘ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

કયા ખાદ્ય પદાર્થો સસ્તા થશે

  • ઓલીવ ઓઈલ અને ખાદ્યતેલ પરની આયાત ડ્યૂટી 50 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવાતા સસ્તુ થશે.
  • બ્રેડ બિસ્કિટ, પેસ્ટ્રી, ચોકલેટ, પાસ્ત પરની આયાત ડ્યૂટી 50 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી છે.
  • ફ્રૂટ જ્યુસ અને નોન આલ્કોહોલિક બીવરેજીસ પરની આયાત ડ્યૂટી 55 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી છે.
  • પેર, કિવી, અને પસંદગીના ફલો પરની આયાત ડ્યૂટી 33 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દીધી હોવાથી તે પણ સસ્તા પડશે. જોકે તેની આયાતના જથ્થા પર મર્યાદા મૂકવામાં આવી છે.
  • ઘેટાંનાં માસની આયાત પર 33 ટકા ડ્યૂટી હતી તે ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી છે. પ્રોસેસ કરેલા માંસ પરની આયાત ડ્યૂટી 110 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દેવામાં આવી છે.
  • મશીનરી અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ પર અત્યારે 44 ટકા આયાત ડ્યૂટી લેવામાં આવી રહી છે. આ ડ્યૂટી શૂન્ય ટકાની નજીક આવી જવાની સંભાવના છે. તેથી ઇલેક્ટ્રિક ઉપકરણોના ઉત્પાદકો સામે સ્પર્ધા ઊભી થવાની શક્યતા રહેલી છે.
  • એરક્રાફ્ટ અને એરોસ્પેસના કોમ્પોનન્ટ પરની આયાત ડ્યૂટી તબક્કાવાર 11 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા સુધી લાવી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • મેડિકલ ઇક્વિપમેન્ટ પરની આયાત ડ્યૂટી 27 ટકાથી ઘટીને શૂન્ય ટકા સુધી આવી જતા સસ્તી થશે.. 90 ટકા મેડિકલ ડિવાઈઝ સસ્તી થતાં સ્થાનિક ઉત્પાદકોએ સ્પર્ધાનો સામનો કરવો પડશે.
  • પ્લાસ્ટિકના ઉત્પાદનો પરની આયાત ડ્યૂટી 16.5 ટકાથી ઘટીને શૂન્ય ટકા સુધી આવી જવાની સંભાવના છે.
  • કેમિકલ્સના ઉત્પાદનો પરની આયાત ડ્યૂટી 22 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવશે.
  • આયર્ન એન્ડ સ્ટીલની ભારતમાંથી યુરોપમાં થતી આયાત પર 22 ટકા આયાત ડ્યૂટી લેવાતી હતી તે હવે શૂન્ય ટકા કરી દેવામાં આવી છે.
  • ડાયોગ્નોસ્ટીક કીટની આયાત પર 27.5 ટકા ડ્યૂટી લાગતી હતી તે હવે શૂન્ય ટકા લાગશે.
  • યુરોપથી ભારત મોકલાતા ઓટોપાર્ટ્સ પર 15.35 ટકા આયાત ડ્યૂટી લાગતી હતી તે આગામી પાંચથી દસ વર્ષમાં શૂન્ય ટકા કરી દેવામાં આવશે.

આમ યુરોપમાં બનતા ઔદ્યોગિક માલસામાન, ટેકનિકલ ઉપકરણો, મેડિકલ ડિવાઈઝ અને કેપિટલ ગુડ્સ-મશીનરી ભારતના બજારમાં સસ્તા દામે પ્રવેશશે. તેથી ભારતના ઉત્પાદન એકમોની ઉત્પાદન ક્ષમતામાં સુધારો થશે અને ભારતીય મેન્યુફેક્ચરર્સની ઇનપુટ કોસ્ટમાં ઘટાડો થશે. જોકે આ બધાં પર ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ લાગુ પડશે. તેથી આપણે માની લઈએ તેટલો ઘટાડો આવવાનો નથી. નાની કાર અને કૃષિ ઉપજની આયાત ડ્યૂટી મુક્તિની જોગવાઈ લાગુ કરવામાં આવી નથી. ભારતમાંથી યુરોપમાં એક્સપોર્ટ કરવામાં આવતી 96.6 ટકા આઈટેમ્સને આયાત ડ્યૂટીમાં રાહત મળશે.  યુરોપથી ભારતમાં આયાત થતી 99.3 ટકા વસ્તુઓ પરની આયાત ડ્યૂટીમાં રાહત મળશે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

રાજકોટ, અમદાવાદ અને વડોદરાના એન્જનિયિરંગ ઉદ્યોગને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી લાભ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular