• 29 July, 2026 - 8:03 PM

આયુર્વેદિક, સિદ્ધ કે યુનાની દવાઓ બનાવવા માટે આપવામાં આવતા મેન્યુફેક્ચરિંગ લાયસન્સ અને લોન લાયસન્સની માન્યતા હવે આજીવન રહેશે.

આયુષ મંત્રાલયે આયુર્વેદ, સિદ્ધ, યુનાની અને હોમિયોપેથી દવાઓ માટે GMP ધોરણો સુધારવા D&C નિયમોમાં કર્યો સુધારો

આયુર્વેદિક, સિદ્ધ કે યુનાની દવા બનાવવા આપવામાં આવતા મેન્યુફેક્ચરિંગ લાયસન્સ-લોન લાયસન્સની માન્યતા આજીવન રહેશે.

દવાના લેબલ પર જો ઘટકોની યાદી મોટી હોય, તો તેને QR કોડ, GTIN અથવા બારકોડ દ્વારા દર્શાવવી ફરજિયાત

અમદાવાદઃ કેન્દ્રીય આયુષ મંત્રાલયે આયુર્વેદિક, સિદ્ધ, યુનાની અને હોમિયોપેથિક દવાઓના ઉત્પાદન માટે ‘ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ’ના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ નવા સુધારેલા ધોરણોને આગામી ત્રણ વર્ષમાં એટલે કે ૩૧ જુલાઈ, ૨૦૨૯ સુધીમાં પૂર્ણપણે લાગુ કરવાના રહેશે. મંત્રાલય દ્વારા ‘ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫’ માં કરવામાં આવેલા આ સુધારા મુજબ, આયુર્વેદિક, સિદ્ધ કે યુનાની દવાઓ બનાવવા માટે આપવામાં આવતા મેન્યુફેક્ચરિંગ લાયસન્સ અને લોન લાયસન્સની માન્યતા હવે કાયમી (આજીવન) રહેશે. આ સાથે જ દર વર્ષે લાયસન્સ રિન્યૂ કરવા માટે આપવાના થતા સ્વ-ઘોષણાપત્રની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે.

મુખ્ય ફેરફારો અને નવી જોગવાઈઓ:

  • ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (Schedule T & Schedule M-I): મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જગ્યા, સ્વચ્છતા, કાચો માલ અને પેકેજિંગ સામગ્રીના સંગ્રહ, કચરાના નિકાલ, ઉત્પાદન પ્રક્રિયાના રેકોર્ડ (Batch Manufacturing Records), ગુણવત્તા નિયંત્રણ (Quality Control) અને આંતરિક ઓડિટ સંબંધિત નિયમો વધુ સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે. હોમિયોપેથિક દવાઓ માટે શેડ્યૂલ M-I હેઠળ પણ આ જ પ્રકારના આધુનિક ધોરણો લાગુ કરાયા છે.

  • QR કોડ અને બારકોડ સિસ્ટમ: દવાના લેબલ પર જો ઘટકોની યાદી મોટી હોય, તો તેને QR કોડ, GTIN અથવા બારકોડ દ્વારા દર્શાવવી ફરજિયાત રહેશે. આ સિસ્ટમ આગામી બે વર્ષમાં લાગુ કરવાની રહેશે, જેથી પ્રોડક્ટનું ટ્રેકિંગ સરળ બની શકશે.

  • સ્પેસિફિક પ્રોડક્ટ કોડ (S.P.C.): તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે દવાઓના કોડિંગનું એક સમાન માળખું (Product Code) નક્કી કરવામાં આવ્યું છે, જે ઉત્પાદન લાયસન્સ નંબર તરીકે પણ ગણાશે.

  • શેલ્ફ લાઇફ અને ગુણવત્તા: દવાઓની એક્સપાયરી ડેટ નક્કી કરવા માટે ‘એક્સીલરેટેડ સ્ટેબિલિટી સ્ટડી’ (Accelerated Stability Study) રિપોર્ટના આધારે ૧ થી ૨ વર્ષની શેલ્ફ-લાઇફ આપવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે.

  • સોવા-રિગ્પા અને નિરીક્ષકોની લાયકાત: ઔષધિ પરીક્ષણ અને તપાસ માટેના નિરીક્ષકો (Inspectors) તેમજ નિષ્ણાતોની લાયકાતમાં ‘સોવા-રિગ્પા’ (Sowa-Rigpa) પદ્ધતિના નિષ્ણાતો અને ડિગ્રીધારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી: શંકાસ્પદ નમૂનાઓનું પરીક્ષણ આયુષ મંત્રાલય સંચાલિત અધિકૃત લેબોરેટરીમાં કરવામાં આવશે, જે સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી તરીકે કાર્ય કરશે.

Read Previous

ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવાથી બેન્કોએ પાંચ વર્ષમાં રૂ. 28000 કરોડનો દંડ વસૂલી લીધો

Most Popular