બારમી માર્ચથી એર ઇન્ડિયા વિમાનની ટિકેટ પર રૂ. 399નો ફ્યુઅલ સરચાર્જ વસૂલશે

મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૂરાજકીય તણાવની સ્થિતિને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં ભારે વધારો થઈ ગયો હોવાથી Air India અને Air India Express 12 માર્ચથી દેશી તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનું શરૂ કરશે.
એરલાઇન ગ્રુપે જણાવ્યું છે કે વધતા ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવા માટે આ સરચાર્જ તબક્કાવાર લાગુ કરવામાં આવશે. મધ્ય પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી ભૂરાજકીય પરિસ્થિતિના કારણે જેટ ફ્યુઅલના ભાવ ઝડપથી વધ્યા છે, જેના કારણે એરલાઇન્સ પર ખર્ચનો ભાર વધી રહ્યો છે.
દેશી ફ્લાઇટ ટિકિટ પર ₹399 વધારાનો ચાર્જ
એરલાઇનના જણાવ્યા મુજબ 12 માર્ચથી દેશી ફ્લાઇટ માટે ટિકિટ બુક કરાવતા મુસાફરોને વધારાનો રૂ.399 ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડશે. પ્રથમ તબક્કામાં દરેક દેશી ટિકિટ પર આ ચાર્જ લાગુ થશે. આ જ સરચાર્જ South Asian Association for Regional Cooperation (SAARC) દેશો વચ્ચેની ફ્લાઇટ્સ પર પણ લાગુ કરવામાં આવશે.
અધિકારીઓના જમાવ્યા મુજબ વૈશ્વિક તેલ બજારમાં સપ્લાય અંગેની ચિંતા અને ભૂરાજકીય પરિસ્થિતિના કારણે જેટ ફ્યુઅલના ભાવ વધી ગયા છે. આ વધેલા ખર્ચનો થોડો ભાગ પૂરો કરવા માટે આ સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય રૂટ્સ માટે પણ વધારાનો ફ્યુઅલ સરચાર્જ
એર ઇન્ડિયા ગ્રુપે કેટલાક આંતરરાષ્ટ્રીય રૂટ્સ માટે પણ ફ્યુઅલ સરચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ગંતવ્ય મુજબ અલગ-અલગ દર લાગુ પડશે. પશ્ચિમ એશિયા માટે ફ્લાઇટ ટિકિટ પર $10 ફ્યુઅલ સરચાર્જ લાગુ થશે. આફ્રિકા માટે ફ્લાઇટ્સ પર સરચાર્જ $30 થી વધીને $90 સુધી રહેશે. દક્ષિણ-પૂર્વ એશિયા માટે સરચાર્જ $20 થી વધીને $60 સુધી રહેશે.
12 માર્ચથી Singapore આવતી-જતી ફ્લાઇટ્સ પર પણ આ સુધારેલા સરચાર્જ લાગુ થશે. હાલમાં સિંગાપુર રૂટ પર કોઈ ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવતો નથી. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે આ પગલું તબક્કાવાર છે અને વૈશ્વિક ફ્યુઅલના ભાવ તથા બજારની પરિસ્થિતિ અનુસાર ભવિષ્યમાં ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે.



