નેશનલ પેન્શન સ્કીમમાં વારસદારોને રકમ પરત અપાવવાનો વિકલ્પ સૌથી વધુ પસંદ કરતાં રોકાણકારો
નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કર્યા પછી નિવૃત્તિ ટાણે લાભ લેવાના પાંચ વિકલ્પો મોજૂદઃ રોકાણકારોને પોતાની જરૂરિયાત પ્રમાણે વિકલ્પ પસંદ કરવાની છૂટ
અમદાવાદઃ નેશનલ પેન્શન સ્કીમ-NPSમાં રોકાણ કરવાના પાંચ વિકલ્પોમાંથી કયા વિકલ્પને પસંદ કરવો એ રોકાણકારોની મૂંઝવણનો વિષય બની ચૂક્યો છે. આ રોકાણમાં આજીવન પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આમ તો નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) નિવૃત્તિ પછી જીવનભર નિયમિત આવક સુનિશ્ચિત કરવા માટે સબ્સ્ક્રાઇબર્સને એન્યુઇટી એટલે કે વાર્ષિક કે પછી માસિક પેન્શનના વિકલ્પો આપે છે. સબ્સ્ક્રાઇબરના અવસાન પછી ખરીદી કિંમત (Purchase Price) કાનૂની વારસદારને પરત મળે કે ન મળે – તે આધારે અલગ-અલગ એન્યુઇટી વિકલ્પો ઉપલબ્ધ છે. ઉપલબ્ધ વિકલ્પોમાંથી મોટાભાગના સબ્સ્ક્રાઇબર્સ “લાઇફટાઇમ એન્યુઇટી વિથ રિટર્ન ઑફ પર્ચેઝ પ્રાઇસ (RoP)” વિકલ્પ પસંદ કરે છે.
નેશનલ પેન્શન સ્કીમના 48 ટકા રોકાણકારોએ FY25 દરમિયાન લાઇફ એન્યુઇટી વિથ RoP વિકલ્પ પસંદ કર્યો છે. આમ ફરજિયાત એન્યુઇટીના નિયમને કારણે નિવૃત્તિ બાદ રોકાણકારોને નિયમિત આવક આપતું રહે છે. જોકે NPS સબ્સ્ક્રાઇબર્સ માટે કુલ 16 એન્યુઇટી સર્વિસ પ્રોવાઇડર્સ (ASP) ઉપલબ્ધ છે. NPS હેઠળ નિવૃત્તિ સમયે સબ્સ્ક્રાઇબર્સને એક સામટી રકમ-લમ્પસમ રકમ મળી શકે છે. તેમાંથી ચોક્કસ રકમનો ઉપાડ ન કરીને એટલે કે બાકીની રકમમાંથી ફરજિયાત રીતે એન્યુઇટી-પેન્શનની વ્યવસ્થા કરવી પડે છે. પરિણામે રોકાણકારોને નિવૃત્તિ પછી નિયમિત માસિક આવક મળી રહે. આ NPSની ફરજિયાત શરત છે. આ શરતથી એનપીએસના રોકાણકારો બંધાયેલા છે. સરકારના મોડેલ સબ્સ્ક્રાઇબર્સને બાદ કરતાં, અન્ય તમામ સબ્સ્ક્રાઇબર્સ માટે ઓછામાં ઓછા 20 ટકા ભંડોળ એન્યુઇટી ખરીદવા માટે એટલે કે પેન્શન મેળવવા માટે રાખવું ફરજિયાત છે. સરકારી નોકરી કરતાં એનપીએસના સબ્સ્ક્રાઇબર્સ માટે આ મર્યાદા 40 ટકાની રાખવામાં આવી છે.
