ક્યૂરિસ લાઈફ સાયન્સના આઈપીઓમાં તમે અરજી કરશો ખરા?

ક્યૂરિસ લાઈફસાયન્સ(Curis lifescience) રૂ. 27.52 કરોડનો બુક બિલ્ડિંગ ઇશ્યૂ(Book building IPO) લઈને બજારમાં આવી રહી છે. આ ઇશ્યૂમાં સંપૂર્ણપણે નવા શેર્સનું એલોટમેન્ટ(New share allotment) કરવામાં આવશે. કુલ મળીને 22 લાખ શેર્સ રોકાણકારોને આપીને રૂ. 27.52 કરોડ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્યૂરિસ લાઈફ સાયન્સનો આઈપીઓ સાતમી નવેમ્બરે(IPO opens on 7th November) ખૂલી રહ્યો છે. ક્યૂરિસ લાઈફ સાયન્સનો આઈપીઓ 11મી નવેમ્બરે(IPO close on 11th November) બંધ થશે. ક્યૂરિસ લાઈફસાયન્સના આઈપીઓમાં અરજી કરનારાઓને 12મી નવેમ્બરે એલોટમેન્ટ કરવામાં આવશે. એનએસઈ-એસએમઈમાં 14મી નવેમ્બરે તેનું લિસ્ટિંગ(Listing on 14th November) થવાની સંભાવના છે. શેરદીઠ ઓફર પ્રાઈસ રૂ. 120થી 128ની નક્કી કરવામાં આવી છે. એક લૉટ 1000 શેરનો નક્કી કરવામાં આવ્યો છે. છૂટક રોકાણકારે ઓછામાં ઓછા બે લૉટ એટલે કે 2000 શેર્સ (application for minimum 2000 shares)માટે અરજી કરવાની રહેશે. આમ રૂ. 2.56 લાખનું ઓછામાં ઓછું રોકાણ કરવાનુ રહેશે. હાઈનેટવર્થ ઇન્ડિવિડ્યુઅલે ઓછામાં ઓછા 3000 શેર્સની (Minimum application HNI 3000 to 7000)અરજી કરવાની આવશે. તેમણે ઓછામાં ઓછા રૂ. 2.84 લાખનું રોકાણ કરવું પડશે. એસ-એચએનઆઈ વધુમાં વધુ 7000 શેર્સ એટલે કે સાત લૉટ માટે અરજી કરી શકે છે. તેને માટે રૂ. 8.96 લાખનું રોકાણ કરવું પડશે. તેમજ બી-એચએનઆઈ ઓછામાં ઓછા 8000 શેર્સની(B-HNI can apply for morethan 8000 shares) અરજી કરી શકે છે. તેને માટે રૂ. 10.24 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. યુપીઆઈ મેન્ડેટ આપવાનો કટ ઓફ ટાઈમ 11મી નવેમ્બરના સાંજે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
ક્યૂરિસ લાઈફ સાયન્સના આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર તરીકે ફિનાક્સ કેપિટલ એડવાઈઝર પ્રાઈવેટ લિમિટેડ(Finaax capital Advisor Limited) અને એમયુએફજી ઇનટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ(FUMG Intime India Private Limited) તેના રજિસ્ટ્રાર છે. ક્યૂરિસ લાઈફસાયન્સના આઈપીઓના માર્કેટ મેકર તરીકેની કામગીરી આર.એસ. વેલ્થ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કરવાની છે.
ક્યૂરિસ લાઈફ સાયન્સના આઈપીઓની વિગતો
| આઈપીઓની તારીખ | 7 નવેમ્બરથી 11 નવેમ્બર 2025 |
| લિસ્ટિંગની તારીખ | 14મી નવેમ્બરે લિસ્ટિંગ થવાની શક્યતા |
| મૂળ કિંમત | શેરદીઠ રૂ. 10 |
| પ્રાઈસ બેન્ડ | શેરદીઠ રૂ. 120થી 128 |
| એક લૉટ | 1000 શેર્સ |
| વેચાણનો પ્રકાર | નવા શેર્સ |
| ઇશ્યૂનું કુલ કદ | 21.50 લાખ શેર્સ (કુલ રૂ. 27.52 કરોડ) |
| માર્કેટ મેકર માટે અનામત | 1.08 લાખ શેર્સ, કુલ રૂ. 1.38 કરોડ આર.એસ. વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ |
| જાહેર જનતાને ઓફર કરેલા શેર્સ | 20.42 લાખ, કુલ રૂ. 26.14 કરોડ સુધી |
| ઇશ્યૂનો પ્રકાર | બુક બિલ્ડિંગ આઈપીઓ |
| લિસ્ટિંગ ક્યાં થશે | એનએસઈ-એસએમઈ |
| આઈપીઓ પહેલાનું શેરહોલ્ડિંગ | 59,34,434 શેર્સ |
| આઈપીઓ પછીનું શેરહોલ્ડિંગ | 80,84,434 શેર્સ |
ક્યૂરિસ લાઈફ સાયન્સના આઈપીઓમાં કુલ 21.50 લાખ શેર્સમાંથી 10,18,000 શેર્સ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર-ક્યૂઆઈબી માટે અનામત રાખવામાં આવેલા છે. તેમ જ 4,08,000 શેર્સ ક્યૂઆઈબી એક્સ એન્કરને એલોટ કરવામાં આવેલા છે. 3,08,000 શેર્સ એન.આઈ.આઈ. માટે અનામત રાખવામાં આવ્યા છે. આર.આઈ.આઈ. માટે 7,16 લાખ શેર્સ અનામત રાખવામાં આવ્યા છે. તેમ જ એન્કર ઇન્વેસ્ટર્સ માટે 6,10 લાખ શેર્સ રાખવામાં આવ્યા છે. ક્યૂરિસ લાઈફસાયન્સના એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવેલા 6.10 લાખ શેર્સમાંથી 50 ટકા શેર્સના માધ્યમથી રૂ. 7.81 કરોડ એકત્રિત કરશે. છ નવેમ્બરે એન્કર ઇન્વેસ્ટર્સ બિડિંગ કરશે. એન્કર ઇન્વેસ્ટર્સ 30 દિવસ સુધી તેની પાસેના 50 ટકા શેર્સ વેચી શકશે નહિ. 12મી ડિસેમ્બર 2025 સુધી 50 ટકા શેર્સ વેચી શકાશે નહિ. બાકીના 50 ટકા શેર્સ 90 દિવસ સુધી એટલે કે 10મી ફેબ્રુઆરી 2026 સુધી વેચી શકશે નહિ.
ક્યૂરિસ લાઈફ સાયન્સના પ્રમોટર્સનું હોલ્ડિંગ
ક્યૂરિસ લાઈફ સાયન્સના પ્રમોટર્સમાં ધર્મેશ દશરથભાઈ પટેલ, સિદ્ધાંત જયંતીભાઈ પવાસિયા, પિયૂષ ગોરધનભાઈ અંટાળા અન જૈમિક મનસુખભાઈ પટેલનો સમાવેશ થાય છે. આઈપીઓ પૂર્વેનું પ્રમોટર્સનું હોલ્ડિંગ 92.68 ટકાનું છે. આઈપીઓ પછી તેમનું હોલ્ડિંગ ઘટીને 68.03 ટકા થઈ જશે.
ક્યૂરિસ લાઈફ સાયન્સની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. ફાર્માસ્યૂટિકલ્સના ક્ષેત્રની આ કંપની છે. કંપની વિવિધ રેન્જના પ્રોડક્ટ્સ ડેવલપ કરવાનુ મેન્યુફેક્ચરિંગનું અને તેના વિતરણ-ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે. કંપની લોન લાયસન્સ અને કોન્ટ્રાક્ટના ધોરણે સ્થાનિક સ્તરે અને વૈશ્વિક સ્તરે ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ્સ તૈયાર કરી આપવાની કામગીરી કરે છે. તેની સાથે સાથે જ પોતાની બ્રાન્ડના પ્રોડક્ટ્સનું માર્કેટિંગ પણ કંપની કરે જ છે. કંપની પાસે 100થી વધુ કોર્પોરેટ ક્લાયન્ટ્સ છે. તેમના માટે લોન લાયસન્સથી કે કોન્ટ્રાક્ટ પર કંપની કામ કરે છે. ક્યુરિસ લાઈફસાયન્સના બે ક્લાયન્ટ યેમેન અને કેન્યામાં તેને માટે બ્રાન્ડ માર્કેટિંગનું કામ કરે છે.
કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો
કંપનીના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોમાં ઓરલ લિક્વિડ્સ, બાહ્ય વપરાશ માટેની દવાઓ, આંખના ઉપકરણોને જંતુંમુક્ત કરવા માટેના ઓઈન્ટમેન્ટનો સમાવેશ થાય છે. કંપની ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેર નજીક આવેલી સાણંદ ઔદ્યોગિક વસાહતમાં અત્યાધુનિક પ્રોડક્શન યુનિટ ધરાવે છે. કંપની ક્વોલિટી કંટ્રોલની બાબતમાં અત્યંત ચુસ્ત ધારાધોરણોને અનુસરી રહી છે. પ્રોડક્ટની અસરકારકતા અને સલામતી સાથે રતિભાર સમાધાન ન થાય તેની દરકાર કંપની કરી રહી છે. 31મી જુલાઈ 2025ની સ્થિતિએ કંપનીમાં 95 કાયમી કર્મચારીઓ કામ કરતાં હોવાનું નોંધાયેલું છે. કંપની પાસે અનુભવી પ્રમોટર્સની ટીમ છે. કંપની પાસે મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો છે. ક્યુરિસ લાઈફ સાયન્સની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી વ્યૂહાત્મક સ્થળે આવેલી છે. કંપની તેના બિઝનેસને મોટા ફલક પર લઈ જવાને સમર્થ છે.
ફાઈનાન્શિયલ પરફોર્મન્સ
ક્યુરિસ લાઈફ સાયન્સની આવકમાં 38 ટકાનો વધારો થયો છે. તેમ જ 31મી માર્ચ 2024 પછી અને 31મી માર્ચ 2025 સુધીના સમયગાળામાં કંપનીના વેરા પછીના નફામાં 25 ટકાનો વધારો થયો છે.
| સમયગાળો | 31 જુલાઈ, 2025 | 31 માર્ચ 2025 | 31 માર્ચ 2024 | 31 માર્ચ 2023 |
| અસ્ક્યામત | 56.29 | 42.53 | 33.88 | 29.75 |
| કુલ આવક | 19.51 | 49.65 | 35.87 | 36.42 |
| વેરા પછીનો નફો | 2.87 | 6.11 | 4.87 | 1.88 |
| ઈબીઆઈટીડીએ | 4.24 | 9.54 | 8.39 | 3.28 |
| નેટવર્થ | 19.10 | 16.23 | 5.87 | 1.01 |
| અનામત અને સરપ્લસ | 13.16 | 10.29 | 5.37 | 0.51 |
| કુલ ઉધાર | 15.32 | 15.62 | 17.09 | 16.19 |
| નોંધઃ તમામ આંકડાંઓ રૂ. કરોડમાં | ||||
ક્યુરિસ લાઈફસાયન્સના મહત્વના આંકડાંઓ
ક્યુરિસ લાઈફ સાયન્સના આઈપીઓનું બજાર મૂડીકરણ રૂ. 103.48 કરોડનું છે. કંપનીના 31મી માર્ચ 2025ની સ્થિતિએ મહત્વના નિર્દેશકો નીચે મુજબ છે.
KPI as of Mon, Mar 31, 2025.
| મહત્વના નિર્દેશક | મૂલ્ય | ||
| રિટર્ન ઓન ઇક્વિટી | 55.25 ટકા | ||
| રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ | 27.83 ટકા | ||
| ડેટ-ઇક્વિટી રેશિયો | 0.96 | ||
| રિટર્ન ઓન નેટવર્થ | 37.62 ટકા | ||
| વેરા પછીના માર્જિન | 12.43 ટકા | ||
| ઈબીઆઈટીડીએ માર્જિન | 19.41% | ||
| બુક વેલ્યુ સામે કિંમત | 12.64 | ||
| બજાર મૂડીકરણ | 103.48 | ||
| IPO પહેલા | IPO પછી | ||
| શેરદીઠ કમાણી રૂ. | 10.29 | 10.66 | |
| પી.ઈ. મલ્ટીપલ | 12.44 | 12.01 | |
પબ્લિક ઇશ્યૂ લાવવા પાછળનો ઉદ્દેશ
ક્યુરિસ લાઈફ સાયન્સ પબ્લિક ઇશ્યૂ થકી મળનારા નાણાંનો ઉપયોગ પહેલા તો તેની વર્તમાન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં સુધારો કરવા માટે કરશે. આ માટેનો મૂડી ખર્ચ અંદાજે રૂ. 2.44 કરોડનો થશે. કંપનીમાં સ્ટોરેજની સુવિધા ઊભી કરવા માટેનું બાંધકામ કરવા માટે રૂ. 3.62 કરોડનો મૂડીખર્ચ કરવામાં આવશે. કંપનીએ લીધેલી તારણવાળી લોનની બાકી રકમ ચૂકવી દેવા માટે કે સમય કરતાં વહેલી ચૂકવી દેવા માટે રૂ. 1.86 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભારત સિવાયના અન્ય દેશોમાં પ્રોડક્ટ્સનું રજિસ્ટ્રેશન કરાવવા માટે રૂ. 2.69 કરોડનો ખર્ચ કરશે. કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટેના ભંડોળ તરીકે રૂ. 11.25 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ક્યુરિસ લાઈફસાયન્સની આવકમાં તન્દુરસ્ત વધારો જોવા મળી રહ્યો છે. 2023-24માં ક્યુરિસ લાઈફ સાયન્સની આવક રૂ. 35.6 કરોડની હતી તે 2024.25માં વધીને રૂ. 49.1 કરોડ થઈ ગઈ છે. કંપનીનો વેરા પછીનો નફો 2023.24માં રૂ. 4.87 કરોડ હતો તે 2024-25માં વધીને રૂ. 6.11 કરોડ થઈ ગયો છે. આમ વેરા પછીના નફામાં 25 ટકાનો સુધારો થયો છે. કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અમદાવાદ નજીક સાણંદ જીઆઈડીસીમાં હોવાથી તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો આવે છે. ક્યુરિસ લાઈફ સાયન્સ વિશ્વ આરોગ્ય સંસ્થાની ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિશનું પ્રમાણપત્ર ધરાવે છે. તદુપરાંત કંપની કેનિયા, યેમેન, ફિલિપાઈન્સ, નાઈજિરિયાની સરકારના પ્રમાણપત્ર પણ ધરાવે છે. પરિણામે કંપનીના નિકાસના કામકાજમાં વધારો થવાની સંભાવના રહેલી છે. કંપનીના બિઝનેસ મોડેલનો વ્યવસ્થિત અમલ કરવામાં આવે તો કંપનીના કામકાજ માટેની ડિમાન્ડ ચાલુ જ રહે તેવી શક્યતા છે.
કંપની પાસે ક્લાયન્ટ્સ છે, પરંતુ ટોચના એક જ ક્લાયન્ટ પાસેથી કંપનીને થતી આવક તેની કુલ આવકના 44થી 47 ટકા જેટલી છે. આ બાબત ક્યારેક જોખમી બની શકે છે. એક જ ક્લાયન્ટ થકી મોટી આવક થવાની બાબત કોઈકવાર કંપનીની આવકમાં મોટું ગાબડું પાડી શકે છે. કંપની સ્ટાર્ચ, પેરાસિટામોલ, આઈસોપ્રોપિલ આલ્કોહોલ, પેકેજિંગ મટિરિયલના સપ્લાય માટે લાંબા ગાળાના કરાર કરતી નથી. પરિણામે ક્યારેક તેના માર્જિન કપાઈ જવાની સંભાવના છે. તેમ જ સપ્લાય પણ ખોરવાઈ જવાની સંભાવના છે.
કંપનીના પ્રોડક્ટ્સની નિકાસ પણ ગણતરીના દેશોમાં જ થાય છે. તેમાં યેમેન, કેનિયામાં કરાતી નિકાસ થકી તે સારી આવક કરી શકે છે. તેને પરિણામે પણ ક્યારેક આવક સામે જોખમ ઊભું થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ગુજરાતમાં સાણંદ જીઆઈડીસીમાં એક જ સ્થળે હોવાથી ક્યારેક કુદરતી આફત અથવા તો શ્રમિકોની સમસ્યાને કારણે કે પછી રેગ્યુલેટરી ઓથોરિટીના કેટલાક નિર્ણયને કારણે પણ તેને સમસ્યા આવે તો તેની આવક ઘટી જવાની શક્યતા રહેલી છે.
