ઔદ્યોગિક લીઝ રાઇટ્સ ટ્રાન્સફર પર કોઈ GST લાગશે નહીં: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
ઔદ્યોગિક લીઝ રાઇટ્સ ટ્રાન્સફર પર કોઈ GST લાગશે નહીં: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાતના ઘણા ઔદ્યોગિક એકમો સામે તોળાતી મોટા ટેક્સની માંગના વિવાદનો કાયમી અંત આવ્યો છે
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા ફાળવવામાં આવેલા ઔદ્યોગિક પ્લોટના લાંબા ગાળાના લીઝહોલ્ડ અધિકારોની ટ્રાન્સફર પર કંપનીઓ પાસેથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે કરદાતાઓના પક્ષને માન્ય રાખતા અને જાન્યુઆરી ૨૦૨૫ ના ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે કેન્દ્ર સરકારની સ્પેશિયલ લીવ પેટિશનને ફગાવી દેતાં આ મહત્વનો નિર્ણય આપ્યો છે.
જસ્ટિસ પામિડીઘંટમ શ્રી નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે નોંધ્યું હતું કે અદાલતે ૨૨ મેના રોજ આવી જ એક અરજી પહેલાથી જ ફગાવી દીધી હતી. આ આદેશથી ગુજરાતના ઘણા ઔદ્યોગિક એકમો સામે તોળાતી મોટા ટેક્સની માંગના વિવાદનો કાયમી અંત આવ્યો છે. ટોચની અદાલત અને અન્ય કેટલીક હાઈકોર્ટમાં કરદાતાઓ વતી કેસ લડનારા ‘રાસ્તોગી ચેમ્બર્સ’ના સ્થાપક અભિષેક એ. રાસ્તોગીએ જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહેસૂલ વિભાગની સ્પેશિયલ લીવ પિટીશન પર હસ્તક્ષેપ કરવાનો બે વાર ઇનકાર કર્યો છે. આનાથી એ સુનિશ્ચિત થયું છે કે લાંબા ગાળાના લીઝહોલ્ડ અધિકારોના ટ્રાન્સફર પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડતો નથી અને જો તપાસ દરમિયાન કોઈ રકમ ચૂકવવામાં આવી હોય તો તેનો રિફંડ મેળવવા માટે કંપનીઓ હકદાર રહેશે.”
GIDC કંપનીઓને સામાન્ય રીતે ૯૯ વર્ષ માટે લાંબા ગાળાના લીઝ પર ઔદ્યોગિક જમીન ફાળવે છે. સમય જતાં, ઘણા મૂળ ફાળવણીધારકો પ્લોટ પર ફેક્ટરી કે ગોડાઉન બાંધ્યા પછી એકમ રકમ લમસમ લઈને આ લીઝ રાઇટ્સ બીજી કંપનીઓને ટ્રાન્સફર કરે છે. ૨૦૧૭ માં GST ના અમલ પછી, કરવેરા સત્તામંડળોએ આવા ટ્રાન્સફરને કરપાત્ર સેવા ગણવાનું શરૂ કર્યું હતું અને ૧૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની માંગણી કરતી શો-કોઝ નોટિસો ફટકારી હતી. કંપનીઓ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એ આ નોટિસોને પડકારી હતી.
તેમણે દલીલ કરી હતી કે પૂર્ણ લીઝહોલ્ડ અધિકારોનું સ્થાનાંતરણ એ મૂળભૂત રીતે જમીનમાં રહેલા હિતનું વેચાણ છે, જેને સ્થાવર મિલકત તરીકે ગણવામાં આવે છે અને સેન્ટ્રલ GST એક્ટની શેડ્યૂલ III મુજબ તેને GST ની બહાર રાખવામાં આવ્યું છે. આવા ટ્રાન્સફર પર પહેલાથી જ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવે છે, તેથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવો એ બેવડો ટેક્સ ગણાશે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં ગુજરાત હાઈકોર્ટે કરદાતાઓની આ દલીલ માન્ય રાખી હતી. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યારે કોઈ લીઝધારક પોતાના લાંબા ગાળાના લીઝ રાઇટ્સ સંપૂર્ણપણે ટ્રાન્સફર કરીને પોતે તેમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે તે વ્યવહાર સ્થાવર મિલકતનું સ્થાનાંતરણ છે, સેવાની સપ્લાય નથી. તેથી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડતો નથી. હાઈકોર્ટે મોટી સંખ્યામાં કેસોમાં જારી કરાયેલી ટેક્સ નોટિસો રદ કરી હતી. કેન્દ્ર સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં SLP દ્વારા પડકાર્યો હતો, જે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી માગવાનો કાનૂની માર્ગ છે.
સુપ્રીમ કોર્ટે હવે ગુજરાતમાં ઔદ્યોગિક પ્લોટના લીઝહોલ્ડ અધિકારો માટેના આ વિવાદનો ઉકેલ લાવી દીધો છે. લીઝહોલ્ડ અધિકારોના ટ્રાન્સફર માટે જે કંપનીઓને ટેક્સ નોટિસો મળી હતી તેમણે હવે તે વ્યવહારો પર ૧૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે નહીં. રાસ્તોગીએ ઉમેર્યું હતું કે આ ચુકાદો એ સિદ્ધાંતને પણ મજબૂત કરે છે કે જમીનમાં લાંબા ગાળાના લીઝહોલ્ડ અધિકારોનું શુદ્ધ સ્થાનાંતરણ જીએસટી હેઠળ કરપાત્ર નથી, જોકે આ નિર્ણય ચોક્કસ તથ્યો પર આધારિત છે. આમ આ ચુકાદો કરદાતાઓની સ્થિતિને સમર્થન આપે છે અને ગુજરાત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કેન્દ્ર સરકારની સ્પેશિયલ લીવ પેટિશનને ફગાવી દીધી છે.
