• 21 May, 2026 - 9:29 PM

શું તમારે લોનની વહેલી ચૂકવણી કરી દેવી જોઈએ?

વિશ્વવિખ્યાત ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વૉરન બફેટ પણ કહે છે કે ઊંચા વ્યાજદર વાળું દેવું પહેલા ચૂકવી દેવું જોઈએ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી વધુ વળતર મળે છે તેની સાચી જ માની લઈએ તો પણ તેના વળતર પર આવનારો વેરાના બોજ પછીય વ્યાજ ખર્ચ કરતાં વધુ આવક થતી હોય તો તેમાં રોકાણ કરાય અન્યથા લોન પહેલા જ ચૂકવી દેવી હિતાવહ છે

શું તમારે લોન ચૂકવવા માટે વધારાના નાણાંનો ઉપયોગ કરવો જોઈએ કે રોકાણ શરૂ કરવું જોઈએ? આ સવાલનો જવાબ દેવાના પ્રકાર, દેવાની રકમ પરના વ્યાજ દર, તમારી ઈમરજન્સી બચત અને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પર આધાર રાખે છે. હા, ક્રેડિટ કાર્ડ જેવા ઊંચા વ્યાજવાળા દેવાને સામાન્ય રીતે પહેલા ચૂકવી દેવું જોઈએ. પરંતુ હોમ લોન જેવી ઓછી કિંમતની લોન હોય તો લોનની ચૂકવણીની સાથે રોકાણ કરવાની મંજૂરી આપી શકે છે.

તમારી પાસે હાથમાં વધારાના નાણાં હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? તમને પગાર ઉપરાંત બોનસ કે ઇન્સેન્ટિવની આવક થાય ત્યારે શું કરવું જોઈએ? લોન ચૂકવવી કે પછી નવું ઇન્વેસ્ટમેન્ટ કરીને આવક ઊભી કરવી? એક તરફ દેવામાંથી મુક્તિ મેળવવાથી મળતી માનસિક શાંતિ મળે છે. બીજી તરફ કમ્પાઉન્ડિંગની શક્તિ છે જે વહેલી શરૂઆત કરનારાઓને તગડું વળતર અપાવે છે. સોશિયલ મીડિયા તમને કહે છે કે અત્યારે જ રોકાણ શરૂ કરો, જ્યારે પરિવાર કહે છે કે પહેલા તમારા દેવા ચૂકવો, પછી બાકીની બધી બાબતો વિશે વિચારો.

આ સ્થિતિમાં સાચો જવાબ આપવો એટલો સરળ નથી. વ્યક્તિએ વ્યક્તિએ તેનો અલગ જવાબ હોઈ શકે છે. કારણ કે બધા દેવા સમાન હોતા નથી, અને બધા રોકાણો પણ સમાન હોતા નથી. ક્રેડિટ કાર્ડની બાકી નીકળતી રકમ પર ૪૨ ટકા વ્યાજ દર વસૂલવામાં આવે છે. તેની સામે હોમ લોનની બાકી રકમ પર ૮ ટકા વ્યાજ ચૂકવવું પડે છે. ઈમરજન્સી ફંડ ઉપલબ્ધ રાખ્યા વિના લોનના પ્રીપેમેન્ટમાં દરેક વધારાનો રૂપિયો ચૂકવી દેવો એ હંમેશા સ્માર્ટ પગલું નથી હોતું.

તમે ક્રેડિટ કાર્ડનું બાકી બેલેન્સ, પર્સનલ લોન, ‘બાય નાવ, પે લેટરની બાકી રકમ અથવા અન્ય કન્ઝ્યુમર લોન ધરાવો છો, તો તમારી ટોચની પ્રાથમિકતા લગભગ હંમેશા આ લોનને પહેલા ચૂકવવાની હોવી જોઈએ. તેનું કારણ સીધું સાદું છે. આ લોન મોંઘી હોય છે. ભારતમાં ક્રેડિટ કાર્ડ વાર્ષિક ૪૨ ટકા સુધીનો વ્યાજ દર વસૂલ કરી શકે છે. પર્સનલ લોન ઘણીવાર ૧૨ ટકાથી ૧૮ ટકાની વચ્ચે હોય છે. તમારા નાણાં એક તરફ ૪૨ ટકાના દરે વહી રહ્યા હોય અને બીજી તરફ તમે ૧૦-૧૨ ટકા વળતરની અપેક્ષા સાથે તેનું રોકાણ કરી રહ્યા હોવ, તો તમારે પહેલા લોનની ચૂકવણી કરી દેવી જોઈએ. કાર લોન કે એજ્યુકેશન લોન પ્રમાણમાં ઓછા વ્યાજ દર ધરાવતી હોઈ શકે છે અને તમારા માસિક બજેટમાં સરળતાથી ફિટ થઈ શકે છે.

