• 15 September, 2026 - 9:51 AM

નવા માઇનિંગ નિયમો ઉલ્લંઘન કરનારાઓને મોટી રાહત આપી શકે

નવા માઇનિંગ નિયમો ઉલ્લંઘન કરનારાઓને મોટી રાહત આપી શકે
ગેરકાયદે ઉત્ખનન વધી શકે અને પેનલ્ટીમાંથી છટકી પણ જઈ શકે તેવો ઉત્ખનના ક્ષેત્રના નિષ્ણોતોનો મત
નવા નિયમો હેઠળ દંડ મર્યાદિત થશે. દંડની રકમ લીઝના કદને આધારે નક્કી કરાશે.  નવા નિયમ હેઠળ એક સમરી-ડિસ્પોઝલ (ટૂંકી પતાવટ) વિકલ્પ આપવામાં આવ્યો છે. લીઝ ધારક નિર્ધારિત ન્યૂનતમ દંડ ચૂકવે અને ઉલ્લંઘનને સુધારી લે તો કોઈ પૂછપરછ વિના કેસ બંધ કરી શકાશે
નવા માઇનિંગ પેનલ્ટી નિયમો નાગરિક દંડ (સિવિલ પેનલ્ટી) મર્યાદિત કરીને અને પૂછપરછ વિના ઉલ્લંઘનોનો નિકાલ કરવાની મંજૂરી આપીને અમલીકરણને નબળું પાડી શકે છે. કેન્દ્ર સરકારે માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન-MMDR એમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૬ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી તે પહેલાંના દિવસોમાં અધિસૂચિત કરવામાં આવેલા નિયમો અગાઉના અમલીકરણ માળખાની સરખામણીમાં મિનરલ કન્સેશન ધારકો માટે ઉલ્લંઘન કરીને છટકી જવાનું વધુ સરળ બનાવી શકે છે. 
માઇન્સ મંત્રાલયે ૩૦ જુલાઇના રોજ ‘ધ માઇન્સ એન્ડ મિનરલ્સ એડજ્યુડિકેશન ઓફ પેનલ્ટીઝ રૂલ્સ, ૨૦૨૬’ અધિસૂચિત કરવામાં આવ્યા હતા અને ૧ ઓગસ્ટથી અમલમાં મૂકવામાં આવ્યા હતા. માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન-MMDR એમેન્ડમેન્ટ વિધેયકને ૧૭ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. આ નિયમો માઇનિંગ લીઝ ધારકો દ્વારા કરવામાં આવતા ઉલ્લંઘનો સાથે કેવી રીતે પતાવટ કરવી તેમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાવ્યા છે.
ઉદાહરણ તરીકે, અગાઉના અમલીકરણ મોડેલ હેઠળ, નાણાકીય દંડ ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરવામાં આવેલા ખનિજોના મૂલ્ય અને પ્રમાણ તથા સરકારી તિજોરીને થયેલા નુકસાન સાથે જોડાયેલો હતો. નવા નિયમો એક સિવિલ-પેનલ્ટી મિકેનિઝમ બનાવે છે, જેમાં દંડ પ્રમાણમાં મર્યાદિત છે અને તેને લીઝના કદ સાથે જોડવામાં આવ્યો છે. તેઓ એક સમરી-ડિસ્પોઝલ (ટૂંકી પતાવટ) રસ્તો પણ રજૂ કરે છે, જેના હેઠળ જો લીઝ ધારક નિર્ધારિત ન્યૂનતમ દંડ ચૂકવે છે અને ઉલ્લંઘનને સુધારી લે છે, તો કોઈ પૂછપરછ વિના કેસ બંધ કરી શકાય છે.
માઇનિંગ અમલીકરણથી પરિચિત નિષ્ણાતો અને અધિકારીઓએ નવા માળખાને “લીઝધારક-તરફી (પ્રો-લીઝી)” હોવાનું ગણાવ્યું છે. નવા નિયમો સિવિલ પેનલ્ટી પર એક નિર્ધારિત મર્યાદા નક્કી કરે છે. નવા નિયમો ગેરકાયદેસર ખનનના આર્થિક મૂલ્યની વસૂલાત કરવાના અગાઉના અભિગમથી અલગ છે. માઇનિંગ લીઝ ધારકો માટે, ગેરકાયદેસરતા માટેનો દંડ લીઝના કદ પ્રમાણે  નક્કી કરવામાં આવ્યા છે. પાંચ હેક્ટર સુધીની લીઝ માટે, રિપોર્ટિંગ સિવાયના ઉલ્લંઘનો માટે હેક્ટર દીઠ રૂ. ૨,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ નો દંડ લાગે છે. પાંચથી વધુ અને ૫૦ હેક્ટર સુધીની લીઝ માટે દંડ રૂ. ૩,૦૦૦-૧૫,૦૦૦ પ્રતિ હેક્ટર રાખવામાં આવ્યો છે. પચાસથી વધુ અને ૧૫૦ હેક્ટર સુધીની લીઝ માટે રૂ. ૪,૦૦૦-૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર અને ૧૫૦ હેક્ટરથી વધુની લીઝ માટે રૂ. ૫,૦૦૦-૨૫,૦૦૦ પ્રતિ હેક્ટર દંડ છે. તેમાંય રૂ. ૫૦ લાખ સુધીનો દંડ કરવાની મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે. 
રિપોર્ટિંગ સંબંધિત ઉલ્લંઘનો માટે લીઝના કદના આધારે રૂ. ૫,૦૦૦, રૂ. ૧ લાખ, રૂ. ૨ લાખ અને રૂ. ૩ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં જણાવ્યા મુજબ ઓડિશાના ભૂતપૂર્વ એડિશનલ ડાયરેક્ટર ઓફ માઇન્સ યુ સી જેનાએ જણાવ્યું હતું કે, “આ નિયમો ગેરકાયદેસર ખનનમાં સામેલ લીઝધારકોને ફાયદો પહોંચાડી શકે છે. એકવાર લીઝધારક નિર્ધારિત ન્યૂનતમ દંડ ભરીને અને ઉલ્લંઘન સુધારીને પૂછપરછમાંથી મુક્ત થઈ શકે, પછી અમલીકરણનું કાયદાકીય દબાણ અથવા ભય નોંધપાત્ર રીતે નબળો પડી જાય છે. આ લીઝધારકને અસરકારક રીતે એક અનુમાનિત બહાર નીકળવાનો રસ્તો (એક્ઝિટ રૂટ) આપી શકે છે.”
એક કાલ્પનિક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતુ કે, કોઈ લીઝધારક ૧૨ મિલિયન ટન એટલે કે 1.20 કરોડ ટન ખનિજ કાઢે છે. પરંતુ તેની પાસે માત્ર ૧૦ મિલિયન ટન એટલે કે 1 કરોડ ટન ખનીજ કાઢવાનીની મંજૂરી છે. ઉત્ખનન કરનારનું આ ઉલ્લંઘન નિરીક્ષણ દરમિયાન પકડાય છે. અગાઉ, લીઝધારકે દંડ સાથે વધારાના બે મિલિયન ટનની કિંમત પણ ચૂકવવી પડતી હતી. જો કે, નવા માળખામાં ખર્ચ વસૂલાત માટે કોઈ જોગવાઈ નથી, તેમ તેમણે જણાવ્યું હતું.
ગેરકાયદેસર ખનન અંગે ઓડિશાના અનુભવને ટાંકીને, ભૂતપૂર્વ માઇનિંગ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યએ ૨૦૦૧-૧૦ દરમિયાન ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરવામાં આવેલા ખનિજોની કિંમત અને દંડ પેટે રૂ. ૬૩,૦૦૦ કરોડની માંગણી ઊભી કરી હતી. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના નિર્દેશો પછી, આ રકમ સુધારીને રૂ. ૨૧,૦૦૦ કરોડ કરવામાં આવી હતી અને રાજ્યએ ડિફોલ્ટિંગ માઇનિંગ લીઝ ધારકો પાસેથી રૂ. ૧૬,૦૦૦ કરોડ વસૂલ કર્યા હતા. “જ્યારે લીઝ ધારક મંજૂર કરેલ જથ્થા કરતા વધુ ખનિજો કાઢે છે, ત્યારે આર્થિક લાભ સેંકડો કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જ્યારે પર્યાવરણીય અને સામાજિક ખર્ચ રાજ્ય અને ખાણ-પ્રભાવિત સમુદાયો દ્વારા ભોગવવામાં આવે છે. પ્રતિ હેક્ટર કેવળ થોડા હજાર રૂપિયા લેખે ગણવામાં આવેલો દંડ અન્યાયી રીતે કાઢવામાં આવેલા ખનિજનું મૂલ્ય વસૂલ કરવામાં કેવી રીતે મદદ કરી શકે?” એવો સવાલ તેમણે કર્યો છે.
MMDR એક્ટની કલમ ૪ અને કલમ ૨૧ હેઠળ સત્તા વગર ગેરકાયદેસર ખનન કે ખનિજોનું વહન એક ફોજદારી અને દખલપાત્ર  ગુનો હતો, જ્યારે નવા નિયમો ખાસ કરીને નિયમનકારી બિન-પાલન માટે વહીવટી અથવા સિવિલ દંડ કરાશે
જોકે નવા નિયમોમાં એડજ્યુડિકેટિંગ ઓફિસરને “ઉલ્લંઘનમાંથી મેળવેલ અયોગ્ય લાભ અથવા ફાયદો” અને સરકારને થતા સંભવિત “નાણાકીય નુકસાન” ઉપરાંત તેની ગણી શકાય તેવી રકમ ધ્યાનમાં લેવાની જરૂર પડે છે, તેમ છતાં નિષ્ણાતોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આ પરિબળો ગેરકાયદેસર રીતે કાઢવામાં આવેલા ખનિજોનું પૂરું આર્થિક મૂલ્ય વસૂલ કરી શકે છે, કે પછી તેઓ માત્ર નક્કી કરેલા સિવિલ દંડની રકમને જ પ્રભાવિત કરે છે. ડેલોઇટ ટુચે તોહમાત્સુ ઇન્ડિયા એલએલપીના પાર્ટનર રાજીવ મૈત્રાએ જણાવ્યું હતું કે MMDR એક્ટની કલમ ૪ અને કલમ ૨૧ હેઠળ કાયદેસરની સત્તા વગર ગેરકાયદેસર ખનન કે ખનિજોનું વહન અગાઉ એક ફોજદારી અને દખલપાત્સંર (ક્રોગ્નિઝેબલ) ગુનો હતો, જ્યારે નવા નિયમો ખાસ કરીને નિયમનકારી બિન-પાલન માટે વહીવટી અથવા સિવિલ દંડ નક્કી કરવા માટેનું એક માળખું સ્થાપિત કરે છે. “અગાઉ, દંડની સાથે સાથે, રાજ્યો ગેરકાયદેસર રીતે કાઢવામાં આવેલા ખનિજોની કિંમત અથવા ભાવ પણ વસૂલ કરતા હતા. નવા નિયમોમાં સ્પષ્ટ ખર્ચ-વસૂલાતની જોગવાઈ આગળ ખેંચવામાં આવી નથી,” એમ તેમણે કહ્યું હતુ.
આ નિયમો માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૭ (૧૯૫૭ નો ૬૭) ની કલમ ૨૫D હેઠળ ઘડવામાં આવ્યા છે અને કલમ ૨૫A હેઠળ આવરી લેવામાં આવેલા ઉલ્લંઘનોને સંચાલિત કરે છે. નિર્ધારિત સિવિલ-પેનલ્ટી ફ્રેમવર્ક તરફનો આ ફેરફાર, જોકે, એવી ચિંતાઓ ઊભી કરે છે કે જ્યાં ઉલ્લંઘન કલમ ૨૫A હેઠળ આવે છે ત્યાં અમલીકરણ નાણાકીય રીતે ઓછું સજાપાત્ર બની શકે છે.
