સરલાબહેન, મારી દૂઝણી ગાયના દૂધના જથ્થામાં સાત દિવસથી 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે, શું કરી શકાય?

– સવિતાબહેન, તમારી વાત પરથી લાગે છે કે તમારી ગાયને કીટોસિસની બીમારી થઈ છે. તમારી ગાયને પૂરતો પોષક આહાર ન મળતો હોવાની પણ સંભાવના છે.
– અમૂલ ડેરીએ પશુપાલકોને પશુના દૂધ, પશુના આરોગ્ય, પશુઓને પડતી દરેક જાતની તકલીફ અંગે સતત માર્ગદર્શન આપતી એપ લોન્ચ કરી
સરલાબહેન, મારી દૂઝણી ગાયના દૂધના જથ્થામાં સાત દિવસથી 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે, શું કરી શકાય?
સાંભળો, સવિતાબહેન, તમે વાત કરો છો તેના પરથી લાગી રહ્યું છે કે તમારી ગાયને કીટોસિસની બીમારી લાગુ પડી હોવાની શક્યતા છે. તમારી ગાયને પૂરતો પોષક આહાર ન મળતો હોવાની પણ સંભાવના રહેલી છે. ગાય અને ભેંસ વિયાણ બાદ 40થી 45 દિવસમાં આ રોગ થવાની શક્યતા રહે છે. આ રોગના કારણે તાજી વિયાણ ગાય અને ભેંસનું દૂધ છે. 50 ટકા જેટલું દૂધ ઘટી જાય છે. બાદ વર્ષભર દૂધ ઓછું રહે છે. આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક પશુ ચિકિત્સકની સલાહ લો.
સવિતાબહેન સાંભળી લો. આ રોગના કેટલાક ઘરગથ્થુ ઉપાય પણ કરી શકાય છે. તમે તમારી ગાયને ગોળનું પાણી આપો. કિટોસીસની શંકા હોય, તો ગોળનું પાણી સવારે પલાળીને સાંજે અને સાંજે પલાળીને સવારે પાવું ફાયદાકારક છે. 50થી 100 ગ્રામ મેથી-અજમાનો પાવડર અથવા તો અજમો, હળદર અને હિંગનું મિક્સર બનાવીને કે પછી મિનરલ મિક્સર રોજ 50 ગ્રામની માત્રામાં ચારામાં આપવાનું શરૂ કરી દો. આમ કરવાથી તમારી ગાયનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે અને દૂધ ઉત્પાદન 30 ટકા જેટલું વધારી શકાય છે. ગાયને 1 લિટર દૂધ સામે 400 ગ્રામ દાણ આપો. તેની સાથે જ લીલો અને સૂકો ચારો મિક્સ કરીને આપો. પશુને દિવસમાં 3 વાર નિરણ આપો, જેથી તે પૂરતું વાગોળી શકે. આ ઉપાયો છતાં પશુના દૂધમાં સુધારો ન જણાય, તો પશુના પેટમાં કીડા હોઈ શકે છે, જેના માટે કૃમિનાશક દવા પશુ ડૉક્ટરની સલાહથી આપવી જોઈએ.
હા, તમારા મોબાઈલમાં અમૂલે 10મી ફેબ્રુઆરીના અરસામાં લોન્ચ કરેલી સરલાબેન એપ ડાઉનલૉડ કરીને તમને જ્યારે પણ તમારી ગાય, ભેંસ, બકરીના આરોગ્ય અથવા તો દૂધ ઉત્પાદનને લગતી કે પછી પશુપાલનને લગતી કોઈપણ સમસ્યા થાય તો તમે સરલાબેન એપ ડાઉનલોડ કરીને તમારી સમસ્યાઓનો જવાબ માગી શકો છો. તમને પશુપાલન અંગે કઈપણ પ્રકારનું માર્ગદર્શન તત્કાળ મળી શકે છે. તેને આધારે તમે પશુચિકીત્સકને બોલાવી શકો છો. પશુચિકીત્સક આવે તે પહેલા માર્ગદર્શન મેળવી ઘરગથ્થું ઉપચાર પણ કરી જ શકો છે, એમ અમૂલ બ્રાન્ડને વિશ્વના ફલક સુધી લઈ જનાર ગુજરાત કઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાનું કહેવું છે આ એપ ગુજરાતની મહિલા દૂધ ઉત્પાદક બહેનોને પશુપાલન અંગે ૨૪ કલાક સહાય આપવા માટે તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના ૧૮,૫૦૦થી વધુ ગામોમાં વસતા ૩૬ લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે ડેરીના વ્યવસાયને આધુનિક બનાવવાના હેતુથી આ એપ તૈયાર કરવામાં આવી છે.
સારલાબેન એપ અમૂલ ફાર્મર મોબાઈલ એપ સાથે જોડાયેલાં છે. આજે અમૂલ ફાર્મર એપના ૧૦ લાખથી વધુ યુઝર્સ છે. સ્માર્ટ-ફીચર ફોન વાપરતા ખેડૂતો માટે વોઈસ કોલ દ્વારા પણ સેવા ઉપલબ્ધ છે. આ સરલાબેન એપ લન્ચ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મહિલા દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાનો છે. આ એપને સરલાબેન નામ આપવા પાછળનું કારણ છે. ગુજરાતમાં પશુપાલનના કામ સાથે 70 ટકા મહિલો સંકળાયેલી છે. આ 70 ટકા મહિલાઓમાંથી 94 ટકા મહિલાને તેમણે દૂધ મંડળીમાં ભરેલા દૂધના નાણાંની ચૂકવણી તેમના બેન્ક ખાતામાં સીધી કરવામાં આવે છે.
આ એપ પર ચોવીસ કલાક ને 365 દિવસ નિષ્ણાતોના માધ્યમથી પશુ આરોગ્ય, રસીકરણ અને પ્રજનન અંગે ગુજરાતી ભાષામાં વ્યક્તિગત માર્ગદર્શન મળી શકે છે. તેમ જ રોગ નિદાન અને સારવાર માટે તાત્કાલિક મદદ અને માહિતી આપવામાં આવે છે. સરકારી યોજનાઓ અંગેની માહિતી પણ અમૂલ એપ પર માહિતી મળી રહે છે. ડેરી ખેડૂતો માટે ઉપલબ્ધ સબસિડી અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી પણ મળી શકે છે. સારલાબેન એપ ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ (AMCS) તથા પશુધન એપ સાથે સંકલિત છે. અમૂલ પશુધન એપ મારફતે પશુ આરોગ્ય સેવાઓ જેવી કે પશુચિકિત્સા સારવાર, રસીકરણ, કૃમિનાશક દવા અને કૃત્રિમ ગર્ભાધાન (AI) માટે બુકિંગ કરી શકાય છે. આ એપ સરળ બુકિંગ સુવિધા આપે છે અને ખેડૂતોને સીધા પશુચિકિત્સા અધિકારીઓ સાથે જોડે છે.
સરલાબેન એપ પર કઈ માહિતી મળશે
પશુપાલકે દૂધ મંડળીમાં જમા કરાવેલા દૈનિક, માસિક અને વાર્ષિક દૂધનું ડેટા જોઈ શકે છે. દૂધની માત્રા અને રકમનું ગ્રાફ અને રિપોર્ટ મેળવી શકાય છે. દૂધ ભર્યાની વિગતો સાથેની સ્લીપ મેળવી શકાય છે. અમૂલ ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલા કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર કે નોટિફિકેશનની વિગતો જોઈ શકાય છે. સરલબેન એપ એક સાથે અનેક ખેડૂતોના એકાઉન્ટ મેનેજ કરે છે. તેમાં ટાઇમલાઇન પ્રમાણે આપમેળે માહિતી અપડેટ થયા જ કરે છે. તેથી દૂધ ઉત્પાદક પોતાનો પશુપાલનને લગતી કામગીરીનું સતત અને અત્યંત સરળતાથી ટ્રેક કરી શકે છે. દૂધના વેચાણ અને બોનસ રેકોર્ડને સરળતાથી જોઈ શકે છે.
પશુ ચિકીત્સા અને સારવાર માટે મળતી પ્રાથમિક સુવિધાઓ
– સરળ રીતે પશુઓના આરોગ્ય માટેની સેવા મેળવવા માટે બુકિંગ કરાવી શકાય છે.
– ચિકિત્સા સારવાર, રસીકરણ, કૃમિનાશક દવા માટે સમય બુકિંગ કરાવી શકાય છે.
– કૃત્રિમ ગર્ભાધાન (AI), ગર્ભ નિદાન (PD), અને જન્મ સમયે જરૂરી સેવા મેળવી શકાય છે.
– અમૂલની એપ પર ઓટોમેટેડ નોટિફિકેશન સાથે સેવા-સૂચના મળી શકે છે.
– વેટરિનરી ઓફિસરો સાથે સીધી કનેક્શન સુવિધા પૂરી પાડે છે.
– આ એપમાં કોઈપણ જાતના જોખમ વિના લોગ ઇન કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એપ સાથે સલામત રીતે અને સરળતાથી જોડાણ કરી શકાય છે.
– ચોકસાઈપૂર્ણ સેવાઓ મેળવવા માટે સંકલન કરી શકાય છે.
– એપની મદદથી પશુસેવાઓને આધુનિક અને વ્યાપસાયિક ઢબે મેનેજ કરી શકાય છે, આ એપ લોન્ચ થઈ તે પહેલા આ તમામ કામગીરી કરવી મુશ્કેલ જણાતી હતી.
– આ એપથી માર્ગદર્શન મળતા વચેટિયાઓની મદદ લેવી પડશે નહિ.
– પશુઓના વેચાણની કે ખરીદીની કામગીરી પણ આ એપના માધ્યમથી આસાનીથી થઈ શકે છે.
– ગુજરાતમાં થયેલા ચારાના ઉત્પાદન અંગેની વિગતો એપ પરથી મળી શકે છે.
– 365 દિવસ ચોવીસે ચોવીસ કલાક માહિતી મળી રહેતી હોવાથી પશુપાલક મહિલાઓ ઝડપથી નિર્ણય લઈ શકશે. તેનાથી નુકસાની ઘટે છે અને આર્થિક લાભ વધે છે.
સરલાબેન એપની ખાસિયતો
ડિજિટલ મદદ કરતી સરલાબેન એપ સહકારી સંસ્થાઓનો 50 વર્ષનો રેકોર્ડ300 કરોડથી વધુ પશુઓને આપેલી સારવારને લગતો ડેટા ઉપલબ્ધ છે. દૂધ ભરવાને લગતા 200 કરોડથી વધુ વહેવારોની વિગતો મોજૂદ છે. પશુઓની સંખ્યાનો પશુપાલક દીઠ ડેટા ઉપલબ્ધ કરાવેલો છે. આ એપ દૂધ કલેક્શન સિસ્ટમ સાથે જોડાયેલી છે. પશુધન એપ પણ તેનો જ એક હિસ્સો છે. તેનાથી પશુપાલક અંગેની ચોક્કસ માહિતી મેળવી શકાય છે. તેમાં પશુનો ટેગ નંબર છે. આ ટેગ નંબરથી પશુને લગતી સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. તેની સારવાર, તેને આપેલી રસી, કૃત્રિમ ગર્ભાધાન સહિતની તમામ વિગતો જોઈ કે સાંભળી શકાય છે. ગુજરાતી ભાષામાં અંતરિયાળ ગામોમાં પણ સરળતાથી માહિતી મેળવી શકાય છે.




