• 26 March, 2026 - 3:14 PM

ઇરાને ભારત માટે હોર્મુઝની ખાડીનો માર્ગ ખોલી દીધોઃ ગેસ અને ઇંધણનું સંકટ હળવું થઈ શકશે

ઇરાનના પ્રસ્તુત પગલાંનો અર્થ શું અને ભારત-ઇરાન સંબંધો કેમ મજબૂત છે

ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરઘાચીએ ગુરુવારે ખાતરી આપી કે મિત્ર દેશોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને ભારતનું નામ લેવામાં આવ્યું છે. આ નિર્ણય ભારત માટે LPG અને ઊર્જા સંકટ ઘટાડવામાં મદદરૂપ થશે, જે અનેક ઉદ્યોગો પર અસર કરી રહ્યું હતું. આ સાથે જ ગેસ અને પેટ્રોલ-ડીઝલનું સંકટ ઓછું થવાનો માર્ગ ખૂલી રહ્યો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

હોર્મુઝની ખાડી ખોલી આપવાના નિર્ણય સાથે જ ઇરાનના ન્યૂયોર્ક સ્થિત મિશનમાંથી જાહેરાત કરવામાં આવી હતી કે દુશ્મન દેશ ન હોય તે દેશોના જહાજોને સુરક્ષિત રીતે હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા દેવામાં આવશે, પરંતુ તે માટે ઇરાનના અધિકારીઓ સાથે પૂર્વ સંકલનની જરૂરિયાત રહેશે.

ઇરાનના ડિફેન્સ કાઉન્સિલે પણ સ્પષ્ટ કર્યું છે કે આ માર્ગ ખુલ્લો છે, પરંતુ તેના પર કડક નિયંત્રણ રાખવામાં આવશે અને તેને ભૂ-રાજનીતિક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રી અરાઘચીએ અમેરિકા અને ઇઝરાયેલને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે, કારણ કે માનવ નુકસાન વધી રહ્યું છે અને વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી રહી છે. તેની સાથે સાથે તેમણે ઇરાનને પણ પડોશી દેશો પર હુમલા ન કરવા સૂચન કર્યું.

ભારતને ખાસ મહત્વ કેમ આપ્યું?

ભારતને મિત્ર દેશ તરીકે જાહેર રીતે સમાવેશ કરવો એ ઇરાન માટે સામાન્ય બાબત નથી. તેથી જ આ જાહેરાત ભારત અને ઇરાન વચ્ચેના વર્ષો જૂના મજબૂત સંબંધોને દર્શાવે છે. ભારત તેની 85 ટકાથી વધુ કાચા તેલની જરૂરિયાતની આયાત આ માર્ગેથી કરે છે. હાલમાં પર્શિયન ગલ્ફ વિસ્તારમાં ભારત માટે મહત્વપૂર્ણ 22 જહાજો અટવાયેલા હતા, જેમાંથી 20 ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્વના છે.

તાજેતરમાં ભારતે બે જહાજો આઈએનએસ શિવાલિક અને નંદાદેવીને સુરક્ષિત પસાર કરાવ્યા છે, પરંતુ દેશની કુલ ઊર્જા જરૂરિયાત માટે તે પૂરતા નથી. હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંથી એક છે. વિશ્વના મોટા ભાગનું તેલ અહીંથી પસાર થાય છે. આ માર્ગમાં વિક્ષેપ થાય તો વૈશ્વિક ઊર્જા સપ્લાય અને ભાવ પર સીધી અસર પડે છે.

ઇરાન દ્વારા ભારતને મિત્ર દેશ તરીકે જાહેર કર્યો તે એક મહત્વપૂર્ણ રાજનૈતિક સંકેત છે. એક, ભારતે પશ્ચિમ દેશોની પ્રતિબંધ નીતિમાં સંપૂર્ણ રીતે જોડાવાનું ટાળ્યું છે. બે, ઇરાન બતાવવા માંગે છે કે તે હજુ પણ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ભાગીદારો ધરાવે છે. ત્રણ, પશ્ચિમ દેશો પર દબાણ વધારવાનો પ્રયાસ આ નિર્ણયના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય ભારત માટે ઊર્જા સુરક્ષા, આયાત ખર્ચ અને વ્યૂહાત્મક સ્વતંત્રતા માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે.

Read Previous

યુદ્ધવિરામની આશાઓ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular