સરકાર આયાત, સબસિડી અને રસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા ફર્ટિલાઇઝર મિશન ચાલુ કરશે

સરકાર હવે ખેડૂતોને પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરવા તરફ વાળવા માગે છે.
રાસાયણિક ખાતર-ફર્ટિલાઇઝરની સબસિડી આપવા માટે બજેટમાં અંદાજે રૂ. 1,67,899.5 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે
અમદાવાદઃ આગામી બજેટમાં કેન્દ્ર સરકાર ફર્ટિલાઇઝર મિશનની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ મિશનનો મુખ્ય હેતુ રસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો કરવો અને ખાતર સબસિડીનું ભારણ ઓછું કરવાનું છે. આ મિશનમાં બાયો-ફર્ટિલાઇઝર અને વિકલ્પ ખાતરોને પ્રોત્સાહન આપવા માટેની પ્રોત્સાહક યોજનાઓનો સમાવેશ થઈ શકે છે. પરિણામે વર્તમાન રસાયણિક ખાતરની આયાતમાં ઓછામાં ઓછો 20 ટકા ઘટાડો કરી શકાશે.
આ મિશન માટે પાંચથી દસ વર્ષની સમયસીમા અને સ્પષ્ટ લક્ષ્યાંકો જરૂરી છે. દર વર્ષે માત્ર 6–7 ટકા વેચાણ ઘટાડવાથી પણ હાલની વધતી ખપતની પ્રવૃત્તિને અટકાવી શકાય છે અને વપરાશને વર્તમાન સ્તરે જાળવી શકાય છે. ઉપયોગ ઘટાડવા માટે 10થી 12 ટકા વેચાણ ઘટાડો કરવો જરૂરી છે. મિશન ફોર સેલ્ફ-રિલાયન્સ ઇન ફર્ટિલાઇઝર તરીકે પણ આ યોજનાને ઓળખાવી શકે છે. તેનો હેતુ પાંચ વર્ષમાં આયાતમાં 20 ટકા અને દસ વર્ષમાં 35 ટકા ઘટાડો કરવાનો હોઈ શકે છે.
ખાતર વેચાણમાં રેકોર્ડ વધારો
ભારતમાં 2024–25 દરમિયાન ખાતર વેચાણ 655.94 લાખ ટન સુધી પહોંચ્યું છે. FY-નાણાંકીય વર્ષ 2023-24ના 600.79 લાખ ટન કરતા નોંધપાત્ર વધુ છે. આમ તેમાં અંદાજે 9 ટકાની આસપાસનો વપરાશ વધારો જોવા મળી રહ્યો છે. અગાઉનો સર્વોચ્ચ આંકડો 2020–21માં 621.91 લાખ ટન રહ્યો હતો. સરકાર હવે ખેડૂતોને પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરવા તરફ વાળવા માગે છે. રાસાયણિક ખાતરના વેચાણના સત્તાવાર આંકડાઓ નીચે મુજબ છે.
- યુરિયા વેચાણ:
2024–25માં 387.92 લાખ ટન
2023–24માં 357.81 લાખ ટન
👉 8.4 ટકા વધારો - મ્યુરિયેટ ઓફ પોટાશ (MOP):
22.02 લાખ ટન (FY25)
16.44 લાખ ટન (FY24)
👉 33.9 ટકા વધારો - કૉમ્પ્લેક્સ ખાતર:
149.72 લાખ ટન (FY25)
116.80 લાખ ટન (FY24)
👉 28.2 ટકા વધારો - ડાય-એમોનિયમ ફોસ્ફેટ (DAP):
96.28 લાખ ટન (FY25)
109.74 લાખ ટન (FY24)
👉 ઘટાડો, કારણ કે નવેમ્બર 2024 સુધી ઉપલબ્ધતા ઓછી હતી.
સબસિડીનો ભાર
કેન્દ્ર સરકાર પોતાના માથા પરનું સબસિડીનું ભારણ પણ ઓછું કરવા માગે છે. રાસાયણિક ખાતર-ફર્ટિલાઇઝરની સબસિડી આપવા માટે બજેટમાં અંદાજે રૂ. 1,67,899.5 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે. 30 જૂન સુધી ચુકવેલી સબસિડીની રકમ રૂ. 41,482.33 કરોડ સુધી પહોંચી છે. ફોસ્ફેટિક અને પોટાશ ખાતર પરની સબસિડી બાદમાં વધારીને રૂ. 75,000 કરોડ કરવામાં આવી હતી. જે અગાઉના વરસના રૂ.49,000 કરોડના બજેટમાં મૂકવામાં આવેલા અંદાજ કરતા વધુ છે.
નીતિ સમન્વય (Policy Convergence)
સરકાર PM-PRANAM યોજનાને આ પ્રસ્તાવિત મિશન સાથે જોડી દેવા માટે વિચારણા કરી રહી છે. આ યોજના અંતર્ગત રાજ્યોને રસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા બદલ નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. કૃષિ ક્ષેત્રના ઘણા નિષ્ણાતોએ વધતા વેચાણના કારણે આ યોજનામાં સુધારા કરવાની જરૂરિયાત દર્શાવી છે.
કુદરતી ખેતી અને નવી ટેકનોલોજી
નેચરલ ફાર્મિંગ મિશન માટે વધારે ફાળવણી શક્ય છે, કારણ કે તે સીધા રસાયણિક ખાતર ઘટાડવાની બાબત સાથે તે જોડાયેલું છે. ICAR (ભારતીય કૃષિ સંશોધન પરિષદ)ને
ઓછા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ વાપરતી નવી ટેકનોલોજી વિકસાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.




