SEBIએ નવા એક્સચેન્જોને ઓપ્શન માર્કેટમાં પ્રવેશ અટકાવ્યો?

શેરબજારની દરેક ગતિવિધિ પર નજર રાખનાર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ દેશના બે નવા એક્સચેન્જોને ઇક્વિટી ડેરિવેટિવ્સ ટ્રેડિંગ શરૂ કરવાની મંજૂરી આપવાનું હાલ માટે રોકી દીધું છે. તેમને પહેલા પોતાનો શેર ટ્રેડિંગ (કૅશ માર્કેટ) વ્યવસાય મજબૂત બનાવવા કહ્યું છે.
જાણકાર સૂત્રોનું કહેવું છે કે SEBI માને છે કે નવા ખેલાડીઓ ડેરિવેટિવ્સ ટ્રેડિંગને વધુ પ્રોત્સાહન આપે તે પહેલાં મજબૂત કૅશ માર્કેટ સ્થાપિત થવું જરૂરી છે. ગયા વર્ષના અંતમાં નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ (NCDEX) અને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ (MSE)એ SEBI પાસે ઇક્વિટી કૅશ અને ડેરિવેટિવ પ્રોડક્ટ્સ શરૂ કરવાની મંજૂરી માગી હતી.
NCDEX મુખ્યત્વે કૃષિ કોમોડિટીઝમાં વેપાર કરે છે, જ્યારે MSE મુખ્યત્વે કરન્સી ડેરિવેટિવ્સ આપે છે અને તેની ઇક્વિટી વોલ્યુમ ખૂબ જ ઓછી છે. બંને એક્સચેન્જો પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. SEBIનો આ નિર્ણય ભારતના ઝડપથી વધતા ઇક્વિટી ડેરિવેટિવ્સ માર્કેટ અંગે સતત સાવચેતી ભર્યો અભિગમ અપનાવવા માગતી હોવાનો નિર્દેશ આપે છે. આ બજારોમાં પ્રીમિયમ હવે કૅશ માર્કેટ કરતાં લગભગ બમણું છે. મોટા વૈશ્વિક અર્થતંત્રોમાં આ આંકડો માત્ર 2 ટકાથી 3 ટકા જેટલો જ હોય છે.
વિશ્વ ફેડરેશન ઓફ એક્સચેન્જના આંકડાઓમાં જણાવ્યા અનુસાર NSE વિશ્વભરમાં ટ્રેડ થતા ઇન્ડેક્સ ઓપ્શન કરારનો 70 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે. તાજેતરમાં સરકારે ડેરિવેટિવ ટ્રેડિંગને ઠંડુ પાડવા ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો હતો. એફ એન્ડ ઓ અને ડેરિવેટીવ્સના માર્કેટ્સના અભ્યાસોમાં જોવા મળ્યું છે કે 90 ટકા રિટેલ રોકાણકારોને નુકસાન થાય છે.
SEBI ઇક્વિટી કૅશ અને ડેરિવેટિવ લોન્ચ વચ્ચે ઓછામાં ઓછા છ મહિનાનો ગેપ હોવો જોઈએ તેવું ઇચ્છે છે. જ્યાં સુધી પૂરતું લિક્વિડ કૅશ માર્કેટ સ્થાપિત ન થાય ત્યાં સુધી ડેરિવેટિવ્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમ જ એક્સચેન્જોએ પૂરતી ભાગીદારી, લિક્વિડિટી અને ભાવ શોધવાની પ્રક્રિયા સાબિત કરવી પડશે.
SEBI અને NCDEXએ ટિપ્પણી માટે કરાયેલી વિનંતીનો જવાબ આપ્યો નહોતો. MSEએ પણ તેના ઇક્વિટી ડેરિવેટિવ પ્લાન અંગે જવાબ ન આપતા માત્ર એટલું કહ્યું કે તે લિક્વિડિટી વધારવા માર્કેટ મેકર્સ નિમવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભારતમાં ઇક્વિટી ટ્રેડિંગ મુખ્યત્વે NSE અને BSE દ્વારા નિયંત્રિત થાય છે.
NCDEXએ 2025માં 7.7 અબજ રૂપિયા અને MSEએ 12 અબજ રૂપિયા મૂડી ઉધારી હતી. SEBIએ બંનેને ઇક્વિટી સેગમેન્ટમાં પ્રવેશ પહેલાં ટેકનોલોજી અપગ્રેડ કરવા પણ કહ્યું છે. જાણકાર સૂત્રોનું કહેવું છે કે મજબૂત ટેકનોલોજી સાબિત ન થાય ત્યાં સુધી ઇક્વિટી ટ્રેડિંગ તો દૂરની વાત છે, ડેરિવેટિવ્સ શરૂ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.




