• 24 March, 2026 - 11:59 AM

રેસિડેન્શિયલ રૂફટોપ સોલાર લગાડવાની મંદ પડી રહેલી ગતિના કારણો શું છે?

પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળના રૂફટોપ સોલાર સ્થાપનનો ગતિનો દર અપેક્ષા મુજબ આગળ વધતો જ નથી. આ યોજનાના અમલનો સમયગાળો પૂર્ણ થવા માટે હવે માત્ર એક જ વર્ષ બાકી હોવા છતાં, અત્યાર સુધી માત્ર લગભગ 25 ટકા લક્ષ્ય હાંસલ થયું છે.

ફેબ્રુઆરી 2024માં શરૂ થયેલી આ યોજનાનો હેતુ એક કરોડ ઘરોમાં ત્રણ કિલો વૉટ સુધીના સુધીના રૂફટોપ સોલાર લગાડીને સક્રિય કરી દેવાનો છે. દેશભરમાં અત્યાર સુધીમાં માત્ર 25.75 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવેલી છે. આમ આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રૂ. 75,000 કરોડના સબસિડીના ફંડમાંથી લગભગ 24 ટકા રકમ ખર્ચાઈ ચૂકી છે.

યોજનાનો ઉદ્દેશ 30 GW ક્ષમતા ઉભી કરવાનો હતો, પરંતુ અત્યાર સુધી માત્ર 9.4 GW ક્ષમતા જ ઊભી થઈ છે. દેશની કુલ રૂફટોપ સોલાર ક્ષમતા (રહેણાંક + ઔદ્યોગિક) હવે 25 GWને પાર કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માર્ચ 2027 પછી આ યોજના વધારવાની કોઈ યોજના નથી.

સોલાર રૂફટોપની યોજનાનો લાભ દેશના સાત રાજ્યોએ સૌથી વધુ લીધો છે. તેમાંય ગુજરાત સૌથી મોખરે છે. દેશમાં કુલ લગાડવામાં આવેલી સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી 80 ટકા સિસ્ટમ સાત રાજ્યોમાં લાગેલી છે. તેમાં Gujarat – 5.78 લાખ રૂફટોપ લોસાલ સિસ્ટમ સાથે મોખરે છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 4.71 લાખ, ઉત્તર પ્રદેશમાં  3.98 લાખ, કેળમાં 2 લાખ અને રાજસ્થાનમાં 1.5 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવેલી છે. મધ્ય પ્રદેશ અને આસામમાં પણ 1-1 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમ બેસાડી દેવામાં આવેલી છે.

મંથર ગતિએ યોજના આગળ વધવાના કારણો

ઊર્જા વિશ્લેષકોના અભ્યાસ મુજબ, કેટલાક મુખ્ય અવરોધો આ મુજબ છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત બિજલી યોજના માટે અરજી કર્યા પછી તેને મંજૂરી આપવામાં અને તેની સ્થાપના કરવા માટેનો સમયગાળો બહુ જ લાંબો થઈ રહ્યો છે.  તેના કારણે લોકોનો વિશ્વાસ ઘટે છે. બીજું લોકોમાં આ યોજના અંગે જાગૃતિ પણ ઓછી છે. દેશમાં ઘણા લોકોને હજુ પણ આ યોજના વિશે સંપૂર્ણ માહિતી નથી. ત્રીજું, સોલાર યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા જટિલ હોવાથી પણ આ યોજનાનો અમલ ઝડપથી વધી ન રહ્યો હોવાની ધારણાં બાંધવામાં આવી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે સોલાર રૂફટોપ લગાડવાની પ્રક્રિયા મુશ્કેલ અને લાંબો સમય ખાઈ જાય તેવી છે. ચોથું સોલાર રૂફટોપ યોજના હેઠળ સોલાર પેનલ બેસાડવા માટેની સબસિડી મળવામાં બહુ જ વિલંબ થઈ રહ્યો છે. આમ સરકારી સબસિડી સમયસર ન મળવાથી લોકોમાં ઉત્સાહ ઓછો થાય છે. પાંચમું, સપ્લાયમાં અછત પણ તેને માટે જવાબદાર છે. દેશમાં બનાવવામાં આવેલા સોલાર મોડ્યુલની મર્યાદિત ઉપલબ્ધતા પણ એક મોટો અવરોધ છે.

પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળના રૂફટોપ સોલાર યોજના હેઠળ સોલાર પેનલ બેસાડવા માટે અત્યાર સુધીમાં અંદાજે 65.21 લાખ અરજીઓ આવી છે. તેમાંથી 25.75 લાખ અરજીઓ મંજૂર થઈને સોલાર પેનલ બેસાડી દેવામાં આવી છે. આમ અરજી કર્યા પછી સોલાર પેનલ બેસાડવાનો દર માત્ર 39 ટકાનો જ છે.

યોજનાનો હેતુ મોટો છે, પરંતુ અમલીકરણમાં પડકારો છે. જો પ્રક્રિયા સરળ બનાવવામાં આવે, સબસિડી ઝડપથી આપવામાં આવે અને જાગૃતિ વધારવામાં આવે, તો લક્ષ્ય પ્રાપ્ત  કરવું હજીય શક્ય જ છે. 

Read Previous

વિદેશી ડૉક્ટર્સ-નર્સ પાસે એચ-1બી વિઝા ફી માફ કરીને હોસ્પિટલ્સના સ્ટાફની અછત દૂર કરો

Read Next

સુરંગ બિછાવવાનું અને મિસાઈલ હુમલા ઇરાન બંધ કરે: યુરોપ અને જાપાને ઈરાનને ચેતવણી આપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular