ડિજિટલ ફ્રોડ સામે ગ્રાહકોની સુરક્ષા મજબૂત કરવા RBIએ નવા નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો
રૂ.500થી વધુ રકમના ટ્રાન્ઝેક્શન પર SMS એલર્ટ આપવું ફરજિયાતઃ ચોવીસ કલાક અને સાતેય દિવસ ફ્રોડનું રિપોર્ટિંગ થઈ શકે તેવી ચેનલ ફરજિયાત કરવાની દરખાસ્ત મૂકવામાં આવી
રિઝ્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અર્બન કો-ઓપરેટિવ બેન્કો અને ગ્રામ્ય સહકારી બેન્કો માટે ડિજિટલ બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહક સુરક્ષા મજબૂત બનાવવા માટે નવા સુધારેલા નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો છે. આ સુધારા ખાસ કરીને સહકારી બેંકિંગ ક્ષેત્રમાં ઝડપી વધી રહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં રાખીને મુસદ્દો તૈયાર કરવામાં આવ્યા છે. પહેલી જુલાઈ 2026થી નવા નિયમો લાગુ પડશે. અંતિમ નિયમો જાહેર કરવા પહેલાં Reserve Bank of Indiaએ સહકારી બેંકો, ઉદ્યોગ સંસ્થાઓ અને જનતા સહિતના તમામ હિતધારકો પાસેથી 6 એપ્રિલ 2026 સુધી સૂચનો અને પ્રતિસાદ માંગ્યા છે.
આ ડ્રાફ્ટમાં અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોની જવાબદારી મર્યાદિત રાખવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને “ફ્રોડ્યુલન્ટ ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શન”ની વધુ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. ડ્રાફ્ટ મુજબ નીચેની પરિસ્થિતિઓમાં થયેલા ટ્રાન્ઝેક્શનને ફ્રોડ ગણવામાં આવશે.
એક, છેતરીને કે ઠગાઈ કરીને મેળવેલા લોગિન, OTP અથવા અન્ય ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને થયેલી ચુકવણીને ફ્રોડ ગણવામાં આવશે. બે, દબાણ કરીને અથવા ધમકી આપીને મંજૂરી મેળવીને કરાવેલા ટ્રાન્ઝેક્શનને પણ ફ્રોડ ગણવામાં આવશે. ત્રણ, ફિશિંગ, સોશિયલ એન્જિનિયરિંગ અથવા અન્ય ભ્રામક રીતોથી ગ્રાહકોને પૈસા ટ્રાન્સફર કરવા પ્રેરિત કરવાના કેસને પણ ફ્રોડ જ ગણવામાં આવશે.
મોબાઇલ બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ અને ખાસ કરીને યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPIનો ઉપયોગ સહકારી બેન્કના ગ્રાહકોમાં પણ ઝડપથી વધી રહ્યો છે. તેથી રિઝર્વ બન્કે રિયલ-ટાઇમ મોનિટરિંગ અને તાત્કાલિક એલર્ટ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
રૂ. 500થી વધુ ટ્રાન્ઝેક્શન પર તરત SMS એલર્ટ
રિઝર્વ બેન્કે તૈયાર કરેલા નવા નિયમો હેટળ સહકારી બેંકોએ રૂ. 500થી વધુ દરેક ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન પર તરત SMS એલર્ટ મોકલવું ફરજિયાત રહેશે. જો ગ્રાહકે પોતાની ઇમેઇલ આઈડી આપ્યો હોય તો બેન્કે ઇમેઇલ એલર્ટ પણ ફરજિયાત મોકલવા પડશે. રિઝર્વ બેન્કનું માનવું છે કે ઉપર જણાવ્યા મુજબ સમયસર એલર્ટ મોકલવામાં આવશે તો ગ્રાહકો શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને તરત ઓળખી શકશે. તેમ જ વધુ નુકસાન થવા પહેલાં ફરિયાદ કરી શકશે.
ચોવીસ કલાક ને સાતેય દિવસ ફ્રોડ રિપોર્ટિંગ વ્યવસ્થા ફરજિયાત
ડ્રાફ્ટમાં એક મહત્વપૂર્ણ જોગવાઈ એ પણ છે કે સહકારી બેંકોને દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ ઉપલબ્ધ ફ્રોડ રિપોર્ટિંગ ચેનલ બનાવવી પડશે. આ માટે બેંકો નીચેની સુવિધાઓ શરૂ કરવાની રહેશે. એક બેન્કોએ ફોન બેંકિંગ સેવા ચાલુ કરવી પડશે. બે, SMS દ્વારા ફરિયાદ નોંધવાની સુવિધા આપવાની રહેશે. ત્રણ, ખાસ ઇમેઇલ આઈડી આપવા પડશે. તેમ જ IVR સિસ્ટમ ચાલુ કરવી પડશે. સહકારી બેન્કોમાં ગ્રાહકોને ઝડપી અને સરળ સેવા આપવા માટે IVR સિસ્ટમ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. IVRનો અર્થ Interactive Voice Response થાય છે. આ એક ઓટોમેટેડ ફોન સિસ્ટમ છે, જેમાં ગ્રાહક ફોન દ્વારા બેંક સાથે સંપર્ક કરીને વિવિધ સેવાઓ મેળવી શકે છે. ગ્રાહક જ્યારે બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરે છે ત્યારે તેને રેકોર્ડેડ અવાજ દ્વારા વિવિધ વિકલ્પો આપવામાં આવે છે. ગ્રાહક પોતાના મોબાઇલના કીપેડ પર નંબર દબાવીને અથવા અવાજ દ્વારા પોતાની જરૂરિયાત મુજબ સેવા પસંદ કરી શકે છે.
આઈવીઆર સિસ્ટમના માધ્યમથી ખાતાનું બેલેન્સ જાણી શકાય છે. છેલ્લાં થોડા ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી શકાશે. ATM અથવા ડેબિટ કાર્ડ બ્લોક કરાવી શકાશે. ડિજિટલ ફ્રોડ અથવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની ફરિયાદ નોંધાવી શકાશે. તેમ જ ચેકબુક માટે અરજી કરી શકાશે. તદુપરાંત બેન્કની નવી યોજનાઓ અથવા માહિતી મેળવવી શક્ય બનશે. તેની સાથે સાથે જ ટોલ-ફ્રી હેલ્પલાઇન શરૂ કરવી પડશે. IVR સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકો દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ બેંક સાથે સંપર્ક કરી શકે છે. તેથી બેંકમાં જવાની જરૂર રહેતી નથી.
આમ રિઝર્વ બેન્કે ડિજિટલ ફ્રોડ સામે ગ્રાહકોને સુરક્ષા આપવા માટે કેટલાક નવા નિયમોનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ મુજબ બેન્કોએ 24 કલાક અને સાતેય દિવસ સક્રિય રહે તેવી ફ્રોડ રિપોર્ટિંગ ચેનલ શરૂ કરવી ફરજિયાત બનશે. તેમાં IVR સિસ્ટમ મહત્વપૂર્ણ સાધન બની શકે છે.
રિઝર્વ બેન્કે રજૂ કરેલા નવા નિયમોને પરિણામે ફ્રોડની ફરિયાદ તરત નોંધાવી શકાશે. બેન્ક સુધી સરળતાતી પહોંચી શકાશે. સમય અને ખર્ચની બચત થશે. ડિજિટલ બેન્કિગમાં સુરક્ષા વધશે. આ રીતે IVR સિસ્ટમ સહકારી બેન્કોના ગ્રાહકોને ઝડપી અને સુરક્ષિત બેન્કિંગ સેવા આપવા માટે મહત્વપૂર્ણ સાધન બની શકે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગ્રાહકોને ફ્રોડની માહિતી તરત આપવાની સરળ અને ઝડપી વ્યવસ્થાની સેવા મળે છે.
અનધિકૃત ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની મર્યાદિત જવાબદારી
રિઝર્વ બેન્કે રજૂ કરેલા નવા નિયમોને મુસદ્દામાં ફરીથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો બેંકની બેદરકારી અથવા સિસ્ટમમાં ખામીના કારણે ફ્રોડ થાય તો ગ્રાહક પર કોઈ જવાબદારી રહેશે નહીં. ત્રીજા પક્ષ દ્વારા થયેલા ફ્રોડની ફરિયાદ ગ્રાહક પાંચ દિવસની અંદર નોંધાવે, તો પણ ગ્રાહકને જવાબદાર ગણવામાં આવશે નહીં. તેમ જ બેન્કોએ ગ્રાહકોની ફરિયાદોની તપાસ કરીને મહત્તમ 30 દિવસની અંદર તેનો નિકાલ કરવો પડશે.
નાના ડિજિટલ ફ્રોડ માટે વળતર યોજના
નાના મૂલ્યના ડિજિટલ ફ્રોડના પીડિતોને રાહત આપવા RBIએ વળતર વ્યવસ્થા પણ સૂચવી છે. રૂ.50,000 સુધીના નુકસાન માટે વળતર મળશે. ગ્રાહકને નેટ નુકસાનના 85 ટકા અથવા રૂ. 25,000 (જે ઓછું હોય) તેટલું વળતર મળી શકશે. પરંતુ આ વળતર માટે ડ્રાફ્ટમાં દર્શાવેલી કેટલીક શરતો લાગુ પડશે. આ વળતર યોજના નવા નિયમો અમલમાં આવ્યા પછીના એક વર્ષની અંદર થયેલા નુકસાન પર લાગુ પડશે.




