• 13 May, 2026 - 5:51 PM

યુરોપિયન સંઘના દેશોએ લાદેલા કાર્બન ફૂટપ્રિન્ટના ટેક્સને પરિણામે સ્ટીલ-એલ્યુમિનિયમની નિકાસ ઘટી

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે એક દિવસની સસ્ટેઈનેબિલિટી સમિટનું આયોજન કર્યુંઃ દેશ દેશાવરના નિષ્ણાતો માર્ગદર્શન આપશે

પહેલી જાન્યુઆરી 2026થી યુરોપિયન સંઘના દેશોએ ભારત સહિતના વિશ્વના દેશો સામે લાગુ કરેલા કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમને કારણે ભારતમાંથી યુરોપિયન સંઘના દેશોમાં થતી સ્ટીલની નિકાસમાં ટેક્સ લાગુ કરતાં પહેલા જ 35.1 ટકાનો ઘટાડો થઈ ગયો હોવાનું નીતિ આયોગ અને ગ્લોબર ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટીવના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. પહેલી જાન્યુઆરી 2026 પછીના આંકડાં આવશે ત્યારે એક્સપોર્ટ પર ઘણી મોટી અસર પડી હોવાનું જોવા મળી શકે છે. પરિણામે હજીરા, કચ્છ અને જામનગરમાં તથા અમદાવાદમાં સ્ટીલના સંખ્યાંબંધ એકમો પર તેની માઠી અસર પડી રહી છે.

મેન્યુફેક્ચરિંગ સ્ટેટ ગણાતા ગુજરાતના સ્ટીલ સેક્ટરને પડેલો આ મોટો ફટકો છે. ગુજરાતમાંથી નિકાસ પણ મોટે પાયે થાય છે. સ્ટીલ પર એક ટનદીઠ અંદાજે રૂ. 17,850નનો કાર્બન સરચાર્જ લગાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. પરિણામે કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો પ્રયાસ ન કરનારાઓની નિકાસ પર મોટી અસર પડી શકે છે.

સ્ટીલ ઉપરાંત એલ્યુમિનિયમના ઉત્પાદનોની નિકાસ પર પણ વિપરીત અસર પડી રહી છે. જાન્યુઆરી 2025ની તુલનાએ જાન્યુઆરી 2026 સુધીમાં એલ્યુમિનિયમના ઉત્પાદનોની નિકાસમાં અંદાજે 41.7 ટકાનો ઘટાડો આવી ગયો છે. યુરોપિયન સંઘના દેશોએ લાગુ કરેલા કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમને કારણે નિકાસકારોના માર્જિનમાં ત્રણથી માંડીને આઠ ટકાનો ઘટાડો થઈ આવી રહ્યો છે. નિકાસકારો કાર્બન ઉત્સર્જન માટેની પદ્ધતિની ચકાસણી કરવાને પણ સમર્થ નથી.

ગુજરાત અને ભારતમાંથી યુરોપિન સંઘના દેશોમાં થતી કુલ નિકાસના મૂલ્યની દ્રષ્ટિએ અંદાજે 10 ટકા અસર સીએબીએમને કારમે આવી છે. સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, રાસાયણિક ખાતરનો સમાવેશ થાય છે. તેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમમાં સૌથી વધુ જોખમ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સએન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે  ણામે નાના મોટા તમામ ઉદ્યોગોને તે અંગેનું માર્ગદર્શન આપવા માગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે 15મી મેએ એક દિવસના સેમિનારનું આયોજન કર્યું છે. આ સેમિનારમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપરાંત તેમને ગુડ ગવર્નન્સ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંગે સમજૂતી આપવા માટે ઈએસજી (એન્વાયર્નમેન્ટ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને ગુડ ગવર્ન્સના રેટિંગના એક દિવસના સેમિનારનું યોજન કર્યું છે. તેમાં દેશભરના નિષ્ણાતો પોતાના અનુભવની વાત કરશે અને માર્ગદર્શન આપશે. આ સેમિનારના સમગ્ર આયોજન પર સમીર સિંહા નજર રાખશે. તેમના માર્ગદર્શન હેઠળ યોજાનારા સેમિનારમાં દેશ પરદેશના એક્સપર્ટ્સ સસ્ટેઈનેબિલિટી સહિતની બાબતો અંગે તેમના અનુભવોનું બયાન કરશે.

આ બાબતે સુસ્તી દાખવે તો ગુજરાત અને ભારતમાંથી નિકાસ ઘટી જવાનું જોખમ રહેલું છે. અત્યાર સુધીમાં સિમેન્ટ અને રાસાયણિક ખાતરની નિકાસ ઘટી છે. રાસાયણિક ખાતરના ઉત્પાદન સાથે સંકળાયેલા દહેજ અને કાલોલના એકમો પર અવળી અસર પડી છે. તેમજ સિમેન્ટના ઉત્પાદન સાથે સંકળાયેલા સૌરાષ્ટ્ર અને કચ્છના એકમો પર અવળી અસર પડી છે. અત્યારે તેમને મધ્યમસરનું નુકસાન થઈ રહ્યું છે. આ બાબતમાં તેઓ જાગૃત ન થાય તો આવનારા સમયમાં તેમને થનારું નુકસાન ખાસ્સુ વધી જવાનું જોખમ છે, એમ કાર્બન કોમ્પ્લાયન્સ ગાઈડના જાન્યુઆરી 2026ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

  • એક ટને રૂ. 17850નો કાર્બન ઉત્સર્જન ટેક્સનો બોજો આવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની નિકાસમાં 35.1 ટકાનો ઘટાડો થયો.
  • એલ્યુમિનિયમના ઉત્પાદનોની નિકાસમાં 41.7 ટકાનો ઘટાડો થયો છે.
  • એન્જિનિયરિંગ ગુડ્સના સેક્ટરની 180 આઈટેમ્સના એટલે કે બોલ્ટ, પાઈપ્સ અને ટુલ્સની નિકાસ પર અવળી અસર પડી રહી છે.
  • તેનાથી ઇન્ડસ્ટ્રી પર થોડો ખર્ચબોજ આવશે, તેને માટે સજ્જ નહિ થાય તો તેમનો ધંધો તેઓ ગુમાવી બેસે તેવું જોખમ રહેલું છે.
  • કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વૃક્ષારોપણ કરી શકાય છે. વૃક્ષા રોપણ કરીને 55 ટકા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવામાં આવી હોવાનું ગુજરાતના ઉદ્યોગો જણાવે છે. 1000 વૃક્ષો રોપીને વરસે 50 ટન કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકાય છે.

લઘુ અને મધ્યમ ઉદ્યોગો પણ ઉર્જા અને સંસાધનોની કાર્યક્ષમતા વધારીને તથા કામદારોના કલ્યાણ જેવા નાના ફેરફારોને પ્રાથમિકતા આપીને ઈએસજી-એન્વાયર્નમેન્ટ, સોશિયલ ઇને ગુડ ગવર્નન્સનું પાલન કરીને પોતાનું રેટિંગ સુધારી નિકાસના દરવાજા ખોલી શકે છે.

 

Read Previous

ભારત સરકારે સોના-ચાંદી પરની આયાત ડ્યૂટી છ ટકાથી વધારીને પંદર ટકા કરી  

Most Popular