• 29 July, 2026 - 11:11 AM

ઓછો પુરવઠો અને અપૂરતા વરસાદના ભય વચ્ચે હળદરના ભાવમાં ઉછાળો

ઓછો પુરવઠો અને અપૂરતા વરસાદના ભય વચ્ચે હળદરના ભાવમાં ઉછાળો

ઇરોડ APMC માર્કેટમાં હળદરનો ભાવ ટૂંક જ સમયમાં રૂ. ૧૬૦થી વધીને રૂ. ૨૦૦ પ્રતિ કિલો થયો હતો, પરંતુ હાલ ઘટીને રૂ. ૧૭૦ થયો છેઃ મર્યાદિત પુરવઠા અને હાલ થઈ રહેલા વાવેતર પર અલ નીનોની અસરના ભયને કારણે દેશમાં હળદરના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા છે.

વાયદા બજારમાં તમિલનાડુના ઇરોડ માર્કેટમાં ૧૦ દિવસમાં જ હળદરનો ભાવ રૂ. ૧૬૦ પ્રતિ કિલોથી વધીને રૂ. ૨૧૦ પ્રતિ કિલો થઈ ગયો હતો. જૂનમાં થયેલા અપૂરતા વરસાદે આ તેજીને બળ આપ્યું છે.  ત્યારબાદ ઘટીને રૂ. ૧૭૦ થયો છે.  બજારના જાણકારોનું કહેવું છે કે સટ્ટાખોરીએ ભાવવધારામાં થોડો ભાગ ભજવ્યો હોવા છતાં, અપૂરતા વરસાદ અને આગામી પાકને નુકસાન થવાના ભયને કારણે ભાવ વધ્યા હતા. તેનું બીજું કારણ એ છે કે પાછલા ૩-૪ વર્ષોમાં આપણી પાસે જે કૅરીફૉરવર્ડ સ્ટોક (જૂનો બચેલો જથ્થો) હતો તેમાં ઘટાડો થયો છે.

NCDEX અનુસાર, મંગળવારે હળદરના ઓગસ્ટ કોન્ટ્રેક્ટનો ભાવ રૂ. ૨૦,૫૧૮ પ્રતિ ક્વિન્ટલ બોલાયો હતો. નિઝામાબાદમાં હાજર ભાવ રૂ. ૧૯,૯૮૯ રહ્યો હતો, જ્યારે રાજાપુરમાં ભાવ રૂ. ૨૨,૦૭૦ હતો. બજારના જાણકારોનું કહેવું છે કે સતત સૂકા વાતાવરણે પાકની શક્યતાઓ અંગે ચિંતા વધારી હોવાથી હળદરના ભાવને ટેકો મળી રહ્યો છે. શરૂઆતના ઉછેર અને વિકાસના તબક્કા દરમિયાન સતત શુષ્ક પરિસ્થિતિ ઉપજને પ્રતિકૂળ અસર કરી શકે છે, જેનાથી ભાવ વધુ મજબૂત થશે. કારણ કે અપૂરતા વરસાદ ઉપરાંત ગુણવત્તાયુક્ત માલની પણ અછત છે. મસાલા પાકના વાવેતર વિસ્તારમાં વધારો થવા છતાં પાક અંગેની ચિંતાઓ યથાવત છે. ગયા વર્ષની સરખામણીએ વાવેતરમાં ૧૦ ટકાનો વધારો થયો છે.

નિકાસમાં વધારો

ખરીફ ૨૦૨૬ના પ્રથમ અગ્રીમ અંદાજ મુજબ હળદરનું વાવેતર ૨૦૨૫ કરતાં વાર્ષિક ધોરણે ૧૬.૦૫ ટકા વધવાની ધારણા છે અને તે ૫ વર્ષના ૧.૮૮ લાખ હેક્ટરના સરેરાશ સ્તર કરતાં નોંધપાત્ર રીતે વધારે રહેશે. મુખ્યત્વે વાવેતરના સમયગાળા દરમિયાન ખેડૂતોને મળેલા ઊંચા ભાવને કારણે વાવેતર વધી રહ્યું છે.” આ વર્ષે ઉત્પાદન ૫૦ કિલોની ૯૫ લાખ ગુણો (બોરી) જેટલું હતું. જો નિકાસની માગ ઉમેરવામાં આવે, તો આપણને ૧૧૦ લાખ ગુણોની જરૂર પડશે. હાલ ૧૫-૨૦ લાખ ગુણોનો જ જૂનો સ્ટોક ઉપલબ્ધ છે. જો અલ નીનોના કારણે વરસાદ ઓછો પડશે તો આગામી મહિનાઓમાં પુરવઠાની અછત સર્જાશે.

એપ્રિલની સરખામણીએ મે મહિનામાં હળદરની નિકાસમાં ૨૬ ટકાનો વધારો થયો હતો, જે ગયા વર્ષના સમાન ગાળા કરતાં ૦.૩૯ ટકા વધુ છે.આ દર્શાવે છે કે વાર્ષિક ધોરણે પરિસ્થિતિ સ્થિર હોવા છતાં ક્રમિક ધોરણે મજબૂત સુધારો થયો છે. જોકે, ઈરાન યુદ્ધના કારણે પડેલા વિક્ષેપને પગલે જાન્યુઆરી-મે ૨૦૨૬ દરમિયાન કુલ નિકાસમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૬.૬૯ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભાવ મજબૂત રહેશે

હળદરમાં હાલમાં માગ ધીમી છે, તેથી  ભાવમાં થોડો ઘટાડો થયો છે. ઓગસ્ટના અંતથી માગ શરૂ થશે તેથી ભાવ ઊચકાઈ જવાની સંભાવના છે.  અત્યારે ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ આગામી પાક આવે ત્યાં સુધી તે રૂ. ૧૪૦-૧૫૦ પ્રતિ કિલોના સ્તરેથી નીચે જવાની સંભાવના ઓછી છે. કારણ કે જૂના સ્ટોકની અછત, બજારમાં ઓછી આવક અને સતત દેશી માગને કારણે હળદરના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે. જોકે, બજારના સેન્ટિમેન્ટ પર આવકનો વેગ, નિકાસ માગ, ચોમાસાની પ્રગતિ અને શરૂઆતના તબક્કામાં નવા પાકના વિકાસની અસર રહેશે.

Read Previous

ક્લિનિકલ ટ્રાયલ પર ધ્યાન ન આપતા અમદાવાદની આત્મન હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટની એથિક્સ કમિટીનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું

Read Next

ખરીફમાં મકાઈનું ઓછું વાવેતર અને ખાંડના સ્ટોક અંગે અજંપા વચ્ચે ઇથેનોલ માટે ચોખા પર ધ્યાન કેન્દ્રિત થવાની સભાવના

Most Popular