• 30 May, 2026 - 6:09 PM

કેન્દ્રએ કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટી ૩૧ ઓક્ટોબર સુધી માફ કરી

યાર્ન, ફેબ્રિક્સ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સની પડતરમાં ત્રણથી ચાર ટકાનો ઘટાડો આવતા નિકાસના બજારમાં સ્પર્ધાત્મકા વધી જશે

પહેલી જૂનથી પાંચ મહિના માટે કપાસ પરની આયાત ડ્યૂટી માફ કરી દેવાનો નિર્ણય કેન્દ્ર સરકારે આજે લીધો છે. કેન્દ્ર સરકારના પ્રસ્તુત પગલાંને પરિણામે કાચા માલનો પુરવઠો સ્થિર થશે. વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારીને ઉત્પાદકો, નિકાસકારો અને ગ્રાહકોને ટેકો મળવાની સંભાવના રહેલી છે. હાલમાં કપાસની આયાત પર 11 ટકા આયાત ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે યાર્ન, ફેબ્રિક્સ અને ગારમેન્ટ બનાવનારા તમામને ફાયદો થશે. તેમની પડતર કિંમતમાં ત્રણથી ચાર ટકાનો ઘટાડો આવશે. તેમની પડતરના ઘટાડાના પ્રમાણમાં તેમના માર્જિનમાં વધારો થશે. આમ સમગ્રતયા ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીના તમામ સેક્ટરને કેન્દ્ર સરકારના નવા નિર્ણયનો લાભ મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ-સીબીઆઈસીએ બહાર પાડેલા નોટિફિકેશન પછી ભારતીય કાપડ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે, કેન્દ્ર સરકારે ૧ જૂન, ૨૦૨૬ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી કપાસની આયાત પરની તમામ કસ્ટમ ડ્યુટીમાંથી કામચલાઉ મુક્તિ આપી છે. આ કામચલાઉ ડ્યુટી મુક્તિથી કાપડ અને એપેરલ સેક્ટરમાં ઇનપુટ ખર્ચ ઘટશે, જેનાથી ઉત્પાદકો અને ગ્રાહકોને રાહત મળશે અને સ્થાનિક ખેડૂતોના હિતોનું પણ રક્ષણ થશે.

છેલ્લે ઓગસ્ટ અને ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે ડ્યુટી હટાવવામાં આવી હતી. દેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ સૌથી વધી રોજગાર પૂરો પાડનાર બીજો સૌથી મોટો ઉદ્યોગ છે, તેને ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસની જરૂર છે. માંગ અને પુરવઠા વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખીને સરકારે આ આયાત ડ્યુટી મુક્તિની જાહેરાત કરી છે.

આ નિર્ણયથી યાર્ન, ફેબ્રિક અને ગાર્મેન્ટ્સ સહિતના ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં ઇનપુટ ખર્ચ સ્થિર થશે. મોટાભાગની આયાત વિશિષ્ટ ઔદ્યોગિક જરૂરિયાતો માટે હોય છે અને તે સ્થાનિક કપાસનું સ્થાન લેતી નથી. આ વ્યૂહાત્મક હસ્તક્ષેપથી કાપડ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેશે અને નાના-મધ્યમ ઉદ્યોગોના ઓર્ડરમાં પણ વધારો થશે. આ ક્ષેત્ર ૪.5 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે.

ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા લઘુતમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-સીસીઆઈ સંચાલિત મિનિમમ સપોર્ટ પ્રાઇસ મિકેનિઝમના માધ્યમથી ખેડૂતોના હિતો સુરક્ષિત છે, ખેડૂતોને તેમની ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા ૫૦ ટકા વધુ મળે તેની ખાતરી લઘુતમ ટેકાના ભાવથી મળી રહે છે.

૨૦૨૬-૨૭ માર્કેટિંગ સીઝન માટે કેન્દ્ર સરકારે કપાસના લઘુતમ ટેકાના ભાવમાં ક્વિન્ટલદીઠ રૂ. ૫૫૭ નો વધારો કર્યો છે. નવી કિંમતો મધ્યમ-સ્ટેપલ કપાસ માટે રૂ. ૮,૨૬૭ પ્રતિ ક્વિન્ટલ અને લાંબા-સ્ટેપલ કપાસ માટે રૂ. ૮,૬૬૭ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે.

Read Previous

Which payment apps are best for teenagers in India?

Most Popular