સાયબર ફ્રોડ માટે વપરાતા શંકાસ્પદ એકાઉન્ટની નાણાંકીય લેવડદેવડ 20 દિવસ સુધી અટકાવી દેવાશે

સાયબર ફ્રોડ માટે વપરાતા શંકાસ્પદ એકાઉન્ટની નાણાંકીય લેવડદેવડ 20 દિવસ સુધી અટકાવી દેવાશે
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સાયબર ફ્રોડ માટે વપરાતા હોવાનું મનાતા શંકાસ્પદ મની મ્યુલ એકાઉન્ટ્સમાંથી નાણાનો ઉપાડ કરવા પર પ્રતિબંધ લગાવી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રીતે ફ્રોડ કરીને નાણાં જમા મેળવવા માટે વપરાયેલા ખાતામાં જમા થયેલી રકમો અંગે ખાતેદાર તરફથી યોગ્ય ખુલાસાઓ ન કરવામાં આવે તો તે ખાતામાંથી 20 દિવસ સુધી નાણાંનો ઉપાડ કરવા દેવામાં આવશે નહિ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મની-મ્યુલ પ્રવૃત્તિઓ અને સાયબર નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલી શંકાસ્પદ રકમ અથવા ખાતાઓ પર અસ્થાયી ડેબિટ હોલ્ડ મૂકવા માટે બેંકો માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર દાખલ કરવાની દરખાસ્ત મૂકી છે. આ પ્રકારના કિસ્સાઓમાં અસ્થાયી ડેબિટ હોલ્ડ માટે નિર્ધારિત પ્રોસિજનર નકકી કરવા માટે સુપ્રીમ કોર્ટે ૪ ઓગસ્ટના રોજ આપેલા આદેશ બાદ આ ડ્રાફ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
પ્રસ્તાવિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હેઠળ, બેંકોએ શંકાસ્પદ મની મ્યુલ ટ્રાન્ઝેક્શન તરીકે ઓળખાયેલા ટ્રાન્ઝેક્શન પર એટલે કે ટ્રાન્ઝેક્શનમાં જમા આવેલી રકમનો ઉપાડ કરવા સામે તાત્કાલિક અસ્થાયી ડેબિટ હોલ્ડ મૂકવો પડશે. જો સમગ્ર ખાતું જ શંકાસ્પદ મની મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખાય, તો સમગ્ર ખાતામાં નાણાંકીય વહેવાર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવશે.
શંકાસ્પદ મની મ્યુલ ટ્રાન્ઝેક્શનને રૂ. ૧,૦૦૦ કે તેથી વધુના એવા ટ્રાન્ઝેક્શન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે કે જેને બેંકોની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત ટૂલ્સ સહિતની ટ્રાન્ઝેક્શન-મોનિટરિંગ સિસ્ટમ્સ દ્વારા ફ્લેગ કરવામાં આવ્યા હોય. આમાં એવા ટ્રાન્ઝેક્શન્સનો સમાવેશ થાય છે જે ગ્રાહકની જાહેર કરેલી પ્રોફાઇલ કરતાં અસામાન્ય કે અપ્રમાણસર હોય અથવા જે મની મ્યુલ કે છેતરપિંડી તરીકે અગાઉ રિપોર્ટ થયેલા ખાતા સાથે જોડાયેલા હોય તેને માટે આ પ્રોસિજર લાગુ કરવામાં આવશે. બેંકોએ ગ્રાહકને હોલ્ડ, તેના કારણો, તેને હટાવવાની પ્રક્રિયા અને સંબંધિત અધિકારીની સંપર્ક વિગતો વિશે તાત્કાલિક જાણ પણ તેની સાથે જ કરવી પડશે. ટ્રાન્ઝેક્શન અથવા એકાઉન્ટની વાસ્તવિકતા અંગે ગ્રાહકોને ખુલાસો અથવા સ્પષ્ટતા કરતો પત્ર રજૂ કરી દેવામાં આવે તે પછી ૨૦ દિવસનો સમય મળશે. ગ્રાહકનો ખુલાસો મળ્યાના ૧૦ દિવસની અંદર બેંકે નિર્ણય લેવો પડશે. જો કોઈ ખુલાસો પ્રાપ્ત ન થાય, તો અસ્થાયી ડેબિટ હોલ્ડની તારીખથી ૩૦ દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે. જો બેંક ગ્રાહકના ખુલાસાથી સંતુષ્ટ થાય, તો તેણે તાત્કાલિક હોલ્ડ હટાવવો પડશે.
જો બેંક સંતુષ્ટ ન થાય, તો તે હોલ્ડ ચાલુ રાખશે અને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના સિટિઝન ફાઈનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા સંબંધિત પોલીસ અધિકારીને બાબતની જાણ કરવાની રહેશે. જો રજૂઆતના ૩૦ દિવસની અંદર કાયદા અમલીકરણ એજન્સી અથવા સક્ષમ ઓથોરિટી તરફથી હોલ્ડ ચાલુ રાખવાની કોઈ સૂચના ન મળે, તો બેંકે રજૂઆતની તારીખથી ૩૧મા દિવસે હોલ્ડ હટાવવો પડશે.
આવી સૂચનાના અભાવે, અસ્થાયી ડેબિટ હોલ્ડનો મહત્તમ સમયગાળો પ્રારંભિક હોલ્ડની તારીખથી ૬૦ દિવસનો રહેશે. આરબીઆઈએ પ્રસ્તાવ મૂક્યો છે કે એકાઉન્ટ-સ્તરના હોલ્ડનો ઉપયોગ અંતિમ વિકલ્પ તરીકે અને માત્ર અસાધારણ સંજોગોમાં જ થવો જોઈએ. શંકાસ્પદ મની મ્યુલ અને સાયબર-ફ્રોડ ટ્રાન્ઝેક્શન્સને ઓળખવા માટેની ટેકનોલોજીને આવરી લેતી આંતરિક નીતિઓ બેંકોએ અમલમાં મૂકવી પડશે. તેમણે હોલ્ડ મૂકવા અને હટાવવાના માપદંડો, ગ્રાહક સંચાર, એનસીઆરપી-સીએફસીએફઆરએમએસ પોર્ટલ સાથે જોડાણ અને દાન-ફરિયાદ નિવારણ માટેની વ્યવસ્થા કરવી પડશે.
બેંકોએ હજુ પણ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા પાસે સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ્સ ફાઇલ કરવાની જરૂર રહેશે. જો બેંક એ સ્થાપિત કરે છે કે ખાતું મની મ્યુલ એકાઉન્ટ છે પરંતુ સસ્પિસિયસ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ ફાઈલ કરતી નથી, તો તેને નો-યોર-કસ્ટમર- તમારા ગ્રાહકને ઓળખો અંગેની માર્ગદર્શિકાનું પાલન ન કર્યું હોય તેમ ગણવામાં આવશે.
બેંકોએ અસ્થાયી ડેબિટ હોલ્ડ્સ સાથે સંકળાયેલા કેસોનો સેન્ટ્રલાઈઝ્ડ રેકોર્ડ પણ રાખવો પડશે, જેમાં ગ્રાહકો અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ્સ એકાઉન્ટ બંધ થયા પછી ઓછામાં ઓછા ૫ અથવા ૧૦ વર્ષ માટે જાળવી રાખવા પડશે.
બેંકોએ આવા ખાતાઓ અને ગ્રાહક દ્વારા રાખવામાં આવેલા અન્ય સક્રિય ખાતાઓ અથવા સંબંધોનું ઉન્નત મોનિટરિંગ પણ કરવું પડશે. ગ્રાહકોની ફરિયાદો માટે, બેંકોએ નોડલ ઓફિસર્સની નિમણૂક કરવી પડશે અને તેમની વિગતો તેમની વેબસાઇટ્સ અને શાખાઓ પર દર્શાવવી પડશે. ફરિયાદોનો ઉકેલ ૩૦ દિવસમાં લાવવો પડશે. આરબીઆઈએ બેંકો, અન્ય હિતધારકો અને જનતા પાસેથી ૨ ઓક્ટોબર સુધીમાં ટિપ્પણીઓ મંગાવી છે. આ માર્ગદર્શિકા ૧ એપ્રિલ, ૨૦૨૭થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે.
બેંકો ફ્રોડ સાથે જોડાયેલી રકમ પર તાત્કાલિક રોક લગાવી શકશે; રેકોર્ડ્સ એકાઉન્ટ બંધ થયા પછી ઓછામાં ઓછા ૫ અથવા ૧૦ વર્ષ માટે જાળવી રાખવા પડશે
ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન અંગે ખુલાસો કરવા માટે ૨૦ દિવસનો સમય મળી શકશેઃ જનતા પાસેથી ૨ ઓક્ટોબર સુધીમાં ટિપ્પણીઓ મંગાવીઃ માર્ગદર્શિકા ૧ એપ્રિલ, ૨૦૨૭થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે.
રજૂઆતના ૩૦ દિવસની અંદર કાયદા અમલીકરણ એજન્સી અથવા સક્ષમ ઓથોરિટી તરફથી હોલ્ડ ચાલુ રાખવાની કોઈ સૂચના ન મળે, તો બેંકે રજૂઆતની તારીખથી ૩૧મા દિવસે હોલ્ડ હટાવવો પડશે
