• 4 February, 2026 - 12:21 PM

સેકન્ડહેન્ડ સ્માર્ટ ફોનના બજારમાં ધૂમ તેજી

નવા ફોનના ભાવમાં મોટો વધારો થઈ જતાં જૂના ફોનને નવો ઓપ આપીને કરવામાં આવતા વેચાણમાં તીવ્ર વધારોઃ જૂના આઈફોનનું તગડું બજાર

અમદાવાદઃ નવા સ્માર્ટફોનના ભાવ ઝડપથી વધી રહ્યા હોવાથી અમદાવાદ, ગુજરાત અને ભારતના બજારોમાં સેકન્ડહેન્ડ સ્માર્ટ ફોનને નવો કરીને વેચાણ કરવાના બજારમાં મોટી તેજી જોવા મળી રહી છે. તેજીનો આ ટ્રેન્ડ 2026ના વર્ષમાં જળવાઈ રહેવાની ધારણા છે. સ્માર્ટફોન અને મોબાઈલ ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે 2025માં સેકન્ડરી સ્માર્ટફોન માર્કેટમાં 7થી 8 ટકાનો વધારો થયો હતો. 2026માં આ વૃદ્ધિ વધુ દસ ટકાથી પણ આગળ નીકળી જાય તેવી શક્યતાને નકારી શકાતી નથી.

તેના કારણોમાં ઊંડા ઉતરીએ તો નવા સ્માર્ટ ફોન કે પછી આઈફોનના ભાવમાં મોટો વધારો આવી ગયો છે. તેમ જ તેમની ગુણવત્તા નિયંત્રણમાં સુધારો થયો છે. બીજીતરફ ઑનલાઇન તથા ઑફલાઇન Direct-to-Consumer ચેનલોના વિસ્તરણને કારણે સેકન્ડહેન્ડ-રીફર્બિશ્ડ ફોનની ડિમાન્ડ વધવાની ધારણા છે. 2025માં Amazon અને Flipkart જેવી મોટી ઈ-કોમર્સ કંપનીઓએ રીફર્બિશ્ડ સ્માર્ટફોનના મોટા પાયે વેચાણમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે આ રીતે વેચવામાં આવેલા સ્માર્ટ ફોન રિટર્ન કરવાના કેસો વધુ બનતા હતા. તેમ જ સેકન્ડહેન્ડ સ્માર્ટફોનની ગુણવત્તામાં અસંગતતા હોવાના કારણે આ નિર્ણય લેવાયો હતો. એમોઝોન અને ફ્લિપકાર્ટના પ્રસ્તુત નિર્ણયને કારણે કેટલાક વેચાણકારોને તાત્કાલિક નુકસાન થયું હતું. આ સ્થિતિમાં Cashify અને ControlZ જેવી કંપનીઓએ પોતાનાં ઑનલાઇન પ્લેટફોર્મ અને ઑફલાઇન સ્ટોર્સ વધારીને સીધા ગ્રાહકો સુધી પહોંચવાની રણનીતિ અપનાવી છે.

નવા ફોનના ભાવ વધવાથી રીફર્બિશ્ડ ફોનને ફાયદો

ControlZના સહસ્થાપકોનું કહેવું છે કે નવા ફોનના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થતાં રીફર્બિશ્ડ ફોનની માંગમાં ભારે વધારો થઈ શકે છે. Cashifyના સહસ્થાપકનું કહેવું છે કે મેમરી અને ચિપના ભાવ વધતા જતા હોવાથી આવતા મહિનાઓમાં સ્માર્ટફોન અને લેપટોપના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન પર તેની સૌથી વધુ અસર પડશે. હાલ રૂ.10,000નો ફોન આવતા છ મહિનામાં રૂ.15,000 સુધી પહોંચે તેવી શક્યતા છે, જેનાથી રીફર્બિશ્ડ ફોન તરફ ગ્રાહકો વધુ વળશે.

iPhone બન્યા મુખ્ય ડ્રાઇવર

રીફર્બિશ્ડ માર્કેટને મજબૂતી બક્ષવામાં iPhoneના વધેલા ભાવની ભૂમિકા સૌથી મોટી છે. મોબાઈલ ફોન ઉદ્યોગના અંદાજ મુજબ ભારતમાં રીફર્બિશ્ડ ફોનના કુલ વેચાણમાં iPhoneનો હિસ્સો લગભગ 60 ટકા છે. 2019માં ભારતમાં iPhoneનો બજાર હિસ્સો માત્ર 2 ટકા હતો, જે હવે લગભગ 9 ટકા થયો છે. નવા iPhone મોંઘા હોવાથી ઘણા ગ્રાહકો માટે રીફર્બિશ્ડ iPhone Appleમાં પ્રવેશ કરવાનો સરળ રસ્તો બની રહ્યો છે.

આઈ-ફોનની ડિમાન્ડ છે, પરંતુ વ્યવસ્થિત સપ્લાયમાં પાછળ

સેકન્ડહેન્ડ સ્માર્ટફોન કે આઈફોનની માંગ સતત વધી રહી છે, પરંતુ ગુણવત્તા નિયંત્રણ અને સપ્લાય ચેનલની અછતને કારણે માર્કેટ જોઈએ તેટલું વિકસી શક્યું નથી. પરિણામે ઘણો મોટો હિસ્સો હજુ પણ અનૌપચારિક ગ્રે માર્કેટમાં જાય છે. Counterpointના સંશોધન નિર્દેશકનું કહેવું છે કે Croma, Vijay Sales અને Reliance Digital જેવી મોટી રિટેલ ચેનલ્સ એક્સચેન્જ સ્કીમ અને ટ્રેડ-ઇન દ્વારા સપ્લાય વધારવાનો પ્રયાસ કરી રહી છે.

 

Read Previous

ક્રોસ-બોર્ડર ચુકવણી સરળ બનાવવા RBIએ BRICSની ડિજિટલ કરન્સી જોડવાની દરખાસ્ત મૂકી

Read Next

દવા પર એક્સપેરિમેન્ટ VSમાં કર્યા, નાણાં પ્રયોગ કરનારની પત્નીના ખાતાંમાં જમા થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular