રૂ.૧૨ કરોડના ચૂકવણી કરાવવા બની બેઠેલાં ચાર કોર્ટ રિસિવરને કોર્ટે તગેડી મૂક્યા

મસ્કતી કાપડમાર્કેટની જૈન ટેક્સટાઈલે નાદારી નોંધાવી: વચગાળાના કોર્ટ રિસીવરને નાદારી નોંધાવનારની મિલકત, માલની તપાસ કરીને પંચનામું તૈયાર કરવા આદેશ આપ્યો
અમદાવાદના મસ્કતી કાપડ મહાજન સાથે સંકળાયેલા ૧૩૩ વેપારીઓના લેણા ચૂકવવા કઠિન હોવાનું જણાવીને નાદારી નોંધાવનાર મેસર્સ જૈન ટેક્સટાઈલને કેસમાં લેણદાર હોવા છતાંય ગેરકાયદેસર રીતે કોર્ટ રિસીવર બની બેઠેલા ચાર જણને દૂર કરી દેવાનો આદેશ અમદાવાદની સિટી સિવિલ કોર્ટે ૧૬મી ફેબુ્રઆરીએ કર્યો છે. તેની સાથે જ મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ અને સેક્રેટરીને તટસ્થતાથી કામ કરે તે માટે નવા બે કોર્ટ રિસીવરના નામની ભલામણ કરવા આદેશ આપ્યો છે. તદુપરાંત વચગાળાના કોર્ટ રિસિવર તરીકે અમદાવાદની સિટી સિવિલ કોર્ટના ગ્રેડ-૧ બેન્ચ ક્લાર્ક ડી.એચ.ગાંધીની નિમણૂકને મંજૂરી આપી છે.
સમગ્ર કેસની વિગતો એવી છે કે મેસર્સ જૈન ટેક્સટાઈલે નાદારી નોંધાવવા માટે અરજી કરી તે પછી મસ્કતી કાપડ મહાજનના જ ૧૩૩ લેણદારોમાંથી ચાર જણા નાદારી નોંધાવનાર સાથે મળી જઈને કોર્ટ રિસીવર બની બેઠાં હતા. કાયદેસર લેણા ધરાવનાર અને કેસમાં પોતાનું હિત ધરાવનાર કોર્ટ રિસીવર બની જ ન શકતા હોવાના નિયમની ધરાર અવગણના કરીને તેમણે કોર્ટનો ઓર્ડર આવી ગયો હોવાનું જણાવીને નાદારી નોંધાવનારી પોર્ટીનો માલ વેચવાની શરુઆત કરી દીધી હતી, એમ મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે.
આ રીતે માલ વેચવા માંડયો હોવાનું એક બિલ લેણદારોના હાથમાં ચઢી જતાં તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ કેસમાં બની બેઠેલા કોર્ટ રિસીવર ગેરકાયદે હોવાનું જણાવી તેઓ અંગત હિતોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાહોવાનો વળતો આરોપ મૂકવામાં આવતા કોર્ટે પ્રસ્તુત ઓર્ડર કર્યો છે. કોર્ટના ગઈકાલના ઓર્ડર પછી બની બેઠેલાં કોર્ટ રિસીવરોએ તેમણે વેચેલા માલના નાણાંનો હિસાબ આપીને તેમની પાસેથી તેના સંપૂર્ણ નાણાં રિકવર કરવામાં આવશે.
આ સાથે જ સિટીસિવિલ કોર્ટના જન જયેશ ચોવટિયાએ કરેલા આદેશમાં વચગાળાના કોર્ટ રિસીવરને મિલકત, માલસામાન સહિતની વસ્તુઓની તપાસ કરીને નાદારી નોંધાવનાર પાર્ટીના ખર્ચે વિડિયો ગ્રાફી કરી લેવા જણાવ્યું છે. ૧૬મી ફેબુ્રઆરીએ ઓર્ડર થયાના ૩૦ જ દિવસમાં આ સમગ્ર કાર્યવાહી પૂરી કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ વચગાળાના કોર્ટ રિસીવરને અરજદારના ખર્ચે જ અખબારોમાં જાહેરનોટિસ આપવાની સૂચના આપી દેવામાં આવી છે.
કોર્ટના અન્ય આદેશોમાં વચગાળાના કોર્ટ રિસિવરને રૃા. ૩૦,૦૦૦નું મહેનતાણું ચૂકવવા જણાવ્યું છે. તદુપરાંત બે નવા કોર્ટ રિસીવરની નિમણૂક કરવા અને તેમના કામકાજ માટેના ખર્ચ પેટે રૃા. ૫ લાખ જમા કરાવવા પણ નાદારી નોંધાવનારને જણાવી દેવામાં આવ્યું છે.
બજારમાં ચાલી રહેલી ચર્ચા મુજબ બની બેઠેલાં કોર્ટ રિસીવરીઓ પાંત્રીસ ટકામાં સેટલમેન્ટ કર્યું છે. પરંતુ કોર્ટનો ઓર્ડર થતાં તેમણે સંપૂર્ણ રકમ જમા કરાવવી પડશે. તેમ જ તેમણે અત્યાર સુધીમાં નાદારી નોંધાવનાર વેપારીનો જે માલ વેચી માર્યો છે તે તમામ માલની રકમનો હિસાબ રજૂ કરીને કોર્ટમાં જમા કરાવવી પડશે. તેમાં કોઈ ગરબડ કરી હશે તો તેની જવાબદારી તેમને માથે આવી જવાની સંભાવના છે. આ રકમ તેમની પાસેથી રિકવર કરવામાં આવશે.