અગાઉ તમામ માટે 40 ટકા એન્યુઇટી ફરજિયાત હતી, પરંતુ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા તાજેતરમાં નિયમોમાં ફેરફાર કરીને નૉન-ગવર્નમેન્ટ સબ્સ્ક્રાઇબર્સ માટે ફરજિયાત એન્યુઇટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવી છે. આમ ફરજિયાત એન્યુઇટી સબ્સ્ક્રાઇબર્સને તેમની પસંદગી મુજબ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક આવક આપે છે. એન્યુઇટી સર્વિસ પ્રોવાઇડર્સ (ASP) દ્વારા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
FY 2024-25 દરમિયાન એન્યુઇટી વિકલ્પોની પસંદગી
FY25 દરમિયાન કુલ 53,019 એન્યુઇટી આપવામાં આવી, જેમાંથી લગભગ 48 ટકા (24,439) સબ્સ્ક્રાઇબર્સે “લાઇફ એન્યુઇટી વિથ RoP” વિકલ્પ પસંદ કર્યો હોવાનું જોવા મળે છે. આરઓપી એટલે રિટર્ન ઓફ પરચેઝ પ્રાઈસ છે. તેના થકી એનપીએસમાં રોકાણ કરનારાને જીવનભર પેન્શન મળતું રહે છે. એનપીએસ સબસ્ક્રાઈબરના મૃત્યુ પછી તેની પત્નીને પણ આ પેન્શન મળતું રહે છે. આ આયોજનમાં રોકાણકારને સંપૂર્ણ રોકાણની રકમ પણ પરત કરવામાં આવે છે. રોકાણકાર તેમના વારસદારો માટે પણ આજીવન આવકની વ્યવસ્થા કરી શકે છે. હા, તેમાં રોકાણકારને થોડું ઓછું માસિક પેન્શન મળે છે. આરઓપીના વિકલ્પ વિના પેન્શન થોડું વધારે મળે છે. કારણ કે તેમાં રોકાણકારની મૂડી સચવાઈ રહે છે. તેમ જ મૂડી પરત પણ કરવામાં આવે છે. એનપીએસના જે રોકાણકારોને પોતાની મૂડી સાચવી રાખવામાં રસ હોય અને તે પાછી મળે તેવી ઇચ્છા હોય તથા પોતાના પરિવારના સભ્યોને પણ નિયમિત આવક થતી રહે તેવી ઇચ્છા ધરાવતા એનપીએસના રોકાણકારો આરઓપીનો વિકલ્પ પસંદ કરે છે. આમ આરઓપીમાં આજીવન પેન્શન મળે છે. તેમ જ એપીએસ ખરીદનારને પેન્શન માટે અનામત રાખેલા નાણાં તેના વારસદારને પરત મળે છે. આરઓપી ખરીદનારને અને તેના પત્નીને આજીવન પેન્શન મળતું રહે છે. બંનેના અવસાન પછી બાકી બચતી રકમ તેના વારસદાર-સ્વજનોને મળે છે.
આમ સબ્સ્ક્રાઇબર્સની પસંદગી અનુસાર એન્યુઇટી વિકલ્પો લઈ શકે છે. પાંચ વિકલ્પો નીચે મુજબ છે.
- અવસાન પછી ખરીદી કિંમત પરત મળતી લાઇફ એન્યુઇટી – 25,439
- અવસાન પછી જીવનસાથીને 100 ટકા એન્યુઇટી અને RoP – 4,770
- સામાન્ય લાઇફ એન્યુઇટી – 4,607
- NPS ફેમિલી ઇન્કમ વિકલ્પ – 2,429
- જીવનસાથીને 100 ટકા એન્યુઇટી (RoP વગર) – 1,454
FY25માં કુલ રૂ. 4,888 કરોડની એન્યુઇટી સેટલમેન્ટ કરવામાં આવી હતી, જ્યારે FY24માં 42,423 એન્યુઇટી માટે રૂ. 3,764 કરોડની રકમ હતી. જો કુલ પેન્શન સંપત્તિ (Accumulated Pension Wealth) રૂ. 8 લાખથી ઓછી હોય, તો નવા નિયમો મુજબ સબ્સ્ક્રાઇબર્સ સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે.
NPS હેઠળ ઉપલબ્ધ એન્યુઇટી વિકલ્પો
- લાઇફટાઇમ એન્યુઇટી વિથઆઉટ RoP: જીવનભર એન્યુઇટી, અવસાન પછી બંધ
- લાઇફટાઇમ એન્યુઇટી ટુ સ્પાઉસ વિથઆઉટ RoP: અવસાન બાદ જીવનસાથીને એન્યુઇટી
- લાઇફટાઇમ એન્યુઇટી વિથ RoP: અવસાન બાદ ખરીદી કિંમત નોમિનીને પરત
- સ્પાઉસલ બેનિફિટ અને RoP સાથે એન્યુઇટી: બંનેના અવસાન પછી રકમ પરત
- ફેમિલી બેનિફિટ અને RoP સાથે એન્યુઇટી: પરિવારના સભ્યોને ક્રમશઃ એન્યુઇટી
FY25 દરમિયાન HDFC Life, SBI Life અને Axis Max Life એ સૌથી વધુ એન્યુઇટી ઇશ્યુ કરી હતી.




