ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વોશિંગ્ટનમાં રૂબિયો અને બેસેન્ટ સાથે ટ્રેડ ડીલની ચર્ચા કરી

- નવી આર્થિક સમજૂતીને અમલી બનાવવામાં મહત્વપૂર્ણ રહીઃ પાર કરારમાં રહેલી બારીક વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચાઓ થઈ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે વોશિંગ્ટન મુલાકાતની શરૂઆત અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયો સાથે સતત બેઠકો કરીને કરી હતી. આ સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, ઊર્જા, પરમાણુ સહકાર, રક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને નવી ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રયાસો તેજ બન્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ ભારત સાથે નવો વેપાર કરારની જાહેરાત કરી હતી. આ કરાર હેઠળ ભારતીય માલ પર લાગતા પરસ્પર ટેરિફ 25 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે. નવા ટેરિફનો તત્કાળ અમલ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ટ્રેઝરી વિભાગ સાથે આર્થિક ચર્ચા કરી
જયશંકરે તેમની મુલાકાતની શરૂઆત ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ સાથે કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠક નવી આર્થિક સમજૂતીને અમલી બનાવવામાં મહત્વપૂર્ણ રહી છે. આ ચર્ચાઓ વેપાર કરારમાં રહેલી બારીક વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજાઈ હતી. તેનો મૂળભૂત હેતુ રાજકીય સહમતિને વ્યવહારિક અમલમાં લાવી શકાય તે જ છે. આ બેઠક પૂરી થયા પછી એસ. જયશંકરે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી અને વ્યૂહાત્મક સહકાર આગળ વધારવા અંગે “ઉપયોગી ચર્ચા” થઈ છે.
મહત્વપૂર્ણ ખનિજો અને વ્યૂહાત્મક સહયોગ
ત્યારબાદ એસ. જયશંકરે સ્ટેટ સેક્રેટરી-વિદેશ સચિવ માર્કો રૂબિયો સાથે મુલાકાત કરી હતા. આ મુલાકાતમાં વ્યાપક વ્યૂહાત્મક મુદ્દાઓ ઉપરાંત ખાસ સહયોગ ક્ષેત્રો પર ચર્ચા થઈ હતી. એસ. જયશંકરે જણાવ્યું કે બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તથા વેપાર, ઊર્જા, પરમાણુ સહકાર, રક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને ટેક્નોલોજી જેવા સ્તંભો પર ચર્ચા કરી હતી. બંને દેશોએ સંયુક્ત પ્રાથમિકતાઓ ઝડપથી અમલમાં મૂકવા માટે સંસ્થાગત મિકેનિઝમોની વહેલી બેઠકો યોજવાની સંમતિ આપી દીધી છે.
રૂબિયોએ કહ્યું કે તેમની ચર્ચાનો મુખ્ય વિષય મહત્વપૂર્ણ ખનિજોની શોધખોળમાં ભાગીદારી અને નવા આર્થિક અવસરો ખોલવાનો હતો. તેમણે ભારત-અમેરિકા વેપાર કરારનું સ્વાગત કર્યું અને તેને દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. અમેરિકાનો સ્ટેટ ડિપાર્ટમેન્ટ-વિદેશ ખાતાએ બુધવારે પ્રથમ “ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટિરિયલ” બેઠક યોજવા જઈ રહ્યું હોવાનું જાહેક કર્યું હતું. તેમાં 50થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. હેતુ વૈશ્વિક સપ્લાય ચેનને મજબૂત અને વૈવિધ્યસભર બનાવવાનો છે.
ટેરિફ ઘટાડાથી નિકાસકારોને ફાયદો, ખનિજ ક્ષેત્ર કેન્દ્રસ્થાને
ટેરિફ ઘટાડાના પગલે અમેરિકા ખાતે ભારતની નિકાસ સ્થિતિ મજબૂત થવાની અપેક્ષા છે, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રની કંપનીઓને તેનો ખાસ્સો લાભ મળવાની સંભાવના છે. એસ. જયશંકરની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ ખનિજ મુદ્દો મુખ્ય વિષય બની રહ્યો છે, જે સપ્લાય ચેનના જોખમ ઘટાડવાના વૈશ્વિક પ્રયાસોને દર્શાવે છે.