કંપની અત્યારે નફો કરી રહી હોવા છતાંય તેના કામકાજનું સ્તર બહુ જ નાનું છે. તેમાં થોડોગણો પણ અવરોધ આવે તો તેમાં રોકાણ કરવા માટે ઓછા લોકો આગળ આવશે. કોન્ટ્રાક્ટથી ફાર્મા પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગના કામકાજ લેવામાં સ્પર્ધા વધારે છે. તેના માર્જિન ગમે ત્યારે દબાણ હેઠળ આવી શકે છે.
બજારના જાણકારો અને કંપનીના પરફોર્મન્સના વિશ્લેષકો કહે છે કે લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક સારો ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ છે. વિદેશના બજારમાં વર્ચસ્વ જમાવતા કંપનીને લાંબો સમય લાગશે કંપનીની નિકાસ ક્ષમતાની વાત માની લઈએ તો પણ નિકાસની બાબતમાં મધ્યમ ક્ષમતા ધરાવતી કંપની છે. કંપનીની આવકમાં વૃદ્ધિ અને નફામાં વધારો થઈ રહ્યો છે તે એક પોઝિટીવ બાબત છે. ટૂંકા ગાળામાં લિસ્ટિંગના લાભને રોકડો કરી લેવામાં માનતા રોકાણકારો આ સ્ક્રિપમાં રોકાણ કરી શકે છે. જોકે ગ્રે માર્કેટમાં ક્યુરિસ લાઈફસાયન્સના શેર્સ માટે કોઈ જ પ્રીમિયમ બોલાતું નથી. તેથી રોકાણકારોને તેની ઓફર પ્રાઈસ ઊંચી લાગતી હોવાનો નિર્દેશ મળે છે. કંપનીના પ્રોફાઈલને જોતાં તેના શેરનું લિસ્ટિંગ ઊંચા ભાવે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હા, તેને માટે બજારનું સેન્ટિમેન્ટ મજબૂતાઈ પકડી શકે તેવી સંભાવના છે. થોડુગણું જોખમ લેવાની માનસિકતા ધરાવતા રોકાણકારો આ આઈપીઓમાં રોકાણ કરી શકે છે. આઈપીઓમાં રોકાણ કરીને મોટી કમાણી કરી લેવાશે તેવા ભ્રમમાં કોઈએ રહેવું જોઈએ નહિ. તેલ અને તેલની ધાર જોઈને નિર્ણય લેવામા જ માલ છે. રોકાણકારોના ગાડરિયા પ્રવાહમાં ખેંચાઈને રોકાણ કરી દેવું હિતાવહ નથી.
જો તમે મધ્યથી લાંબા ગાળા માટે એટલે કે ત્રણથી પાંચ વર્ષ સુધી રોકાણને જાળવી રાખવાના ઇરાદા સાથે રોકાણ કરી રહ્યા હોવ તો તેમાં અરજી કરી શકાય છે. તેમ જ આ રોકાણ કરવા માટે લેવાના થતાં જોખમને તમે સહન કરી શકો તેમ હોય તો જ અરજી કરવી જોઈએ. તેમ જ SME સેગમેન્ટમાં બજારમાંના કેટલાક ચુસ્ત નિયમો તથા શેર્સ આસાનીથી વેચી શકાય તેવી પ્રવાહિતા બજારમાં ન હોવાથી થોડુંક જોખમ છે. તેમ જ તમે ફાર્મા ઉદ્યોગના અને કંપનીના કામકાજમાં ઊભા થનારા જોખમને સમજતા હોવ અને તેમને તે જોખમ લેવા જેવું લાગે કે તેમાં નુકસાન થવાની સંભાવનાને સહન કરવાની તમારી ક્ષમતા હોય તો જ તમારે આઈપીઓમાં અરજી કરવી જોઈએ. રોકાણકાર તરીકે તમારું લક્ષ્ય શોર્ટ ટર્મમાં ઝડપી રિટર્ન મેળવી લેવાનું હોય તો કદાચ બીજા વિકલ્પોની તરફ નજર દોડાવવી વધુ સારું ગણી શકાય છે.



