• 9 October, 2025 - 8:58 AM

હવે એરકન્ડિશનરમાં 20 ડિગ્રીથી ઓછું કૂલિંગ નહિ કરી શકાય

  • એસીના તાપમાન પર નિયંત્રણથી ઉર્જા બચત કેવી રીતે શક્ય બનાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ

 
  • એરકન્ડિશનરમાં મેક્ઝિમમ હિટિંગ અને મિનિમમ કૂલિંગની મર્યાદા મૂકી ને જ એરકન્ડિશનરની ડિઝાઈન તૈયાર કરવામાં આવે તેવી સંભાવના

Image by freepik

Image by freepik

કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવા, એરકન્ડિશનરને કારણે વાતાવરણમાં છૂટતા ગરમ પવનને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર એરકન્ડિશનરના તાપમાન પર નિયંત્રણ લાદવાનું આયોજન કરી રહી છે. તેની સાથે ઉર્જાની બચત થશે. ઉર્જા બચાવવાના પ્રયાસનો ભાગ છે. બીજું કાર્બન ઉત્સર્જન પણ ઘટશે.

 

કેન્દ્રિય રહેણાંક અને શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ એરકન્ડિશનરનું તાપમાન વીસ ડિગ્રી સેન્ટિગ્રેડથી નીચે ન જાય અને 28 ડિગ્રી સેન્ટીગ્રેડી ઉપર હિટિંગ ન થાય તેવા એકકન્ડિશનર બનાવવાનો જ નિયમ કરવામાં આવશે. અત્યંત ઓછી ઠંડકના કારણે વધારે વીજળી વપરાય છે. તેનાથી કાર્બન ઉત્સર્જન પણ વધે છે. પરિણામે અમે એરકન્ડિશનરના વપરાશમાં એકરૂપતા લાવવાનો નિર્ણય કર્યો છે.

 

જોકે કેન્દ્ર સરકારની પ્રસ્તુત જાહેરાતન કેટલાક લોકોએ વ્યક્તિગત પસંદગીઓમાં સરકારની સીધી દખલ તરીકે જોવામાં આવી રહી છે. તેને માટે કેન્દ્ર સરકારની ટીકાઓ પણ કરવામાં આવી છે. જોકે પર્યાવરણ અંગે ચિંતિત અને ભાવિ પેઢી માટે દુનિયા જીવવા લાયક રાખી જવાની માનસિકતા ધરાવતા લોકો કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયની સરાહના પણ કરી રહ્યા છે.  આ નિર્ણયના સમર્થકોનું કહેવું એરકન્ડિશનરના વધારે પડતા ઉપયોગને કારણે વીજળીની જરૂરિયાત વધી રહી છે. તેથી પણ આ નિયંત્રણ મૂકવું જરૂરી બની ગયું છે. ભારતમાં માત્ર સરેરાશ 40 ટકા એસીધારક પરિવારો 24°C કે વધુ તાપમાને એરકન્ડિસનર ચલાવે છે. સંખ્યાંબંધ લોકો 16 કે 18 ડિગ્રીએ એરકન્ડિસનર ચલાવે છે. હવે તેઓ તેમના એરકન્ડિસનરને 20 ડિગ્રી કે તેનાથી ઉપર ચલાવશે તો તેમના વીજબિલ ખાસ્સા ઘટી જશે. તેનો બીજો ફાયદો એ થશે કે જેમની પાસે એરકન્ડિશનર નથી તેમના વપરાશ માટે વીજળી બચશે  ભારતમાં માત્ર 7-9 ટકા ઘરોમાં જ એરકન્ડિશનર-એસી હોય છે. એરકન્ડિશનર સાથે પંખાનો વીજ વપરાશ પણ લગભગ એટલો જ થાય છે. આમ આ નિર્ણય લેવા પાછળ ભારત સરકારનો હેતુ 2030 સુધીમાં GDPના ઉત્સર્જન તીવ્રતામાં 45% ઘટાડો કરવાનો છે.

 

