• 21 April, 2026 - 7:15 AM

આજે બજારમાં શું કરશો?

નિફ્ટી 50 તેની વર્તમાન ઉચ્ચ સપાટી નજીક ડોજી પેટર્ન બનાવી રહ્યું છે. આ પેટર્ન બજારમાં અનિશ્ચિતતા રહેવાનો નિર્દેશ આપે છે.

સોમવારે ભારતીય શેરબજારની ચાલ જોતાં લાગી રહ્યું છે કે હવે કઇ દિશામાં આગળ વધવું તેનો બજાર વિચાર કરી રહ્યું છે. સોમવારે સેન્સેક્સ 78,520.30 પોઈન્ટ પર 26.76 પોઈન્ટ પ્લસ સાથે બંધ આવ્યો હતો. તેમ જ નિફ્ટી 50 પણ 11.30 પોઈન્ટના સુધારા સાથે 24,364.85 પર બંધ રહ્યો હતો. છેલ્લા ચાર દિવસથી બજાર ચોક્કસ દિશા પકડી ન શકતું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

ટેકનિકલ વિશ્લેષકોની દ્રષ્ટિએ સેન્સેક્સ 77,800 – 78,000ની સપાટીએ ટેકો ધરાવે છે. તેમ જ 79,000 – 79,200ની સપાટીએ પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. બજાર પ્રતિકાર સપાટીની ઉપર જાય અને બ્રેકઆઉટ આવે તો જ નવી તેજી આવવાની શક્યતા રહેલી છે. બજાર વર્તમાન સપાટીથી નીચે જાય તો ટૂંકા ગાળામાં નરમાઈ જોવા મળી શકે છે. અત્યારે બજાર રેન્જબાઉન્ડ છે. બજાર મજબૂત સ્થિતિમાં છે. નિફ્ટી 50 તેની વર્તમાન ઉચ્ચ સપાટી નજીક ડોજી પેટર્ન બનાવી રહ્યું છે. આ પેટર્ન બજારમાં અનિશ્ચિતતા રહેવાનો નિર્દેશ આપે છે. અત્યારે નિફ્ટી 50 ટૂંકા ગાળાનો પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છએ. 50 ટકાના ફિબોનાસ્સી લેવલ 24250 પર ટકી રહ્યું છે. ફિબોનાસ્સી લેવલ ચાર્ટમાં દેખાતી હોરિઝોન્ટલ લાઈન છે. તેના પરથી સંભવિત ટેકાની સપાટી અને પ્રતિકાર સપાટીનો અંદાજ મળી રહે છે. આ સપાટીથી ભાવમાં કરેક્શન આવવાનું કદાચ બંધ થઈ શકે છે. તેમ જ તેજી તરફી કે મંદી તરફઈ ચાલ શરૂ થઈ શકે છે. અત્યારે બજાર 50 ટકા ફિબોનાસ્સી લેવલ પર ટકી રહ્યું છે.

નિફ્ટી 50માં 24,400ની સપાટીએ પ્રતિકાર જોવા મળી રહ્યો છે. તેમ જ નિફ્ટી 50માં 24,500 – 24,800ની સપાટીએ વધુ મજબૂત પ્રતિકાર જોવા મળી રહ્યો છે. આમ સંભવતઃ તેનાથી આગળ જવાની સંભાવના સીમિત થઈ જતી હોવાનું જણાય છે. બીજીતરફ નિફ્ટી 50 24,200 – 24,230ની સપાટીએ મજબૂત ટેકો પણ ધરાવે છે. તેથી પ્રાથમિક અંદાજ બજાર રેન્જબાઉન્ડ રહે તેવો મળી રહ્યો છે.

બજારનો રિલેટિવ સ્ટ્રેન્ગ્થ ઇન્ડેક્સ 57 છે. આ આરએસઆઈ ન્યૂટ્રલ પોઝિટિવ પોઝિશન દર્શાવે છે. તેનો સીસીઆઈ ઊંચો છે. બજાર અપર રેન્જમાં છે. સીસીઆઈ-કોમોડિટી ચેનલ ઇન્ડેક્સ છે. તેનું લોલક બજારની ચઢાવ ઉતારની સાઈકલનો અંદાજ આપે છે. બજાર ઓવરબોટ કે ઓવર સોલ્ડ પોઝિશનમાં છે તેનો અંદાજ આપે છે. બજારની ડીએમઆઈ સ્ટ્રેન્ગ્થ ઘટી રહી છે. તેમ જ વોલેટાલિટી વધી રહી છે. આમ હજીય બજાર અસ્થિર જ હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

છતાંય જાહેર ક્ષેત્રની બેન્ક અને મિડિયા કંપનીઓનું પરફોર્મન્સ સારુ રહેવાની ધારણા છે. તેમ જ અનિશ્ચિતતાના બજારમાં પણ ટ્રેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલના શેર્સનું પરફોર્મન્સ સારુ રહ્યું છે. બીજીતરફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રિયલ્ટી, કેમિકલ સેક્ટરની કંપનીઓનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. જિયો ફાઈનાન્સ અને હિન્દાલકો જેવી કંપનીઓના શેર્સ ખાસ્સા તૂટ્યા છે.

સમગ્રતયા વિચાર કરીએ તો અત્યારના બજારમાં મિડકેપ અને સ્મોલ કેપ બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 500માંથી 315 શેર્સના ભાવ ઘટી ગયા છે. ઉપરથી મજબૂત દેખાતું બજાર અંદરથી પોલું હોવાનો તેના પરથી નિર્દેશ મળે છે.

બીજીતરફ અમેરિકાએ ઈરાનનું જહાજ જપ્ત કરી લેતા તંગદિલીમાં વધારો થયો છે. તણાવ વધતા હોર્મુઝના જળમાર્ગ ચાલુ થવાની શક્યતા ઓછી થઈ છે. પરિણામે ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ 102 ડૉલરની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ 91 અમેરિકા ડૉલરની આસપાસ છે. ઇન્ડિયન ક્રૂડ ફ્યુચર્સના ભાવમાં સાડા છ ટકાનો વધારો આવી ગયો છે. અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડી 93.20ની સપાટીએ આવી ગયોછે. કોમોડિટી માર્કેટની વાત કરીએ તો સોનું દસ ગ્રામના રૂ. 1,43,876ની સપાટીએ અને ચાંદી એક કિલોના રૂ. 2,40,057ની સપાટીએ છે.

લાર્જ કેપમાં જ રોકાણ કરો

લાર્જકેપ શેર્સમાં રોકાણ કરવું વર્તમાન બજાર સ્થિતિમાં સલામત હોવાનું જણાય છે. સ્મોલકેપમાં પસંદગીની કંપનીઓણાં ધીમે ધીમે રોકાણની શરૂઆત કરી શકાય છે. તેમાં પણ ઘટાડે નવું લેણ કરી હોલ્ડિંગ વધારવાનો અભિગમ લાભદાયી સાબિત થશે. સરેરાશ ખરીદ કિંમત નીચે આવી જશે. તેમાં વધુ જોખમ લેવા જેવું નથી.

સમગ્રતયા બજાર હાલમાં સ્થિર જ રહે તેવી સ્થિતિમાં છે. નિફ્ટી માટે 24,500 સૌથી મહત્વપૂર્ણ લેવલ છે. વૈશ્વિક પરિસ્થિતિ એટલે કે (યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભાવની વધઘટ બજારને પ્રભાવિત કરશે . તેથી રોકાણકારો અને ટ્રેડરે વેઈટ એન્ડ વૉચ-થોભો અને રાહ જુઓનો અભિગમ અપનાવવો જોઈએ.

બ્રોકરેજ હાઉસની ભલામણો

બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલે એચડીએફસી એએણસીમાં લેણ કરવાની ભલામણ કરીને ટાર્ગેટ ભાવ રૂ. 3200નો આપ્યો છે.

જે.એમ. ફાઈનાન્સિયલ બ્રોકરેજ હાઉસે એન્જલ વનમાં હોલ્ડિંગ વધારવાની ભલામણ કરી છે. ટાર્ગેટ ભાવ રૂ. 350નો આપ્યો છે.

મોતીલાલ ઓસવાલે જિઓ ફાઈનાન્શિયલના સ્ટોકમાં લેણ કરવાની ભલામણ કરીછે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 315નો આપ્યો છે.

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરીને ટાર્ગેટ ભાવ રૂ. 2800નો આપ્યો છે.

ઇલારા કેપિટલે એચડીએફસી બેન્કના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 976નો આપ્યો છે.

ઇલારા કેપિટલે જ આઈસીઆઈસીઆઈ બેન્કના શેર્સમાં પણ લેણ કરવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 1783નો આપવામાં આવ્યો છે.

 

Read Previous

અદાણી ગ્રુપ હવે એરપોર્ટ સિટી વિકસાવવાની દિશામાં સક્રિય થશે, ત્રણ નવી કંપનીની સ્થાપના કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular