• 10 July, 2026 - 7:14 AM

ખેડૂતો માટે ખુશખબરઃ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ડેવલપ થઈ રહ્યું હોવાથી ચોમાસું નબળું રહેવાની ચિંતા દૂર થઈ જવાની શક્યતા

જળાશયોની સ્થિતિ અને વાવણીનો ટ્રેન્ડ: બંગાળની ખાડીમાં નવું ‘લો-પ્રેશર’ ચોમાસાની ચિંતાઓ દૂર કરશે

નવા લો-પ્રેશરની રચના એ સંકેત આપશે કે વૈશ્વિક સમુદ્રીય-વાતાવરણીય સ્થિતિ ચોમાસાને બચાવનારા પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) માટે અનુકૂળ છે.

ઐતિહાસિક રીતે ‘પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ’ ચોમાસા માટે મદદગાર સાબિત થાય છે અને જો તે આ સિઝનમાં સંપૂર્ણ રીતે વિકસિત થશે, તો તે જૂન મહિનામાં વરસાદની મોટી ઘટ (ડેફિસિટ) ના નુકસાનને ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે.

દેશમાં ચોમાસાના વરસાદ માટે જવાબદાલ ગણાતો હળવા દબાણનો પટ્ટો ભલે મધ્ય અને પશ્ચિમ ભારતથી થોડો દૂર સરકી રહ્યો હોય, પરંતુ જળાશયોમાં પાણીનો સંગ્રહ, ખરીફ પાકની વાવણીની પ્રગતિ અને આગામી સમયમાં વરસાદના પુનરાગમનની શક્યતા જોતા દેશના ખેડૂતો કે પાક માટે વધુ ચિંતા કરવાનું કોઈ કારણ દેખાતું નથી.ચોમાસાની અસમાન પ્રગતિ હોવા છતાં દેશના જળાશયોમાં પાણીનો સંગ્રહ સામાન્ય સ્તરની નજીક છે. સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા મોનિટર કરવામાં આવતા 166 મોટા જળાશયોમાં લાઈવ સ્ટોરેજ 2 જુલાઈ સુધીમાં 47.72 બિલિયન ક્યુબિક મીટર (bcm) હતું, જે આ સમયગાળાના સામાન્ય સ્તર (48.40 bcm) ની લગભગ બરાબર છે. જોકે, આ આંકડો ગયા વર્ષના 78.07 bcm કરતાં ઘણો ઓછો છે.

ટૂંક સમયમાં નવું લો-પ્રેશર સક્રિય થશે

ભારતીય હવામાન વિભાગ (IMD) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ અને હવામાનશાસ્ત્રી કે. જે. રમેશે જણાવ્યું હતું કે, આગામી પાંચથી છ દિવસમાં ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર (હવાનું હળવું દબાણ) સર્જાવાની સંભાવના છે, જે મોટી રાહત આપશે. આ સિસ્ટમ ઓડિશાના બાલાસોર નજીક બનેલી અગાઉની સિસ્ટમ કરતાં થોડી વધુ ઉત્તર તરફ વિકસી શકે છે, પરંતુ તે દેશના પૂર્વીય અને મધ્ય ભાગોમાં ફરીથી વ્યાપક વરસાદ લાવવા માટે સંપૂર્ણ સક્ષમ હશે.

પોઝિટિવ IOD માટે અનુકૂળ સ્થિતિ

રમેશે નોંધ્યું હતું કે, આ નવી સિસ્ટમની રચના દર્શાવશે કે સમુદ્ર અને વાતાવરણનું બેકગ્રાઉન્ડ ચોમાસાને ટેકો આપવા માટે અનુકૂળ છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનું તાપમાન, જે હવે પશ્ચિમ પેસિફિકની સ્થિતિ દ્વારા વધુ મજબૂત બન્યું છે, તે ‘પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ’ના નિર્માણ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી રહ્યું છે. ઐતિહાસિક રીતે ‘પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ’ ચોમાસા માટે મદદગાર સાબિત થાય છે અને જો તે આ સિઝનમાં સંપૂર્ણ રીતે વિકસિત થશે, તો તે જૂન મહિનામાં વરસાદની મોટી ઘટ (ડેફિસિટ) ના નુકસાનને ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે.

ખેડૂતો માટે વિકલ્પો

તેમણે દલીલ કરી હતી કે ચોમાસાનું મૂલ્યાંકન માત્ર વરસાદના સરેરાશ આંકડા કે ટકાવારી જોઈને કરવું અધૂરું ચિત્ર રજૂ કરે છે. સિઝનની સાચી સ્થિતિ જળાશયોના પાણી અને વાવણીની પ્રગતિ પરથી જ જાણી શકાય છે. જે વિસ્તારોમાં જૂન મહિનામાં ઓછો વરસાદ પડ્યો છે, ત્યાં ખેડૂતો પાસે હજુ પણ ટૂંકા ગાળામાં તૈયાર થતા પાકની જાતો (Short-Duration Crop Varieties) પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

સિઝનની સાચી ઓળખ જમીન પર

રમેશે અગાઉના એક ઈન્ટરવ્યૂને યાદ કરતાં કહ્યું: “ચોમાસાની ખરી ઓળખ જમીન પરના આંકડા પરથી થાય છે. લોકો માત્ર ટકાવારી જોઈને ઉતાવળે તારણો કાઢી લે છે. તેના બદલે, સિંચાઈ આધારિત પાક માટે જળાશયોની સ્થિતિ અને વરસાદ આધારિત ખરીફ પાકની વાવણીના કુલ વિસ્તાર (એકરેજ) પર નજર રાખવી જોઈએ, તેનાથી જ સાચું મૂલ્યાંકન થઈ શકશે.”

વાવણીનો મુખ્ય સમયગાળો

1 જુલાઈથી ઓગસ્ટના મધ્ય સુધીનો સમયગાળો મોટાભાગના ખરીફ પાકો માટે વાવણીનો મુખ્ય સમય છે. સામાન્ય રીતે દેશના સારા ચોમાસાના વર્ષોમાં પણ આશરે 15 થી 20 ટકા ભૌગોલિક વિસ્તારમાં વરસાદની અછત રહેતી જ હોય છે. રમેશે ઉમેર્યું, “મહત્વનું એ છે કે વરસાદ ક્યાં પડે છે, માત્ર આંકડા મહત્વના નથી. જો વરસાદ મુખ્ય જળાશયોના કેચમેન્ટ (જળગ્રહણ) વિસ્તારોમાં પડે, તો ઓલ-ઈન્ડિયા વરસાદની ટકાવારી ઓછી હોય તો પણ વાંધો આવતો નથી. બસ તે કાવેરી જેવી મોટી નદીઓના બેસિનમાં ચૂકવો ન જોઈએ.”

મોન્સૂન બ્રેક અને રિકવરી

IMD ના ક્લાઈમેટ રિસર્ચ એન્ડ સર્વિસીસના ભૂતપૂર્વ વડા ડી. એસ. પાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ‘મોન્સૂન બ્રેક’ (વરસાદમાં વિરામ) પાંચથી સાત દિવસનો હોય છે. પશ્ચિમ કિનારા અને મધ્ય ભારતમાં વરસાદ નબળો પડ્યા બાદ બંગાળની ખાડીનું નવું લો-પ્રેશર નક્કી કરશે કે ચોમાસું ઝડપથી પુનરાગમન કરશે કે સૂકો સ્પેલ (ડ્રાય ફેઝ) લંબાશે.

જો કે આ સુપર અલ નીનો (Super El Niño) નું વર્ષ હોવા છતાં, તાજેતરના અઠવાડિયામાં પડેલા વ્યાપક વરસાદથી પીવાના પાણીની ચિંતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. દુષ્કાળગ્રસ્ત મરાઠવાડામાં વરસાદની ઘટ ઘટીને 28 ટકા અને વિદર્ભમાં 19 ટકા થઈ ગઈ છે, જે સામાન્ય શ્રેણીમાં આવે છે. ઉત્તર અને પૂર્વીય ભારતના વિસ્તારો (જેમ કે પૂર્વ ઉત્તર પ્રદેશ અને પંજાબ) માં હજી પણ ઘટ છે, પરંતુ આગામી પખવાડિયું જળાશયોના રિચાર્જ અને ખરીફ વાવણીની ગતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

Read Previous

આજે બજારમાં શું કરશો?

Read Next

TCS Q1 પરિણામો: ચોખ્ખો નફો 4.7 ટકા વધીને ₹13,420 કરોડ થયો, AI થકી થતી આવક $2.6 બિલિયનને વળોટી ગઈ

Most Popular