જર્કે 2026-27ના વર્ષ માટે સરકારી કંપનીઓ, ટોરેન્ટ પાવરના વીજદરમાં વધારો ન કર્યો

ગુજરાતભરમાંથી પ્રીપેઈડ સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકોને એનર્જી ચાર્જ પર અપાતું રીબેટ વધારી ૩ ટકા કર્યું, પહેલા બે ટકા રિબેટ અપાતું હતું
અમદાવાદઃ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને ટોરેન્ટ પાવરને ટેરિફ પીટીશનનું હિયરિંગ કર્યા બાદ ગુજરાત વીજ નિયમન પંચે એક પણ કંપનીને વીજળીના યુનિટદીઠ ચાર્જમાં વધારો કરવાની છૂટ આપી નથી. આમ ગુજરાતના વીજગ્રાહકોને આ વરસે કોઈ વીજદર વધારાનો બોજ સહન કરવાનો આવશે નહિ. દરેક કંપનીઓની એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટની પીટીશન અંગે હિયરિંગ કર્યા પછી પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજીતરફ પ્રીપેઈડ સ્માર્ટ મીટરીંગ એને તેની બિલિંગ વ્યવસ્થાને અપનાવનાર ગ્રાહકોને એનર્જી ચાર્જ પર આપવામાં આવતું વળતર બે ટકાથી વધારીને ૩ ટકા કરી આપવામાં આવ્યું છે. તદુપરાંત ટાઈમ ઓફ યુઝના ડિસ્કાઉન્ટનો લાભ રેસિડન્ટના વીજજોડાણ ધારકો અને કોમર્શિયલ નાના વીજ જોડાણધારકોને આપવામાં આવશે. આ લાભ ટ્રસ્ટ અને શૈક્ષણિક સંસ્થાના વીજ જોડાણ ધરાવનારાઓને પણ આપવામાં આવશે. આ સુવિધા આ અગાઉ માત્ર પ્રીપેઈડ બિલિંગમાં જ આપવાાં આવતી હતી.લો ટેન્શન અને હાઈટેન્શન ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનને પણ આ લાભ આબવામાં આવ્યો છે. લૉ ટેન્શન મેક્ઝિમમ ડિમાન્ડ ધરાવતા એકમોને પણ આ સુવિધા આપવામાં આવી છે.
ટાઈમ ઓફ યુઝના ડિસ્કાઉન્ટની સુવિધા વૉટર વર્ક્સને પણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ જોડાણ ૫૦ હોર્સ પાવરથી વધારે હશે તો જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ટીઓડી સુવિધા વાળું મીટર લગાડવામાં આવ્યું હશે તેવા રહેઠાણના, લૉ ટેન્શન મેક્ઝિમમ ડિમાન્ડ અને લૉ ટેન્શન ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનોને જ આ લાભ આપવામાં આવશે. ટાઇમ ઓફ યુઝના ચાર્જની સાથે જ ગ્રાહકોને ટાઈમ ઓફ યુઝના ડિસ્કાઉન્ટનો પણ લાભ આપવામાં આવશે.
ટાઈમ ઓફ યુઝના સમયગાળામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટાઈમ ઓફ યુઝનોન ચાર્જ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં બપોરે બારથી સાંજના ૫ વાગ્યા સુધી અને સાંજે ૬.૩૦ કલાકથી ૯.૩૦ વાગ્યા સુધીનો સમયગાળો પસંદ કરવામાં આવ્યો છે. તેમ જ સુરત માટે સવારે સાતથી બપોરે ૧૧ વાગ્યા સુધીનો અને સાંજના ૬ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીનો ગાળો ટાઈમ ઓફ યુઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત માટે ટાઈમ ઓફ યુઝનો સમયગાળો સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યાનો અને સાંજના પાંચ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
ગ્રીન પાવરના યુનિટદીઠ ચાર્જ ઉપરાંત લેવાતા યુનિટદીઠ ૯૦ પૈસાના ચાર્જમાં ૧૫ પૈસાનો ઘટાડો કરીને ૭૫ પૈસા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ગ્રીન પાવર કરનારાઓને જ એક્સપોર્ટના માર્કેટમાં લાભ મળશે તેવી શરતો કેટલાક દેશો રાખતા હોવાથી તેમને આ રાહત આપવામાં આવી છે.
સોલાર અવર્સ રિબેટ આપશે
સવારે ૧૧ કલાકથી બપોરે ૧૫ કલાક એટલે કે ત્રણ વાગ્યા સુધીના ગાળામાં કરવામાં આવતા વીજ વપરાશ પર સોલાર અવર્સ રિબેટ આપવામાં આવશે. યુનિટદીઠ ૩૦ પૈસાનું રિબેટ આપવામાં આવશે.