વીજળીની બચત કરવી પણ એટલી જ જરૂરી

2019 થી 2023 દરમિયાન, જયારે બહારનું તાપમાન 36°Cથી વધુ હોય ત્યારે વીજળીની માંગ 28% જેટલી વધી જાય છે. એરકન્ડિશનર વસાવનારાઓની વધી રહેલી સંખ્યાને પરિણામે વીજળીની ડિમાન્ડમાં આ વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં 2030 સુધીમાં ફક્ત એરકન્ડિશનરના વપરાશને કારણે વીજળીનો વપરાશ 200 GWનો થઈ જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ભારતની આજની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 475 GW છે. આમ ચાળીસ ટકાથી વધુ વીજળી માત્ર એરકન્ડિશનરના વપરાશથી જ થઈ જાય છે. એક અંદાજ મુજબ આજે વિશ્વભરમાં લગભગ 2 અબજ-200 કરોડ જેટલા એસી ચાલી રહ્યા છે. તેમાંથી 70 ટકા એરકન્ડિશનર રહેણાંક વિસ્તારમાં ચાલી રહ્યા છે. ભારતની વાત કરીએ તો 2019 સુધીમાં માત્ર 7-9 ટકા ઘરમાં એરકન્ડિશનર હતા. 2027-28ના વર્ષ સુધીમાં ભારતમાં એરકન્ડિશનરનો ઉપયોગ કરનારા ઘરની સંખ્યા 2027-28માં 21 ટકા અને 2037-38માં 40 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. માત્ર નવ ટકા ઘરમાં એરકન્ડિશનરનો ઉપયોગ થવાની વીજળીના વપરાશ પર આવતા લોડને ધ્યાનમા લઈએ તો 40 ટકા ઘરમાં એરકન્ડિશનરનો ઉપયોગ થવા માંડશે ત્યારે લોડ કેટલો વધી જશે તેનો વિચાર કરવો જરૂરી છે.

 

ભારત સરકાર બહુ વરસોથી આ અંગે વિચાર કરી રહી છે. ભારતની એનર્જી એફિશિયન્સી બ્યુરો એટલે કે બીઈઈએ 2018માં જ ધંધાના સ્થળે 24 ડિગ્રીથી વધુ કૂલિંગ ન કરવાની વ્યવસ્થા દાખલ કરવાની ભલામણ કરી હતી. વ્યાવસાયિક સ્થળોએ એસી માટે 24 ડિગ્રી સેન્ટીગ્રેડનું ડિફોલ્ટ તાપમાન રાખવાની ભલામણ કરી હતી. બીઈઈના નિષ્ણાતોનું કહેવું છે કે માનવીય શરીરનું તાપમાન સામાન્ય રીતે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. આ સ્થિતિમાં તેને ચોવીસથી પચ્ચીસ ડિગ્રી સેન્ટ્રીગ્રેડમાં રાખવામાં આવે તો માનવ શરીર આરામનો અહેસાસ કરે છે. બીજું દર એક ડિગ્રી સેન્ટિગ્રેડ એટલ કે 18 ડિગ્રીથી વધારીને 19 ડિગ્રી પર લઈ એરકન્ડિશનરના તાપમાનને લઈ જવાથી છ ટકા વીજળીની બચત થાય છે. છ ટકા વીજળીની બચતથી રૂ. 10,000 કરોડના મૂલ્યની વીજળીની બચત શક્ય બને છે. ત્યારબાદ 2020ની સાલથી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ તમામ એરકન્ડિશનર માટે 24 ડિગ્રી સેન્ટીગ્રેડનું ડિફોલ્ટ સેટિંગ કરવાનું ફરજિયાત કરી દીધું છે.

 

માઈલ્ડ એરકન્ડિસનર સાથે હળવો પંખો ચલાવતા કૂલિંગ વધશે

એરકન્ડિશનર સાથે પંખો ચલાવવો અયોગ્ય હોવાનું માનવામાં આવતું હતું. હવે આ માન્યતા બદલાઈ છે. એરકન્ડિશનર સાથે હળવો પંખો ચલાવીને એરકન્ડિશનરની ડિગ્રીને ઉપર લઈ જઈ શકાય છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો 24થી 26 ડિગ્રી તાપમાન પર એરકન્ડિશનર ચાલુ કરીને તેની સાથે એક કે બે પર પંખો ચલાવવામાં આવે તો કૂલિંગ વધી શકે છે. તેનાથી તે રૂમમાં બેસનારને વધુ આરામની અનુભૂતિ થઈ શકે છે.

આ બાબતે જુદાં જુદાં દેશોમાં સંશોધનો થયેલા છે. ઓસ્ટ્રેલિયાના સંશોધનમાં જણાવાયું છે કે 27°C તાપમાને એસી અને ફેન સાથે ઉપયોગ થવાથી આરામ મળતો રહે છે. લાન્સેટના સંશોધકોએ રજૂ કરેલા પેપર મુજબ ફેન વડે શરીર પર હવા ચલાવવી એસી કરતા 10 થી 50 ગણી ઓછી વીજળીમાં થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વીજળીના વપરાશમાં 10થી 50 ગણો ઘટાડો થશે. પરંતુ એરકન્ડિશનર સાથે પંખો ન ચલાવવાની માન્યતા ભારતીયોના મનમાં ઘર કરી ગઈ હોવાથી ભારતમાં ફક્ત 20 ટકા લોકોએ જ પંખો અને એરકન્ડિશનર સાથે ચલાવે છે. કૂલિંગ એક્શન પ્લાનમાં કરવામાં આવેલી જોગવાઈ  મુજબ ઘરમાં પંખાનો કુલ વીજ વપરાશ એરકન્ડિશનર કરતા થોડો જ ઓછો છે. તેથી ઊર્જા બચાવના દૃષ્ટિકોણથી પંખાનો ઉપયોગ મહત્વપૂર્ણ  ગણાય છે. સરકારે આ જ હેતુથી 2022ની સાલથી પંખા માટે પણ સ્ટાર રેટિંગ ફરજિયાત બનાવ્યું છે. પરંતુ માત્ર 3 ટકા ઘરોમાં જ એનર્જી એફિશિયન્ટ પંખાઓ વસાવવામાં આવે છે. એનર્જી એફિશિયન્ટ પંખાને નામે પંખાની કિંમત ખાસ્સી વધારી દેવામાં આવી છે. આ પંખાઓની કિંમત ઓછી કરવા માટે પગલાં લેવામાં આવે તો તેને પરિણામે વીજળીની બચત ખાસ્સી વધારે થઈ શકે છે.

 

માત્ર એરકન્ડિશનરના વપરાશ પર નિયંત્રણ મૂકવું પૂરતું નથી

એનર્જી એફિશિયન્ટ પંખાની કિંમત ઘટાડવાનું સૂચન યોગ્ય છે પણ તેનો ઊર્જા બચત પર મર્યાદિત અસર રહેશે એમ વીજ ઉર્જા બચતના ક્ષેત્રના જાણકારોનું કહેવું છે. સરકારે બિલ્ડિંગ ડિઝાઇન નિયમો લાગુ કરવા જરૂરી છે. નવા કૂલિંગ ટેક્નોલોજી પર સંશોધન થાય તે પણ જરૂરી છે. ઊર્જા બચતવાળા એરકન્ડિસનર માટે સબસિડી આપવાનું આયોજન પણ થઈ શકે છે.  જૂના એસીના એક્સચેન્જ માટે નવા એરકન્ડિશનરની ખરીદ કિંમતમાં વળતર કે રીબેટ આપવાનાં પગલાં લેવા જોઈએ. આજની તારીખે હવે તમામ એરકન્ડિશનર પર 28 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેવામાં આવી રહ્યો છે. પરંતુ ઉર્જા કે વીજળીની બચત કરી આપતા એરકન્ડિસનર પર 28 ટકાને બદલે 12 કે 18 ટકા જીએસટીની સિસ્ટમ દાખલ કરીને સરકાર ઉર્જાની કે વીજળીની બચત કરી આપતા એરકન્ડિશનરના વપરાશને પ્રોત્સાહન આપી શકે છે

ભારતમાં એરકન્ડિશનરને 1 થી 5 સ્ટાર સુધીની રેટિંગ આપવાન સિસ્ટમ મોજૂદ છે. 1 સ્ટાર ઓછું કાર્યક્ષમ અને 5 સ્ટાર સૌથી વધુ કાર્યક્ષમ એરકન્ડિશનર ગણાય છે. આજે મોટાભાગના એરકન્ડિશનરને 1-3 સ્ટાર રેટિંગની કેટેગરીમાં આવે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ રજૂ કરેલાં રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે આજનું 5 સ્ટાર સ્તર 2027થી નવા એસી માટે મિનિમમ હોવું જોઈએ. બીજા શબ્દોમા કહીએ તો 2027થી વધુ એનર્જી એફિશિયન્ટ એરકન્ડિશનર બનાવવાનું ફરજિયાત કરી દેવું પડશે.  તેને માટે નિયમોને વધુ કડક બનાવવા જરૂરી છે. પરિણામે 2035 સુધીમાં પીક ડિમાન્ડમાં 60 GW સુધીનો ઘટાડો કરી શકાશે. તેમ જ એરકન્ડિશનરના વપરાશથી આવતા વીજબિલમાં 2.2 લાખ કરોડ રૂપિયાની બચત કરી શકાશે.

 

કેન્દ્રિય મંત્રી મનોહરલાલ ખટ્ટરે રજૂ કરેલા એરકન્ડિશનરના તાપમાન નિયંત્રણનો નિર્ણય કોઈ જાદુઈ ઉકેલ નથી. છતાં પણ નીતિ સ્તરે લેવામાં આવનારા ઘણા પગલાંમાંનું એક છે. આ એક વ્યવહારિક પરિવર્તન છે, જે લાંબા ગાળે ઉપયોગી સાબિત થશે. ક્લાઈમેટ ચેન્જની ગતિમાં પણ તેનાથી મોટો ફરક પડી જશે. વર્તમાન પ્રજા ભાવિ પ્રજાને રહેવા લાયક દુનિયા આપવામાં મદદ ન કરે તો તેવા સંજોગમાં એરકન્ડિશનરમાં જ સીમિત કૂલિંગ અને હિટિંગની ટેકનિકલ વ્યવસ્થા કરીને લોકોને માથે નવી વ્યવસ્થા લાદી શકાય છે.

Read Previous

DRC-3 ફોર્મની નોટિસથી જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓમાં ફફડાટ

Read Next

10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા તથા રિટર્ન ન ફાઈલ કરનાર વ્યક્તિ માટે TDS-TCSમાં મહત્વનો ફેરફાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular