• 10 February, 2026 - 6:01 PM

સહકારી સંસ્થાઓનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફ્રેમવર્કમાં સમાવેશ કરવામાં આવતા નાણાંકીય લાભ મળશે

  • મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી, રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશના સહકારી કાયદા હેઠળ નોંધાયેલી સહકારી સંસ્થા પણ “સ્ટાર્ટઅપ” તરીકે માન્યતા મેળવી શકશે
  • પ્રાઇવેટ લિમિટેડ કંપની, પાર્ટનરશિપ ફર્મ, એલએલપીને પણ સ્ટાર્ટ અપ પોલીસીનો લાભ આપવામાં આવશે
  • સ્ટાર્ટઅપ બનવા માટે સંસ્થાની નોંધણી પછીનો સમયગાળો 10 વર્ષથી વધુ ન હોવો જોઈએ અને કોઈપણ નાણાકીય વર્ષમાં ટર્નઓવર રૂ.200 કરોડથી વધુ ન હોવું જોઈએ.

ભારત સરકારે “સ્ટાર્ટઅપ”ની વ્યાખ્યા બદલવાની નવી જાહેરાત કરીને “ડીપ ટેક સ્ટાર્ટઅપ” નામની નવી કેટેગરી ઉમેરતા ગુજરાત અને ભારતની સહકારી સંસ્થાઓને પણ સ્ટાર્ટઅપની માફક લાભ મળતા થશે. મલ્ટીસ્ટેટ કોઓપરેટીવ સોસાયટી, સ્ટેટ કોઓપરેટીવ સોસાયટીને સ્ટાર્ટ અપ તરીકે માન્યતા મળશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ-ડીપીઆઈઆઈટીએ કરેલી જાહેરાતને પરિણામે આરંભના વર્ષોમાં સહકારી સંસ્થાઓને આવકવેરા ધારાની કલમ 80-આઈએસી હેઠળ મળવાપાત્ર વેરામાફીના લાભ મળશે. આવકવેરા ધારાની કલમ 80-આઈએસી હેઠળ પાત્ર ઠરેલા સ્ટાર્ટ અપને પહેલા ત્રણ વર્ષ સુધી વેરા માફી મળે છે. સ્ટાર્ટ અપ ચાલુ થયાના દસ વર્ષની અંદર જ તેણે કરેલા નફા પર લાગતા વેરામાફીના લાભ મળે છે. તેમનું ટર્નઓવર રૂ. 100 કરોડથી વધુ ન હોવું જોઈએ.

તેમના માધ્યમથી કરવામાં આવનારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ અંગેની અરજીઓનું પ્રોસેસિંગ ફાસ્ટટ્રેક સિસ્ટમ હેઠળ કરવામાં આવશે. તેમ જ આઈપીઆર માટેની અરજી કરવા ઓછી ફી ચૂકવવી પડશે. પરિણામે પોતાના ઇન્નોવેશન્સ-નવસંસ્કરણોને કોમર્શિયલ પ્લેટફોર્મ પર વધુ ઝડપથી મૂકી શકાશે.

તદુપરાંત સહકારી સંસ્થાઓને સ્ટાર્ટઅપ્સ માટેના ફંડ ઓફ ફંડ, ક્રેડિટ ગેરન્ટી સ્કીમ અને સીડ ફંડ હેઠળ મળતી નાણાંકીય સહાય પણ મળતી થશે. સહકારી સંસ્થાઓ માટે કોઈપણ વસ્તુઓ મેળવવાની પ્રક્રિયા પણ આ નવા નિયમને કારણે સરળ બની જશે. તેમ જ શ્રમિકો માટેના અને પર્યાવરણને લગતા કાયદાઓ હેઠળ રેગ્યુલેટરી-નિયમનકારી કોમ્પ્લાયન્સમાં રાહત મળશે.

સરકાર તરફથી સ્ટાર્ટઅપ્સને આપવામાં આવતા સીડ ફંડનો પણ હવે સહકારી સંસ્થાઓને લાભ મળશે. ગ્રામિણ સ્તરે ઉદ્યોગ સ્થાપવા, કૃષિ ક્ષેત્ર કે તેની સાથે સંકળાયેલા ક્ષેત્રના બિઝનેસ માટે ઇન્નોવેટિવ બિઝનેસ મોડેલ ડેવલપ કરવા માટે સહકારી સંસ્થાઓ હવે ફંડ મેળવવા માટે અરજી કરી શકશે.

સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતી ખરીદીમાં સ્ટાર્ટ અપની જેમ જ સહકારી સંસ્થાઓને પણ અગ્રક્રમ આપવામાં આવશે. આમ સરકારી સપ્લાયના કોન્ટ્રાક્ટ તેમને મળતા થશે. સરકારી કાર્યક્રમો માટે પણ તેમના થકી સપ્લાય મેળવવામાં આવશે. તેમને પણ સ્ટાર્ટ અપ્સની માફક ઇન્ક્યુબેટર, ઇન્વેસ્ટર્સ અને મેન્ટર્સની સિસ્ટમનો લાભ મળશે. તેથી સહકારી સંસ્થાઓ આકર્ષક મૂડીરોકાણ કરવાના સાહસ કરતી થશે. તેમ જ કોઈ સાથે ભાગીદારી પણ કરશે. સ્કીલ્ડ પ્રતિભાને આશ્રય પણ આપી શકશે.

નોંધણીની વય મર્યાદા નક્કી કરશે

સહકારી સંસ્થાઓએ ટર્નઓવરની, ઇન્નોવેશન-નવસંસ્કરણની અને વયની ડીપીઆઈઆઈટીએ નક્કી કરેલી મર્યાદાઓને લગતા નિયમોના માળખામાં ફીટ થવું પડશે. નિયમોના માળખામાં ફીટ ન થાય તો તેમને આ લાભ મળશે નહિ. ડીપીઆઈઆઈટીએ કરેલી નવી જાહેરાત મુજબ ભારતમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની, પાર્ટનરશિપ ફર્મ, એલએલપી, મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી (MSCS) અથવા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના સહકારી કાયદા હેઠળ નોંધાયેલ સહકારી સંસ્થા પણ હવે “સ્ટાર્ટઅપ” તરીકે માન્યતા મેળવી શકશે. સ્ટાર્ટઅપ બનવા માટે સંસ્થાની નોંધણી પછીનો સમયગાળો 10 વર્ષથી વધુ ન હોવો જોઈએ અને કોઈપણ નાણાકીય વર્ષમાં ટર્નઓવર રૂ.200 કરોડથી વધુ ન હોવું જોઈએ.

સહકારી સંસ્થાઓની ક્ષમતા

સહકારી સંસ્થાઓ  ઇન્નોવેશન-નવસંસ્કરણ, ઉત્પાદન કે સેવા-પ્રોડક્શન અને સર્વિસમાં સુધારા કરવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. તેમ જ રોજગાર સર્જન અને સંપત્તિ સર્જન કરવાની ક્ષમતા ધરાવતી અને સ્કેલેબલ બિઝનેસ મોડેલ ધરાવતી હોવી જરૂરી છે. પહેલેથી ચાલતા બિઝનેસને તોડી કે પુનઃરચના કરીને બનાવેલી સંસ્થાઓ સ્ટાર્ટ અપ્સના લાભ મેળવવાની પાત્ર ગણવામાં આવશે નહીં. .

ડીપ ટેક સ્ટાર્ટ અપની નવી કેટેગરી

નવી જાહેરાતમાં ડીપ ટેક સ્ટાર્ટઅપની કેટેગરી પણ ઉમેરવામાં આવી છે. તેમાં પાત્રતાનો સમયગાળો 20 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે. ટર્નઓવર મર્યાદા રૂ.300 કરોડ રાખવામાં આવી છે. ડીપ ટેક સ્ટાર્ટઅપ એવી સંસ્થા હશે જે વૈજ્ઞાનિક અથવા એન્જિનિયરિંગ આધારિત ઉકેલો પર કામ કરતી હોવી જરૂરી છે. તેમ જ R&D-સંશોધન અને વિકાસ માટે વધુ ખર્ચ કરતી હોવી જરૂરી છે. આ સંસ્થાઓ બૌદ્ધિક સંપત્તિ એટલે કે IP-ઇન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટી બનાવતી હોવી જોઈએ. આ સંસ્થાઓ વિકાસ સમય લાંબો હોવો જોઈએ તથા ટેકનિકલ અનિશ્ચિતતા વધુ હોવી જોઈએ.

નોંધણી માટે ઓનલાઈન અરજી કરી શકાય

સ્ટાર્ટઅપ માન્યતા મેળવવા માટે સંસ્થાએ ડીપીઆઈઆઈટીના પોર્ટલ પર નોંધણી પ્રમાણપત્ર અને બિઝનેસ પ્રવૃત્તિઓની વિગત સાથે અરજી કરવી પડશે. ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે વધારાના દસ્તાવેજો જરૂરી રહેશે. તેની સાથે જ માન્યતા દરમિયાન ફંડના ઉપયોગ અંગે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તથા કેટલીક પ્રકારની રોકાણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખોટી માહિતી આપીને માન્યતા મેળવવામાં આવે તો તે રદ કરવાની જોગવાઈ પણ છે.

આવકવેરા કાયદાની કલમ 80-આઈએસી હેઠળ ટેક્સ લાભ માટેનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર પ્રાઇવેટ લિમિટેડ કંપની અને LLP માટે લાગુ પડશે. સુધારેલા સ્ટાર્ટઅપ ફ્રેમવર્કે અધિકૃત ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.

Read Previous

અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશનની મદદથી નાની સહકારી બેન્કો ખાતેદારોને આધુનિક સેવા આપશે

Read Next

SEBIએ નવા એક્સચેન્જોને ઓપ્શન માર્કેટમાં પ્રવેશ અટકાવ્યો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular