• 4 February, 2026 - 12:47 PM

પામ વૃક્ષની ખેતી અને પામ તેલના ઉત્પાદનનું મિશન સફળ જશે કે નિષ્ફળ?

–    ઉત્તર-પૂર્વ સહિત ઘણા રાજ્યોમાં ખાતરીપૂર્વકની સિંચાઈ, જમીનની ઢાળ, નિકાસ વ્યવસ્થા, ખેડૂતની ક્ષમતા અને લાંબા ગાળાની રસદારી વિના જ રોપાઓ વહેંચી દેવાયા છે.

તેલ પામ ખેતી દ્વારા ભારતની નવી ‘યેલો રેવોલ્યુશન’ તરફની પહેલ સમયોચિત, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને ટાળી ન શકાય તેવી છે. દેશમાં ખાદ્ય તેલની કુલ જરૂરિયાતમાંથી લગભગ બે-તૃતીયાંશ આયાત થતું હોવાથી અને તેના માટે દર વર્ષે 14 અબજ ડોલરથી વધુ ખર્ચ થાય છે. તેથી જ તેલ પામ ભારતની ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર બની ગયો છે.
પરંતુ નેશનલ મિશન ઑન એડિબલ ઓઈલ્સ – ઓઈલ પામ (NMEO-OP) હેઠળ મજબૂત નીતિ ઈરાદા હોવા છતાં, જમીનસ્તર પરથી મળતા પ્રારંભિક સંકેતો સૂચવે છે કે જો આયોજન, અમલ અને મૂલ્યાંકનની રીતમાં મૂળભૂત ફેરફાર નહીં થાય, તો ભારત ફરી જૂની ભૂલો દોહરાવી શકે છે. આ મુદ્દો મહત્ત્વાકાંક્ષાનો નહીં, પરંતુ વાસ્તવિકતાનો છે.

વિસ્તાર વધારવો એટલે કૃષિ સફળતા નહીં

NMEO-OP (2021–26) દરમિયાન લક્ષ્યિત વિસ્તારના માત્ર 40 ટકા જેટલો વિસ્તાર (લક્ષ્ય 6.5 લાખ હેક્ટર સામે લગભગ 2.6 લાખ હેક્ટર) આવરી લેવામાં આવ્યો છે. સંખ્યાની ખામી કરતાં વધુ ચિંતાજનક બાબત એ છે કે આવરી લેવાયેલા વિસ્તારમાંથી કેટલો વિસ્તાર ખરેખર અસરકારક રીતે તેલ પામ ખેતી હેઠળ આવ્યો છે.

ઉત્તર-પૂર્વ સહિત ઘણા રાજ્યોમાં ખાતરીપૂર્વકની સિંચાઈ, જમીનની ઢાળ, નિકાસ વ્યવસ્થા, ખેડૂતની ક્ષમતા અને લાંબા ગાળાની રસદારી વિના જ રોપાઓ વહેંચી દેવાયા છે. તેલ પામ ઋતુઆધારિત પાક નહીં પરંતુ ચાર વર્ષના ગર્ભકાળ અને 25 વર્ષથી વધુ ઉત્પાદન જીવન ધરાવતો બહુવર્ષીય પાક છે. શરૂઆતમાં થતી ભૂલો ભવિષ્યમાં ઓછા FFB (ફ્રેશ ફ્રૂટ બંચ) ઉત્પાદન, સાતત્ય વિનાના ખેતી અર્થતંત્ર અને અંતે પાક છોડવાની સ્થિતિ નિર્માણ કરે છે. અસરકારક પ્રગતિ વિના ઝડપી પ્રગતિ સૌથી મોટો ખતરો છે. અનુકૂળ ન હોય તેવી જગ્યાએ તેલ પામ વાવવું, ન વાવવાથી પણ વધારે ખરાબ છે.

આંધ્ર પ્રદેશની સ્થિતિ પરથી શીખવા જેવું

આંધ્ર પ્રદેશ ભારતનું સૌથી સફળતા સાથે તેલ પામની ખેતી કરી રહેલું રાજ્ય છે. આ સફળતા વધુ સબસિડીના કારણે નહીં, પરંતુ દાયકાઓથી વિકસાવેલી અનુકૂળ પરિસ્થિતિઓના કારણે મળી છે. તેમને સિંચાઈના પાણીના પુરવઠાની ખાતરી આપવામાં આવેલી છે. તેમ જ ખેડૂતોને વિશ્વાસમાં લઈને સમગ્ર આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. તેમ જ અનુભવીઓ પાસે સમગ્ર યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. અનુભવી એજન્સીઓની તેને માટે સેવા લેવામાં આવી છે. તદુપરાંત સંકલિત પ્રોસેસિંગ માળખું તૈયાર કરવામાં આવેલું છે. આ પરિસ્થિતિઓ વિના અન્ય રાજ્યોમાં આ મોડેલની નકલ કરવાનો પ્રયાસ નીતિગત ભ્રમ છે. વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સમાન લક્ષ્યાંકો નક્કી કરવાથી તેલ પામની જીવવિજ્ઞાનિક અને આર્થિક હકીકતો અવગણાય છે. વિસ્તાર-વિશિષ્ટ વ્યૂહરચના અનિવાર્ય છે.

લક્ષ્યાંક આધારિત અમલની જોખમો

હાલની નીતિને આધારે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવેલું છે. તેમાં રોપા વાવવાની સંખ્યા અને કેટલા હેક્ટરમાં વાવેતર થયું તેના પર જ ફોકસ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ત્રણ વર્ષ પછી તેમાંથી કેટલા વિકસ્યા અને કેટલા જીવંત છે તેનો રેશિયો પર ફોકસ કરવામાં આવ્યું નથી. દર પાંચ વર્ષ પછી ઉત્પાદનનો ગ્રાફ અને ખેતર સ્તરે આર્થિક ટકાઉપણું પણ જોવું જરૂરી છે. પરંતુ તેનું માપ લેવામાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનું જણાય છે.

આ સંખ્યાત્મક લક્ષ્યાંકો ઝડપને યોગ્યતા કરતાં આગળ રાખે છે. પરિણામે શરૂઆતની સહાય પૂરી થયા બાદ ખેડૂતો પાક ઉખેડી નાખે છે અને સરકારી કૃષિ યોજનાઓ પ્રત્યેનો તેમનો વિશ્વાસ ઘટી જાય છે. તેલ પામ કોઈ યોજના નથી; તે લાંબા ગાળાની ઔદ્યોગિક-કૃષિ પ્રતિબદ્ધતા છે. તેમાં ધીરજની મોટી જરૂર છે.

અમલકારી એજન્સીઓ: અવગણાયેલ જોખમ

તેલ પામ વિસ્તરણમાં સૌથી ઓછું ચર્ચાતું જોખમ એ છે કે અનુભવ કે નાણાકીય ક્ષમતા વિના કંપનીઓને વિસ્તાર ફાળવવાનું કામ કરવામાં આવ્યું છે. પાંચ-છ વર્ષ પછી નિષ્ફળતા દેખાય છે, ત્યારે કંપનીઓ બહાર નીકળી જાય છે અને ખેડૂતો બિનઉત્પાદક ખેતરો સાથે ફસાઈ જાય છે.

વૈશ્વિક બજાર અને વ્યૂહાત્મક મહત્વ

આંતરરાષ્ટ્રીય ખાદ્ય તેલ બજાર ભૂ-રાજકીય તણાવ, હવામાન પરિવર્તન અને નિકાસ પ્રતિબંધોથી અસ્થિરતા જોવા મળી રહી છે. આવા સમયમાં તેલ પામ માત્ર કૃષિ વિકલ્પ નહીં પરંતુ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાનું માળખું છે.

અલગ રીતે વિચારવું પડશે

ટકાઉ યેલો રેવોલ્યુશન માટે માળખાગત સુધારાની જરૂર છે, તેમાં વિસ્તાર-વિશિષ્ટ નીતિ અપનાવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો આન્ધ્રપ્રદેશ અને ગુજરાતમાં એક સમાન અભિગમથી પામ વૃક્ષની ખેતી કરવી ઉચિત નથી. અત્યારે તો વાવેતર વધારવા પર જ ફોકસ કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં વાવેતર વધારવા પર નહીં, પરંતુ ઉત્પાદન વધારવા પર ફોકસ કરવું જરૂરી છે. પામ વૃક્ષની ખેતીમાં કંપનીઓને જોતરતા પહેલા તેમની કૃષિ ક્ષમતાનો અંદાજ આપતું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત કરવું જોઈએ. અન્યથા આખી કવાયત બે ચાર વરસે નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે. આ જ રીતે ખેડૂત પસંદગીને ધ્યાનમાં લઈને પછી જ તેને પામ વૃક્ષની ખેતીમા જોતરવો જોઈએ. આ પ્રક્રિયા પામની ખેતી માટેની નીતિનો એક ભાગ  જ હોવો જોઈએ

જવાબદારી નક્કી કરવી જરૂરી

જો પાક નિષ્ફળ જાય તો જવાબદારી કોની? માત્ર ખેડૂત પર તેનો બોજો ન આવવો જોઈએ. આ કામગીરી કરતી એજન્સી, રાજ્ય અને કેન્દ્ર સરકાર ત્રણેયને માથે ઉત્પાદન આધારિત જવાબદારી નક્કી થવી જોઈએ.

તેલ પામ અને પરંપરાગત તેલબીજ: સ્પર્ધા નહીં, પૂરક

તેલ પામે સરસવ, મગફળી અને સોયાબીન જેવા પરંપરાગત પાકોને બદલી નાખવા નહીં, પરંતુ પૂરક બનવું જોઈએ. પામની ખેતી કરવા માટે સરસવ, મગફળી કે સોયાબિનની ખેતી બંધ કરી દેવાનો માર્ગ અપનાવવો ઉચિત નથી જ નથી.  ભારતને આક્રમક વિસ્તરણ નહીં, બુદ્ધિશાળી સંકલનની જરૂર છે. હેક્ટર નહીં, વર્ષો સુધી મળતી ટન ઉત્પાદન જ યેલો રેવોલ્યુશનની સાચી કસોટી છે. બીજા શબ્દોમાં કહીએ તો યેલો રેવોલ્યુશન 2.0 લક્ષ્યાંક આધારિત નહીં, પરિણામ આધારિત હોવી જોઈએ.

Read Previous

તમે વજન ઘટાડવાની ઇમ્પોર્ટેડ દવા ખરીદો છો? આટલું જરૂર વાંચી લો

Read Next

MSME ફાર્મા એકમોને અપગ્રેડ કરવા  યુનિયન બજેટમાં વિસ્તૃત ક્રેડિટ ગેરંટી યોજના આપવાની માગણી કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular