આકારણી સાથે જ હવે આવકવેરા અધિકારી પેનલ્ટીનો ઓર્ડર કરી દેશે

- આવકવેરા અધિકારીની નોટિસમાં દર્શાવેલી આકારણીની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે.
- બજેટમાં કરવામાં આવેલા ફેરફારને કારણે ટેક્સની રકમના માત્ર દસ ટકા ભરીને સ્ટે મેળવી શકાશે
- કરદાતાએ અપીલ પેન્ડિંગ હશે ત્યાં સુધી પેનલ્ટીની રકમ પર કોઈ જ વ્યાજ ચૂકવવું પડશે નહિ
આવકવેરાના રિટર્નની આકારણી કરવાની સાથે જ હવે આવકવેરા અધિકારી માટે પેનલ્ટીનો ઓર્ડર કરી દેવાનો ફરજિયાત કરવામાં આવ્યો છે. આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રસ્તુત ફેરફાર કરવામાં આવ્યો છે.
પહેલી એપ્રિલ 2027થી અમલમાં આવનારી આ નવી વ્યવસ્થા હેઠળ આવકવેરા અધિકારીએ આકરણીનો ઓર્ડર કરે તેની સાથે જ પેનલ્ટીનો ઓર્ડર ફરજિયાત કરવો પડે તેવી જોગવાઈ નવા બજેટમાં કરવામાં આવી છે. આ બંને બાબતો એક જ ઓર્ડરમાં કરી દેવાન રહેશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સપન વસાનું કહેવું છે કે આ નવી જોગવાઈને પરિણામે પરિણામે કરદાતાઓ એક પછી એક અલગ અલગ પ્રોસિજર કરવી પડશે નહિ.
આજે રજૂ કરેલા બજેટના માધ્યમથી નવી કરવામાં આવેલી જોગવાઈ મુજબ કલમ 220(2)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કમિશનર અપીલ અથવા તો આઈટીએટી-ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા ઓર્ડર કરવામાં આવે તે પછી નોટિસ દર્શાવેલી આકારણીની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. પરંતુ પેનલ્ટીની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે નહિ. અપીલ પેન્ડિંગ હશે ત્યાં સુધી કોઈ જ વ્યાજ ચૂકવવું પડશે નહિ
અત્યારની કાયદાકીય જોગવાઈ હેઠળ આવકવેરા આકારણીનો ઓર્ડર કરે તેમાં પેનલ્ટીની પ્રક્રિયા ચાલુ કરવા માટેની કારણદર્શક નોટિસ આપે છે. ત્યારબાદ કરદાતાને યોગ્ય રજૂઆત કે સ્પષ્ટતા કરવાની તક આપ્યા પછી પેનલ્ટીનો ઓર્ડર કરે છે.
આવકવેરા કાયદાની વર્તમાન જોગવાઈ મુજબ કરદાતાએ વેરા અને વ્યાજ સાથેની ભરવાપાત્ર બનતી રકમના 20 ટકા રકમ જમા કરાવ્યા બાદ જ તેની બાકીની રકમ પર રિકવરી સામે સ્ટે મળી જાય છે. બજેટમાં કરવામાં આવેલા ફેરફારને કારણે ટેક્સની રકમના માત્ર દસ ટકા ભરીને સ્ટે મળી જશે.




