સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધારી શકતી નથી

રોજની રૂ. 1600 કરોડની ખોટ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને થઈ રહી હોવા છતાંય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ નથી વધારતી
છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ લગભગ સ્થિર રહ્યા છે અને સરકારે અનેક વખત સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારવાનો કોઈ તાત્કાલિક પ્લાન નથી. શુક્રવારે કોમર્શિયલ રાંધણગેસના 19 કિગ્રા સિલિન્ડરનો ભાવ રૂ. 993નો વધારો કરી દેવામાં આવ્યો છે. 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં કરવામાં આવેલો આ સૌથી મોટો વધારો છે. કારણ કે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ $126 પ્રતિ બેરલથી વધુ થઈ ગયા છે, જેને કારણે બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની અટકળો તેજ થઈ ગઈ હતી.
આ અઠવાડિયામાં સોશિયલ મીડિયા પર ખોટા નોટિસ પણ વાયરલ થયા હતા, જેમાં ભાવ વધારાની વાત કરવામાં આવી હતી। વિરોધ પક્ષના નેતાઓએ પણ જણાવ્યું હતું કે વિવિધ રાજ્ય ચૂંટણી બાદ ઈંધણના ભાવ વધી શકે છે. આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. જોકે છેલ્લા વર્ષે માર્ચમાં રૂ. 2 પ્રતિ લિટર ઘટાડા પછીથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ઘરેલુ રાંધણગેસના ભાવમાં પણ માર્ચમાં રૂ. 60નો વધારો કર્યા બાદ કોઈ ફેરફાર થયો નથી।
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે ભાવ વધારો “અનિવાર્ય” છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવ વધારો આવી શકે છે. જોકે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી।
પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ નથી વધી રહ્યા?
પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ 50%થી વધુ વધ્યા છે, છતાં ભારત સરકારે ભાવ સ્થિર રાખ્યા છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓએ વૈશ્વિક ભાવના ઊછાળા વચ્ચે પણ સ્થિતિ સંભાળી લીધી છે. અગાઉ ક્રૂડના ભાવ ઘટતા કંપનીઓને નાણાંકીય વર્ષ 2023-24માં કંપનીઓને રૂ. 86,000 કરોડનો મોટો નફો થયો હતો, નફાનું આ “કુશન” હાલના નુકસાન સહન કરવા મદદરૂપ થઈ રહ્યું છે.
સરકારે પણ માર્ચમાં પેટ્રોલ-ડીઝલ પર રૂ.10 પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને કંપનીઓનો ભાર ઘટાડ્યો હતો. આ પગલાથી દૈનિક નુકસાન રૂ. 2,400 કરોડમાંથી ઘટીને અંદાજે રૂ.1,600 કરોડ થયું છે. સરકાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં મુખ્ય હિસ્સેદાર હોવાથી ભાવ નક્કી કરવામાં તેની પરોક્ષ અસર રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર ગ્રાહકો, કંપનીઓ અને પોતાની આવક વચ્ચે સંતુલન જાળવીને નિર્ણય લે છે.
હાલની સ્થિતિની ગંભીરતાનો સમજો
કેટલાક અહેવાલો મુજબ પેટ્રોલમાં લિટરદીઠ રૂ. 18 અને ડીઝલમાં લિટરદીઠ રૂ. 35 સુધીનું નુકસાન થઈ રહ્યું છે. ક્રૂડ તેલના ભાવ યુદ્ધ બાદ સતત વધી રહ્યા છે અને તાજેતરમાં ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ $126 સુધી પહોંચ્યા છે.
મોટીલાલ ઓસવાલના નિષ્ણાતોના જણાવ્યા મુજબ હોર્મુઝ જળમાર્ગની પરિસ્થિતિને કારણે સપ્લાયમાં વિક્ષેપ થયો છે, જે બજારમાં દબાણ ઉભું કરી રહ્યું છે. તેની સાથે જ ડિફિસિટ એટલે કે આયાત અને નિકાસના ખર્ચ વચ્ચેનો ગાળો વધી જવાની ચિંતા પણ તીવ્ર બની રહી છે. રૂપિયાનું અવમૂલ્યન પણ મોટી સમસ્યા છે. બજારમાંથી વિદેશી રોકાણ બહાર જવું અને વધી રહેલી ટ્રેડ ડેફિસિટના દબાણો બજાર પર વધી રહ્યા છે.
રાજકીય નિવેદનો અને સરકારની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો દાવો છે કે ચૂંટણી બાદ ભાવ વધશે। તેમણે કહ્યું કે હવે મોંઘવારી વધશે અને ઈંધણ મોંઘું થશે. પરંતુ સરકારે આ દાવાઓને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ ભાવ વધારાની યોજના નથી. છતાં સરકાર રૂ.1600 કરોડની ખોટ કેટલા સમય સુધી સહન કરી શકશે તે પણ એક મોટો સવાલ છે.
પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં સપ્લાય પર નજર રાખવામાં આવી રહી છે અને ક્યાંય પણ અછત ન થાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. માહિતી ખાતાએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ખોટા ઓર્ડરને પણ ફેક જાહેર કર્યો છે.



