અદાણી ગ્રુપ હવે એરપોર્ટ સિટી વિકસાવવાની દિશામાં સક્રિય થશે, ત્રણ નવી કંપનીની સ્થાપના કરી

અદાણી એરપોર્ટની કુલ ક્ષમતા વધારીને 200 મિલિયન એટલે કે 20 કરોડ મુસાફરો પ્રતિ વર્ષ સુધી પહોંચાડી દેવાનું છે
અદાણી એન્ટરપ્રાઈસની એક સહાયક કંપનીએ એરપોર્ટ સિટી વિકાસ યોજના હેઠળ હોટેલ અને રિયલ એસ્ટેટ માટે ત્રણ નવી કંપનીઓની સ્થાપના કરી છે. આ નવી કંપનીઓ અદાણી એપરોર્ટ સિટી લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવી છે, જે પોતે અદાણી એન્ટરપ્રાઇઝિસની સ્ટેપ-ડાઉન સહાયક કંપની છે. અદાણી ગ્રુપની ત્રણ નવી કંપનીઓમાં અદાણી નવી મુંબઈ એરપોર્ટ લિમિટેડ, અદાણી ગુવાહાટી એરપોર્ટ સિટી લિમિટેડ અને અદાણી અમદાવાદ એરપોર્ટ સિટી લિમિટેડનો સમાવેશ થાય છે.
આ દરેક કંપનીમાં રૂ. 10 લાખની ભરપાઈ થયેલી મૂડી લગાવવામાં આવી છે અને તેની સંપૂર્ણ માલિકી અદાણી ગ્રુપ પાસે જ છે. આ ત્રણેય કંપનીઓ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ (પોતાની અથવા લીઝ પરની જમીન પર)ના કામ કરશે. તેમ જ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કામ કોન્ટ્રાક્ટથી કે પોતાની રીતે કરશે. તદુપરાંત હોટેલ ડેવલપમેન્ટના પણ કામ કરશે. તેનાથીય ગળ વધીને રેસ્ટોરાં, બેન્ક્વેટ હોલ અને બિઝનેસ સેન્ટર ડેવલપ કરવાના પણ કામ કરશે.
આ તમામ કામગીરી અત્યારે એરપોર્ટ સિટી વિઝનના હિસ્સારૂપે જ કરશે. 2019માં સ્થાપવામાં આવેલી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ આજે ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. તેની સામે ભારતના કુલ મુસાફરોમાં 25 ટકા હિસ્સો છે. તેમ જ એર કાર્ગોમાં 33 ટકાનો હિસ્સો ધરાવે છે. આ કંપની અમદાવાદ એરપોર્ટ ઉપરાંત લખનૌ, મેન્ગલોર, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને મેનેજ કરે છે. મુંબઈ એરપોર્ટમાં 73 ટકા હિસ્સો કંપની ધરાવે છે. તેમ જ નવી મુંબઈ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો ધરાવે છે.
મોટા રોકાણ અને ભવિષ્ય યોજના
અદાણી ગ્રુપ 2030 સુધીમાં નવા $15 બિલિયન એટલે કે રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ કરવાનું ટાર્ગેટ ધરાવે છે. અદાણી એરપોર્ટની કુલ ક્ષમતા વધારીને 200 મિલિયન એટલે કે 20 કરોડ મુસાફરો પ્રતિ વર્ષ સુધી પહોંચાડી દેવાનું છે. એક અંદાજ મુજબ ભારતની કુલ હવાઈ મુસાફરી 2030 સુધી 300 મિલિયન એટલે કે 30 કરોડ પ્રતિવર્ષને પાર જશે. આમ કુલ એરપોર્ટ ક્ષમતા 60 ટકાથી વધુ વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
સમગ્રતયા વાત કરીએ તો અદાણી ગ્રુપ હવે માત્ર એરપોર્ટ નહીં, પણ એરપોર્ટ આસપાસના શહેર વિકસાવવાનો મોટો પ્લાન બનાવી રહ્યું છે. રિયલ એસ્ટેટ ઉપરાંત હોટેલ અને કોમર્શિયલ વિકાસ સાથે મોટી આવકની તકો નિર્માણ કરવાની દિશામાં અગ્રેસર થઈ રહ્યું છે. તેમાંય ખાસ કરીને અમદાવાદ જેવા શહેરોમાં રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી સેક્ટર માટે મોટો બૂસ્ટ મળે તેવી સંભાવના છે.



