ગુજરાત ચેમ્બરની ચૂંટણી 27મી જુલાઈએ ઇ વોટિંગથી યોજવામાં આવશે


- 29મી જુલાઈએ સાંજના છ વાગ્યા પછી મતગણતરી ચાલુ થશે. મતગણતરી પૂરી થતાં પરિણામની જાહેરાત કરવામાં આવશે.
- મતદાન 29 જુલાઈના સાંજે ચાર વાગ્યે પૂરું થશે: ચૂંટણી અધિકારી તરીકે હસમુખ હિંગુની નિમણૂક કરવામાં આવી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણીમાં પહેલીવાર ઇ-વોટિંગથી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને માટે આગામી 27મી જુલાઈથી 29મી જુલાઈ સુધીના ત્રણ દિવસ માટે ઇ-વોટિંગ યોજવાં આવશે. આ વખતે જુનિયર ઉપપ્રમુખ ઉપરાંત કારોબારીના સભ્યોની ચૂંટણી યોજવામાં આવશે. 2025-26ની વાર્ષિક સામાન્ય સભા પૂરી થતા ગુજરાત ચેમ્બરના હાલના પ્રમુખ સંદીપ એન્જિનિયર, સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધી ગુજરાત ચેમ્બરના નવા પ્રમુખ બનશે. તેઓ એક વર્ષ માટે નવા પ્રમુખ બનશે.જોકે સંદીપ એન્જિનિયરની માફક તેમને વધુ એક વર્ષ સુધી ગુજરાત ચેમ્બરના પ્રમુખ તરીકે સેવા આપવી હશે તો તે માટે તેમણે બંધારણની જોગવાઈ હેઠળ રજૂઆત કરવાની રહેશે.
આ વખતે ઉપપ્રમુખ પદેથી નિવૃત્ત થઈ રહેલા અપૂર્વ શાહના હોદ્દા માટે ચૂંટણી યોજવામાં આવશે. તદુપરાંત કોર્પોરેટ કેટેગરીમાંથી ધ્રુવિલ પટેલ, રમેશ એમ. પટેલ, શૈશવ પટેલના સ્થાન માટે પણ ચૂંટણી યોજવામાં આવશે. બિઝનેસ એસોસિયેશનન-સ્થાનિકના નિવૃત્ત થઈ રહેલા અજય પટેલ અને ગૌરાંગ ભગતના સ્થાન માટે ચૂંટણી યોજવામાં આવશે. બિઝનેસ એસોસિયેશન બહાર ગામના હોદ્દા પરથી નિવૃત્ત થઈ રહેલા આશિષ ગુજરાતીના હોદ્દા માટે પણ ચૂંટણી યોજાશે.
આજીવન સભ્ય-પેટ્રન- સ્થાનિકના હોદ્દા પરથી હિતેન વસંત, સંજીવ છાજેડ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમ જ આજીવન સભ્ય બહાર ગામના સૌરિન પરીખ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના સ્થાન માટે પણ ચૂંટણી યોજાશે. સામાન્ય વિભાગની આઠ જગ્યા પરથી ચેતન ડી. શાહ, ચિંતન ડી. શેઠ, ભૂપેન્દ્ર સી. પટેલ, નહુશ જે. જરીવાલા, આશિષ એચ. ઝવેરી, કિરણ એન. પટેલ, અંકિત એસ. પટેલ તથા સુધાંશુ એન. મહેતા નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની ખાલી પડનારી જગ્યા માટે પણ ચૂંટણી યોજવામાં આવશે.
સામાન્ય વિભાગ બહાર ગામમાંથી મહેશ પુજ-ગાંધીધામ, ભાર્ગવ કે. ઠક્કર-હારીજ, અમિત પરીખ-કડી અને હિમાંશુ પટેલ-વડોદરા નિવૃત્ત થઈ રહ્યા હોવાથી આ ચાર સ્થાન માટે પણ ચૂંટણી યોજાશે. સામાન્ય વિભાગમાં બિઝનેસ વુમનના હોદ્દા પરથી બિંજન વી. શેઠ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમના હોદ્દા માટે પણ ચૂંટણી યોજવામાં આવશે. આમ કુલ મળીને 24 જગ્યાઓ માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી સમરસ થાય અને સહુની સમંતીથી ઉમેદવારોની પસંદગી અને ચયન થઈ જાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે.
- ચૂંટણી માટેના ઉમેદવારી પત્રકો નવમી જુલાઈ 2026થી બપોરે 12 વાગ્યાથી સાંજના છ વાગ્ય દરમિયાન મળી શકશે. 16મી જુલાઈ સુધી ઉમેદવારી પત્રક આપવામાં આવશે.
- ભરેલા ઉમેદવારીપત્રક 16મી જુલાઈના સાંજે 6.30 કલાક સુધી સ્વીકારવામાં આવશે.
- ઉમેદવારીપત્રક સામેની વાંધા અરજી 17મી જુલાઈ 2027ના સવારે 11 કલાક સુધી સ્વીકારવામાં આવશે.
- ઉમેદવારી પત્રકો 18મી જુલાઈના સાંજના ચાર વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે.
- 18મી જુલાઈના સાંજે ઉમેદવારોની યાદી સાંજે છ વાગ્યા પછી જાહેર કરવામાં આવશે.
- ચૂંટણી માટેનું ઈ-વોટિંગ 27મી જુલાઈના સવારે કલાકે ચાલુ થશે. 29મી જુલાઈના સાંજે ચાર વાગ્યા સુધી મતદાન કરી શકાશ. બહારગામના સભ્યોએ અમદાવાદ આવવાની તકલીફ લેવી પડશે નહિ. તેઓ ઓનલાઈન જ ઇ-વોટિંગ કરી શકશે.
- વોટિંગ પૂરું થતાં મતગણતરી ચાલુ કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીના પરિણામ સામેની વાંધા અરજી પરિણામ જાહેર થયાના ત્રણ દિવસમાં કરી શકાશે. ત્રીજા દિવસના સાંજે છ વાગ્યા સુધી વાંધા અરજીનો સ્વીકાર કરવામાં આવશે. 30મી જુલાઈએ વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવશે.



