• 8 March, 2026 - 6:20 AM

થાપણદારોએ રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં જઈને સુરેશ શાહ પાસે નાણાં પાછા માગ્યા

  • સોશિયલ કોઓપરેટીવ બેન્કના ડિરેક્ટર સુરેશ શાહે પૈસા પાછા આપવાની ખાતરી આપવાને બદલે માત્ર ઇન્સ્યુલીનના ઇન્જેક્શન લેવાનો ઢોંગ કર્યો
  • ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીનું 6.5 કરોડનું કૌભાંડમાં નાણાં ગુમાવ્યાનું લાગતા થાપણદારો આક્રમક બન્યા

અમદાવાદઃ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ કોમ્પ્લેક્સમાં સક્રિય ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના 75થી 80 જેટલા થાપણદારોના છ માર્ચે સોસાયટીની ઓફિસમાં પહોંચી જઈને સુરેશ શાહ પાસેથી પોતાના જમા પૈસા પરત માગ્યા હતા. છતાંય સુરેશ શાહે પૈસા પરત કરવાની બાબતે કોઈ જ નિશ્ચિત ખાતરી આપી નહોતી.

બીજીતરફ નાના લોકો પાસે થાપણ એકત્રિત કરનારા તેર એજન્ટ્સ સાથે બેઠક કરીને સોસાયટીના નાણાં રિકવર કરવા માટે સોસાયટીના વર્તમાન બોર્ડના ત્રણ અને સોસાયટીના એજન્ટ તરીકે કામ કરતાં ત્રણ જણ મળીને છ જણની કમિટીની રચના કરવાની દરખાસ્ત મૂકી હતી. જોકે આ સોસાયટીમાંથી લોન લઈને કોણે પરત ચૂકવ્યા નથી તેને લગતી કોઈ જ માહિતી સુરેશ શાહે તેર એજન્ટ્સ સાથેની બેઠકમાં રજૂ કરી નહોતી. પરિણામે આ લોન લેનારા તેમના જ મળતિયાઓ હોવાની શક્યતાને નકારી શકાતી નથી.

ધી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના રૂ. 6.5 કરોડ હડપ કરી જનારા સંચાલક સુરેશ શાહે પોલીસને ખુશ રાખવામાં કોઈ જ કચાશ ન છોડી હોવાથી જ કદાચ 19મી જાન્યુઆરીએ થાપણદારો પાસે ડિપોઝિટ ઉઘરાવનારા એજન્ટોની ફરિયાદના અનુસંધાનમાં સુરેશ શાહ સામે દોઢ મહિના પછીય કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. સોસાયટીના એજન્ટ્સ 19મી જાન્યુઆરીએ તેમને ફરિયાદ આપી હતી. આજે સાતમી માર્ચ થઈ ગઈ હોવા છતાં માત્ર મેઘના શાહનું માત્ર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. હજી સુધી સુરેશ શાહ, કાશ્મીરા સુરેશ શાહ કે પછી સોસાયટીના ચેક પર સહી કરવાની સત્તા ધરાવતા હોદ્દેદાર અને તેમના જમાઈ આતિશ ભરત અદાણી કે સેજલ આતિશ અદાણી (સુરેશ શાહની પુત્રી)ના સ્ટેટમેન્ટ સુદ્ધાં લેવામાં આવ્યા નથી. આતિશ શાહ અને કાશ્મીરા સુરેશ શાહની સહીથી અમદાવાદની એડીસી બેન્કની મહાલક્ષ્મી ચાર રસ્તા પાસેથી બ્રાન્ચના ખાતાં નંબર 107005827232માંથી ચેક નંબર 010419 પર રૂ. 95000નું પેમેન્ટ એક એજન્ટને આપવામાં આવ્યું હતું. આ ચેક ફાડવામાં ભૂલ થતાં ત્યારબાદ બેન્કના એજન્ટ શેફાલી કુણાલ પટેલને એક બીજો ચેક ઇશ્યૂ કરવામાં આવ્યો હતો. બીજો ચેક ઇશ્યૂ કર્યા પછી સ્ટોપ પેમેન્ટ કરાવી દેવામાં આવ્યું હતું.

વેજલપુર પોલીસના આ વલણને પરિણામે જ નાના નાના થાપણદારોના સાડા છ કરોડ રૂપિયા ચાંઉ કરી જનાર સુરેશ શાહ, કાશ્મીરા સુરીશ શાહ, આતિશ ભરત અદાણી અને સેજલ  આતિશ અદાણી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મેઘના પરિન શાહ, પ્રણવ શાહ પણ રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીમાં મહત્વનો હોદ્દો ધરાવતા અને રૂ. 6.5 કરોડના કૌભંડમાં સંડોવાયેલા હોવા છતાં તેમની સામે કોઈ જ પગલાં પોલીસ દ્વારા કે જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા લેવામાં આવતા નથી.

છ વર્ષથી સોસાયટીના હિસાબોનું ઓડિટ જ થયું નથી

જિલ્લા રજિસ્ટ્રાર ઉન્નતિ પંડ્યાએ પણ લાંબા સમય સુધી નિષ્ક્રિય રહ્યા બાદ ધી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી પાસેથી ઓડિટ રિપોર્ટ મંગાવ્યા છે. આ ઓડિટ રિપોર્ટ પણ છેલ્લા છ વર્ષથી બનાવવામાં જ આવ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે તેમણે ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવવા માંડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. છ વર્ષથી ઓડિટ રિપોર્ટ ફાઈલ ન થતાં હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ કેમ કોઈ પગલાં ન લીધા તે પણ એક મોટો સવાલ જ છે.

Read Previous

નાબાર્ડ ક્લાઈમેટ ચેન્જની સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય સૂઝાડનારને રૂ. 15 લાખનું ઇનામ આપશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular