વેટના પેન્ડિંગ કેસોનો નિકાલ લાવવા માટે સરકાર વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવે
વેટના પેન્ડિંગ કેસોનો નિકાલ લાવવા માટે સરકાર વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવે
સરકાર ડ્યૂટી વસૂલી વ્યાજ અને પેનલ્ટી જતી કરીને એક ઝાટકે હજારો કેસોનું નિવારણ લાવી શકશે
વેટનાજૂના કેસોના ઉકેલમાં રાજ્યવેરા અધિકારીઓનો સમય અને સંસાધનોનો વેડફાટ ઓછો થશ, જીએસટીના અમલીકરણ-કરચોરી અટકાવવા પર વધુ ધ્યાન આપી શકશે.
અમદાવાદઃ વેટની વિદાયને દસ વર્ષ થવા આવ્યા હોવાથી વેટના હજારો કેસોને એક સામટો નીવેડો લાવવા માટે સરકારે માત્ર વેટની જવાબદારી પ્રમાણેના નાણાં વસૂલી લેવા અને વ્યાજ તથા પેનલ્ટી જતી કરવાની એક વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવવી જોઈએ. બે ચાર આઈટેમ્સને બાદ કરતાં વેટની વિદાય થયાના દસ વર્ષ થવા આવ્યા હોવા છતાંય વેટની પેન્ડિંગ ડિમાન્ડના હજારો કેસો આજે એપેલેટ ટ્રીબ્યુનલમાં અને કોર્ટમાં પેન્ડિંગ પડ્યા હોવાથી વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવીને વેટના કેસોનો નિકાલ કરી દેવો જોઈએ તેવી માગણી વેટના નિષ્ણાતો કરી રહ્યા છે.
વેટના નિવૃત્ત અધિકારી કે.પી.શાહ અને એમ.એન શેખનું કહેવું છે કે સરકાર વેટ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના તાત્કાલિક ધોરણે લાવવી જોઈએ. આ નિર્ણય સરકાર અને કરદાતા બંને માટે ‘વિન-વિન’ સ્થિતિનું નિર્માણ કરશે. તેમનું કહેવું છે કે મૂળ વેરાની રકમ મળવાથી રાજ્યના ખજાનામાં તુરંત જંગી આવક થઈ જશે. તેમ જ વર્ષોથી કાગળ પર રહેલી બાકી વસૂલાત વાસ્તવિક આવકમાં ફેરવાઈ જશે. કરદાતાઓ માટે પણ વન ટાઈમ સેટલમેન્ટ યોજના રાહતરૂપ સાબિત થશે. વ્યાજ અને પેનલ્ટીના ભારે બોજમાંથી મુક્તિ મળતાં વેપારીઓ મુકદ્દમાથી મુક્ત થઈને જીએસટી હેઠળ પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વન ટાઈમ સેટલમેન્ટ યોજના આવવાથી ગુજરાત હાઈકોર્ટ અને વેટ ટ્રિબ્યુનલમાંથી હજારો કેસો ઘટી જશે.
કેવા પ્રકારની વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ હોવી જોઈએ?
સરકારની વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમમાં મૂળ વેરો પૂર્ણપણે એટલે કે ૧૦૦ ટકા વસૂલ કરી લેવો જોઈએ. તેમ ન થાય તો વિવાદિત કેસોની તીવ્રતા મુજબ ૭૫ ટકાથી ૧૦૦ ટકા મૂળ વેરો ભરવાની શરત રાખવી જોઈએ. વન ટાઈમ સેટલમેન્ટ યોજનામાં વ્યાજ અને દંડ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવે તો કોર્ટ કેસની જફામાંથી મુક્તિ મેળવવા માટે પણ વેપારીએ તેમાં હોંશે હોંશે ભાગ લેશે. આ યોજનાનો લાભ લેવા માટે ૩ થી ૬ મહિનાની ચોક્કસ સમયમર્યાદા આપવી જોઈએ.
જો મૂળ વેરો લઈને વ્યાજ અને પેનલ્ટી માફ કરવાની સેટલમેન્ટ સ્કીમ લાવવામાં આવે, તો ગુજરાતમાં વેટના પેન્ડિંગ કેસોમાંથી અંદાજે ૭૦ ટકાથી ૮૦ ટકા કેસોનો સીધો નિકાલ થઈ શકે તેમ છે. બીજું, ન્યાયતંત્ર પર ભારણ ઘટશે. ગુજરાત હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલમાં વેટ સંબંધિત પેન્ડિંગ અરજીઓ ઘટી જતાં જજ અને ટ્રિબ્યુનલનો કિંમતી સમય જીએસટી કે અન્ય સિવિલ કેસો માટે ફાળવી શકાશે. ત્રીજું, સરકારી ચોપડે અટવાયેલી કરોડો રૂપિયાની મૂળ વેરાની રકમ રોકડ સ્વરૂપે સરકારને તુરંત પ્રાપ્ત થશે.
મુખ્ય ગુના અને વિવાદો તથા તેના ઉકેલના સૂચનો
વેટના કેસોમાં મુખ્યત્વે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ગેરરીતિ કે વિવાદને લગતા ખાસ્સા કેસો છે. વેપારીએ ખરીદી કરી હોય પરંતુ વિક્રેતાએ ટેક્સ ન ભર્યો હોય અથવા બોગસ બિલિંગના શંકાસ્પદ કિસ્સામાં ક્રેડિટ અટકાવી દેવાઈ હોવાથી આ પ્રકારના કેસો થયા હોવાની શક્યતા રહેલી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખરીદનાર વેપારી પાસે ખરીદીના માન્ય પુરાવા અને ઈ-વે બિલ ને કવણીના કાયદેસર પુરાવા હોય, તો મૂળ ક્રેડિટ માન્ય રાખીને માત્ર વ્યાજ-પેનલ્ટી માફ કરી કેસ પૂરો કરવો જોઈએ.
૨. એન્ટ્રી ટેક્સ અને ફોર્મ-સી એટલે કે ઇન્ટર-સ્ટેટ સેલના કિસ્સાઓમાં મિચમેચ
અન્ય રાજ્યમાંથી માલ લાવવા પર અથવા સી-ફોર્મ સમયસર રજૂ ન કરી શકવાને કારણે ઊંચા દરે વેરો અને પેનલ્ટી ફટકારવામાં આવ્યા હોવાને લગતા કેસોની સંખ્યા પણ ગુજરાતમાં ખાસ્સી મોટી છે. આ પ્રકારના કિસ્સાઓમાં રજૂ ન થઈ શકેલા સી-ફોર્મ સામે રાહત આપવા માટે મૂળ તફાવતની રકમનો અમુક ટકા હિસ્સો સ્વીકારી કેસ બંધ કરવાની તક આપવી જોઈએ.
આકારણીમાં કરવામાં આવેલા દંડના કેસ
વેપારીની હિસાબી ભૂલો કે અર્થઘટનની ભિન્નતાને કારણે વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં આકારણી કરીને ભારે દંડ અને વ્યાજ લાદવામાં આવ્યા હોય તેવા કિસ્સાઓને લગતા પણ ખાસ્સા કેસો થયેલા છે. આ સમસ્યાને લગતા કેસોનો નિકાલ કરવા માટે માત્ર મૂળ આકારણી મુજબનો ટેક્સ વસૂલ કરી ૧૦૦ ટકા દંડ રદ કરી દેવો જોઈએ.
ન્યાયતંત્ર પર ભારણ કેટલું હળવું થશે?
ગુજરાત વેટ એપેલેટ ટ્રિબ્યુનલ અને ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કાયદાકીય વિવાદોમાં મોટા પાયે ઘટાડો થશે. રાજ્યકરવેરા વિભાગના અધિકારીઓનો સમય અને સંસાધનો જે વર્ષો જૂના વેટ કેસો પાછળ વેડફાટ થઈ રહ્યો છે, તે બચી જશે અને તેઓ નવા GST અમલીકરણ તથા કરચોરી અટકાવવા પર ધ્યાન આપી શકશે.

