અમદાવાદના કાપડના વેપારીઓ સાથે 2.64 કરોડની છેતરપિંડી કરનાર દિલ્હીના વેપારીની ધરપકડ

તસવીરમાં દેખાઈ રહેલા મસ્કતી કાપડ મહાજનના પ્રમુખે વેપારીઓની મદદે આવી પૈસા પાછા મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી
અમદાવાદના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર દિલ્હીના વેપારીને સાબરમતી જેલમાં મોકલાતા કોર્ટમાં એફિડેવિટ કરી 33 લાખ રોકડા ચૂકવી દીધા અને 2.31 કરોડના ચેક લખી આપ્યા, દિલ્હીના વેપારીએ 18 દિવસ જેલની હવા ખાધી
અમદાવાદઃ અમદાવાદ શહેરના કાપડ માર્કેટના વેપારીઓના રૂ. 2.64,11,874 ન ચૂકવનાર આરોપી દિલ્હીના વેપારી સંજય પાંડેની રાજસ્થાનના ખાટુશ્યામથી ધરપકડ કરવામાં આવી છે. કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી કાપડ ખરીદીને પૈસા ન ચૂકવવાનો ગુનો સંજય પાંડે અને દલાલ-નિરુપમા પાંડે(રહે. ગીતા કોલોની, ગાંધીનગર દિલ્હી), મહેશ જવર, મયંક ખન્ના અને પુરુષોત્તમ શર્મા પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે.
કાપડ મહાજનમાં લવાદની પ્રક્રિયામાં કે પછી સિટી કોર્ટમાં કેસનો ઉકેલ આવી શક્યો નહોતો. પરંતુ ધંધામાં મોટો માર ખાઈ ગયેલા વેપારીએ ડિસેમ્બરના અંતમાં ફરીથી પોલીસ કમિશનરને ફરિયાદ આપી હતી. પોલીસ કમિશનરની કચેરીએ ઇકોનોમિક ઓફેન્સ વિન્ગમાં કેસ ડાયવર્ટ કરતાં ઇકોનોમિક ઓફેન્સ વિગના અધિકારીઓ દિલ્હી ગયા હતા. પરંતુ દિલ્હી ન મળતાં આરોપીનું ફોનને આધારે લોકેશન શોધી કાઢીને રાજસ્થાનના ખાટું શ્યામ મંદિરના પરિસરમાંથી તેને ઝડપી લઈને અમદાવાદ લાવીને સાબરમતી જેલમાં ધકેલી દીધો હતો.
જેલમાં ધકેલાઈ ગયેલો વેપારી કૂણો પડ્યો હતો અને કોર્ટમાં એફિડેવિટ કરીને તમામ વેપારીઓના પૈસા ચૂકવી દેવા તૈયાર થયો હતો. શાહીબાગમાં રહેતા ફરિયાદી નિરવ મહેન્દ્ર કનોડિયા કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રીજી ક્લોથ માર્કેટમાં આવેલી તેમની કનોડિયા ડેનિમની પેઢીમાંથી દિલ્હીમાં ગાંધીનગર વિસ્તારમાં નંદપ્રિયા ફેબ્રિક્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર અને દિલ્હી સ્થિત ગાંધીનગરની ગીતા કોલોનીમાં રહેતા મહેશ પાંડેએ ટુકડે ટુકડે રૂ. 8.34 કરોડથી વધુના મૂલ્યનું ડેનિમ ખરીદ્યું હતું. તેમાંથી અંદાજે 6,76,42,248નું પેમેન્ટ કરી દીધા બાદ રંગ બતાવવાનું ચાલુ કર્યું હતું. ત્રણ મહિનાની પેમેન્ટની શરત હોવા છતાં તેમણે પેમેન્ટ આપ્યું નહોતું. પહેલીવાર રૂબરૂમાં આવીને ઓર્ડર આપનાર સંજય પાંડેએ ત્યારબાદ ટેલિફોન પર ઓર્ડર આપવાનું ચાલુ કરી દીધું હતું. આરંભમાં પેમેન્ટ આપ્યા બાદ બે વર્ષ પછી રૂ. 1.58 કરોડથી વધુ રકમનું પેમેન્ટ આપવાનું સાવ જ બંધ કરી દીધું હતું. તેમ જ દુકાન પણ કાઢી નાખી હતી. મારા(નિરવના) ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા ફરિયાદ કરવાનો નોબત આવી હતી.
આ જ રીતે નંદ પ્રિયા ફેબ્રિક્સે માટે દલાલ મહેશ જવરે રૂ. 64.98 લાખનું, શ્રી જયગુરુ દેવ ટેક્સટાઈલ માટે દલાલ મયંક ખન્નાએ રૂ. 9.17 લાખનુ અને પુરુષોત્તમ શર્માએ રૂ. 74.15 લાખનું કાપડ ખરીદ્યું હતું. માલની ડિલીવરી મળી ગયા પછી તેમણે પણ પેમેન્ટ કર્યું નથી.
એસ.આર.ડી. ટેક્સટાીલ મિલના પણ રૂ. 31.85 લાખ ન ચૂકવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ઉપરોક્ત ચારેય આરોપીઓએ મળીને નીરવ પાસેથી માલ ખરીદીને બીજે વેચી દીધો છે. સંજય પાંડેને ફોન કર્યો ત્યારે તેમણે કહી દીધું હતું કે મેં કાપડ બીજે વેચી દીધું છે. હવે મને પેમેન્ટ માટે ફોન કરવો નહિ. પરિણામે તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવાનો સહયોગ મેળવીને પોલીસ અધિકારીઓ સાથે મળીને વેપારીઓના સલવાઈ ગયેલા રૂ. 2.64 કરોડ પરત લાવવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી છે.