નવા નિયમો રાજ્ય સરકારની સત્તા છીનવી શકે
માઇનિંગ અને પર્યાવરણીય કાયદાઓ સાથે સંકળાયેલા વરિષ્ઠ એડવોકેટ શંકર પ્રસાદ પાણીએ જણાવ્યું હતું કે આ નિયમો માત્ર માઇનિંગ કાયદાના ઉલ્લંઘનને ગુનાહિત શ્રેણીમાંથી બહાર (ડેક્રિમિનલાઇઝ) જ નથી કરતા, પરંતુ રાજ્યોની સત્તા પણ છીનવી શકે છે. ઘણી વખત, ગૌણ અને મુખ્ય બંને ખનિજો માટેની લીઝના બહાના હેઠળ ગેરકાયદેસર ખનન થાય છે. “ચિંતાની વાત એ છે કે નિયમ ૬ કહે છે કે જો લીઝધારક શિડ્યુલમાં દર્શાવેલ ન્યૂનતમ રકમ ચૂકવે છે અને ઉલ્લંઘન સુધારે છે તો કોઈ પૂછપરછ શરૂ કરવામાં આવશે નહીં કે ચાલુ રાખવામાં આવશે નહીં,” પાણીએ જણાવ્યું હતું.
નવા નિયમો ફરિયાદો પર ત્રણ વર્ષની સમય મર્યાદા પણ નક્કી કરે છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિકૃત ગેઝેટેડ અધિકારીએ કલમ ૨૫A ના ઉલ્લંઘન માટે ઉલ્લંઘનની તારીખથી ત્રણ વર્ષની અંદર ફરિયાદ નોંધાવવી પડશે. પરંતુ માઇનિંગના ઉલ્લંઘનો ક્યારેક ઉત્પાદન, ડિસ્પેચ, રોયલ્ટી, સેટેલાઇટ અથવા નિરીક્ષણ ડેટાના સરખામણી અને મિલાન પછી જ સપાટી પર આવે છે, પાણીએ ઉમેર્યું હતું કે ત્રણ વર્ષની મર્યાદા એવા કિસ્સાઓમાં અમલીકરણને નબળું પાડી શકે છે જ્યાં અનિયમિતતાઓ મોડેથી પકડાય છે.
કેપીએમજી ઇન ઇન્ડિયાના મેટલ્સ એન્ડ માઇનિંગના પાર્ટનર અને નેશનલ લીડર અમિત ભાર્ગવે જણાવ્યું હતું કે માઇન્સ એન્ડ મિનરલ્સ એડજ્યુડિકેશન ઓફ પેનલ્ટીઝ રૂલ્સ ૨૦૨૬ એ મુખ્ય ખનિજો માટે પેનલ્ટી એડજ્યુડિકેશન ફ્રેમવર્કને સુવ્યવસ્થિત કરવા અને અમલમાં મૂકવા માટે અનિવાર્યપણે વ્યાખ્યાયિત કરવામાં આવેલા નિયમોનો એક સર્વગ્રાહી પ્રયાસ છે. “આ પ્રક્રિયાને ડિજિટલી અમલમાં મૂકવાનો ઇરાદો ધરાવે છે. તેથી તે વધુ માળખું, પારદર્શિતા અને માનકીકરણ લાવવાનો પ્રયાસ કરે છે,” એમ તેમણે કહ્યું હતુ.  સ્ટીલ અને માઇન્સ ડિપાર્ટમેન્ટ, ઓડિશાના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે નવા માળખાને સુધારેલા MMDR એક્ટની મૂળભૂત જોગવાઈઓ અને ગેરકાયદેસર ખનનને સંચાલિત કરતી અન્ય પદ્ધતિઓ સાથે વાંચવું જોઈએ. “નવા નિયમોને આપમેળે ગેરકાયદેસર રીતે ઉછેરેલા ખનિજોના મૂલ્યને વસૂલ કરવા માટેના અન્ય તમામ વૈધાનિક મિકેનિઝમને નાબૂદ કરવા તરીકે વાંચવા જોઈએ નહીં.”
નવા નિયમોનું ભૌગોલિક ક્ષેત્ર
નવા ઘડાયેલા માઇન્સ એન્ડ મિનરલ્સ એડજ્યુડિકેશન ઓફ પેનલ્ટીઝ રૂલ્સ, ૨૦૨૬એ કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલય દ્વારા MMDR એક્ટ હેઠળ નોટિફાય કરવામાં આવ્યા છે. તેથી, આ નિયમો કોઈ ચોક્કસ રાજ્ય પૂરતા મર્યાદિત નથી પરંતુ સમગ્ર ભારતમાં (હરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં) એકસમાન રીતે લાગુ પડશે. 

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

આજના ટ્રેડિંગ સેશન માટે નિફ્ટી સ્પોટ (Nifty Spot)માં શુ થઈ શકે?

Most Popular