તમારી આવક માસિક હપ્તા સંભાળી શકાય તેવી હોય અને તમારી પાસે હજી પણ દર મહિને થોડી બચત રહેતી હોય, તો કેટલાક કહે છે કે દેવું ચૂકવવા માટે તમારે ઉતાવળ કરવી ન જોઈએ. જોકે અમારુ માનવું છે કે પહેલા લોન ચૂકવી દેવી જોઈએ. તમે જે રોકાણ કરો છો તેમાં સલામત રોકાણ હોય તો જુદી વાત છે. તેમાં માત્ર અડધાથી એક ટકા જેટલો જ બોજ તમારે માથે આવે છે. કારણ કે આઠ ટકાની લોનના વ્યાજ સામે તમે સાતથી સાડાસાત ટકા વ્યાજ મેળવી શકો છો. આ સંજોગોમાં તમને તમારી લોન ચૂકવવાને બદલે રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. તેમાં માત્ર અડધાથી એક ટકાનો જ બોજ આવે છે.

છતાંય અમારા જેવા જૂની પેઢીના માણસો વ્યાજના ખર્ચનો બોજ ઓછો કરી દેવાનું પસંદ કરશે. ત્યારબાદ તમે તમારા રોકાણ બમણા કે તેનાથીય વધારે કરીને એસઆઈપી કે અન્ય માધ્યમોથી સારી આવક કરી શકો છો. જોકે એસઆઈપી-સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના રોકાણો પર પણ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કની ફૂદડી લાગેલી જ હોય છે. તેથી શાણપણ તો પહેલા દેવું ચૂકવી દેવામાં જ છે. કારણ કે વધુ કમાવાની લાલચમાં વધુ મોટા બોજા સાથે જોખમી સ્થિતિ નિર્માણ થવાની શક્યતા રહેલી છે. હજીય જૂની સિસ્ટમમાં આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારાઓને હોમલોન, 80 સી હેઠળના રોકાણો બાદ મળતા હોવાથી તેનો પણ એડવાન્ટેજ લઈ જ શકાય છે. આ સિસ્ટમમાં લોન વહેલી ચૂકવી દેવી જ અત્યારે હિતાવહ ગણાય છે.

કેટલાક જોખમ લેનારાઓ વ્યાજના ખર્ચની દરકાર કર્યા વિના નવા ઇન્વેસ્ટમેન્ટ કરીને આવક કરવાનું આયોજન કરે છે. હા, તેને માટે તમારી લોનના વીસ ટકા જેટલી રકમ દર વર્ષે એસઆઈપીમાં રોકાણ કરીને બાકીના નાણાં લોન સામે એડજસ્ટ કરાવીને તમે લોનની વહેલી ચૂકવણી પણ કરી શકો છો અને સામાન્ય વ્યાજ કરતાં વધુ આવક કરવાનો રસ્તો પણ ખુલ્લો રાખો છો. હોમ લોનને ઘણીવાર પ્રમાણમાં ‘ઉત્પાદક’ (પ્રોડક્ટિવ) દેવું માનવામાં આવે છે. તેનો વ્યાજ દર ક્રેડિટ ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોન કરતાં નોંધપાત્ર રીતે ઓછો હોય છે. તેમ જ ઘણા કિસ્સાઓમાં તે ટેક્સ લાભો સાથે આવે છે. તમે જૂની ટેક્સ વ્યવસ્થામાં હોવ તો કલમ ૨૪(બી) હેઠળ વ્યાજ પર અને કલમ ૮૦સી હેઠળ મુદ્દલ ચૂકવણી પર કપાત મળે છે. જોકે નવી ટેક્સ વ્યવસ્થા, જે હવે ડિફોલ્ટ છે, તે સ્વ-કબજાવાળી મિલકત માટે આ કપાત ઓફર કરતી નથી. તેનો અર્થ એ નથી કે દરેક હોમ લોન એક ઉત્તમ સોદો છે. તમારે તેને હળવાશથી લેવી જોઈએ નહિ. જોકે તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તમારે તેને ક્રેડિટ કાર્ડના બિલની જેમ જોવી જોઈએ નહીં. બહુ મોટું વ્યાજનું ભારણ ઊભું કરી રહી હોવાનું માનીને તેને ટ્રીટ કરવી જોઈએ નહિ.

તેથી તમારું પહેલું પગલું આ છે: તમારા બધા દેવાની એક યાદી બનાવો, તેમના વ્યાજ દરો નોંધી લો અને ઓળખો કે સાચું નાણાકીય દબાણ ક્યાં છે. ઘણીવાર, જવાબ ત્યાં જ પ્રગટ થઈ જાય છે. શું તમારા દેવું પરનું વ્યાજ તમારા રોકાણથી મળી શકતા વળતર કરતાં વધુ છે? એક સરળ થમ્બ રૂલ (મૂળભૂત નિયમ) છે જે ઘણી બધી મૂંઝવણોને દૂર કરે છે. જો તમારા દેવું પરનો વ્યાજ દર તમે રોકાણ કરીને વાસ્તવિક રીતે મેળવી શકતા વળતર કરતાં વધુ હોય, તો પહેલા દેવું ચૂકવી દો. ધારો કે તમારી પાસે ૧૫ ટકા વ્યાજદરની પર્સનલ લોન છે અને તમે તમારી વધારાની રકમને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મૂકવાનું વિચારી રહ્યા છો, જે લાંબા ગાળે ૧૦-૧૨ ટકા વળતર આપી શકે છે. કાગળ પર રોકાણ આકર્ષક લાગે છે પરંતુ અહીં મુખ્ય તફાવત છે. મ્યુચ્યુઅલ ફંડના વળતરની ગેરંટી હોતી નથી. જો કે, તમારી લોન પરનું ૧૫ ટકા વ્યાજ સંપૂર્ણપણે ગેરંટીડ છે. માર્કેટ ગમે તે કરે, તમે તે ચૂકવી રહ્યા છો.

હવે બીજા વિકલ્પનો વિચાર કરીએ. ૧૦-૧૫ વર્ષમાં ચૂકવાતી અને ૮ ટકા વ્યાજદરની હોમ લોનની વાત કરીએ. અહીં, ઇક્વિટી રોકાણો સમય જતાં સંભવતઃ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. છતાંય મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણની રકમ પર છેલ્લે તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે 30 ટકા સુધીનો ટેક્સ લાગે છે. આ 30 ટકા બાદ કરતાંય તમને ખાતરી હોય કે તમને તમારા વ્યાજ  ખર્ચ કરતાં વધુ વળતર મળી રહેશે તો જ તમારે લોનનું પ્રી પેમેન્ટ કરવું ટાળવું જોઈએ. અન્યથા ગમે તે સંજોગોમાં હોમ લોનના વ્યાજ ખર્ચનો બોજ દૂર કરવા માટે હોમ લોનનું પ્રીપેમેન્ટ કરી દેવુ હિતાવહ ગણાશે. આમ લોન સામે કરવી પડતી ચૂકવણીની રકમ અને તમે કરેલા રોકાણ પર મળનારા વેરા કપાત પછીના વાસ્તવિક ચોખ્ખા વળતરને જોઈને પછી નિર્ણય લેવાનો આવશે. વિશ્વના ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ પણ કહે છે કે ઊંચા વ્યાજવાળા દેવાએ પહેલા જવું પડશે. લોનની પુનઃ ચૂકવણી કરતી વખતે તમારી પાસે ઇમરજન્સી ફંડ ન રહે તેવું ન કરશો. ઇમરજન્સી ફંડ રાખીને જ પછી બધું આયોજન કરવું જોઈએ. સામાન્ય રીતે, તમારા આવશ્યક જીવનનિર્વાહના ઓછામાં ઓછા છ મહિનાના ખર્ચ જેટલી રકમ અલગ રાખવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

હા,  હોમ લોનની ચૂકવણી વહેલી ન કરો તો તેની સામે એસઆઈપીમાં હોમ લોનના દસ ટકા જેટલી રકમ દર વરસે ઇન્વેસ્ટ કરવાનું આયોજન કરીને તમને વ્યાજ ખર્ચના બોજને ઓછો કરી કે રિકવર કરી શકો છો.

જૂની ટેક્સ વ્યવસ્થામાં હોવ તો હોમ લોન ઉપયોગી કપાત સાથે આવે છે. તમે ચૂકવેલા વ્યાજ પર દર વર્ષે રૂ. ૨ લાખ સુધી (કલમ ૨૪બી) બાદ મળે છે. તેમ જ મુદ્દલની ચૂકવણી પર રૂ. ૧.૫ લાખ સુધી (કલમ ૮૦સી) દાવો કરી શકો છો. એજ્યુકેશન લોન પણ કલમ ૮૦ઈ હેઠળ ટેક્સ રાહત માટે પાત્ર બની શકે છે. આ કપાતો કાગળ પર તમારા દેવાની અસરકારક કિંમત ઘટાડે છે. તેના ગણિતો દરેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ આવે છે. તેનો વિચાર કરીને વ્યક્તિગત રીતે નિર્ણય લેવાવા જોઈએ.

પરંતુ માત્ર ટેક્સ બચાવવા માટે લોનને લાંબા ગાળા સુધી ખેંચ્યા કરવાનો અભિગમ પણ ઉચિત નથી. જૂની પેઢી વ્યાજની બચત કરીને તથા હપ્તાના બચેલા પૈસાનું રોકાણ કરીને નવી આવક કરીને સદ્ધર થવાનું વધુ પસંદ કરશે. નવી પેઢી એસઆઈપીમાં લોન્ગટર્મ ઇન્વેસ્ટ કરીને વ્યાજ ખર્ચને રિકવર કરવાનું પસંદ કરે છે. પરંતુ આ ગણતરી કરવામાં સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્કની કલમને ધ્યાનમાં લેવાનું તેઓ ભૂલી જ જાય છે.

Read Previous

હવે દસમા અને બારમા ધોરણની માર્કશીટ સાથે ચેડાં નહિ થઈ શકે

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular