આજે શેરબજારમાં શું કરશો?
ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટીમાં લેણ કરી શકાય
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેર્સમાં આજે લેણ કરી શકાય છે. એમ ટેક્નિકલ વિશ્લેષકોનું કહેવું છે. તેમના મતાનુસાર સ્ટોકમાં ફરી તેજી શરૂ થાય તો આગામી થોડા અઠવાડિયામાં શેર રૂ.50 સુધી પહોંચી શકે છે. ટ્રેડર્સ રૂ. 35ના સ્તરે ખરીદી અને રૂ. 32નો સ્ટોપ-લોસ રાખીને કામકાજ કરી શકે છે. શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 35.70ની આસપાસ બોલાઈ રહ્યો છે. શેર્સના ભાવ વધવાની સંભાવના માટેના કારણોમાં ઊંડા ઉતરીએ તો ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીએ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ ઓલા ઇલેક્ટ્રિક ટેક્નોલોજીસ અને ઓલા સેલ ટેક્નોલોજીસમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપની ઇલેક્ટ્રિક વાહન અને બેટરી સેલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કામગીરી વિસ્તારવા તથા પોતાના EV ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે કુલ ₹2,000 કરોડનું રોકાણ કરશે.
કુલ રોકાણમાંથી ₹500 કરોડ ઓલા સેલ ટેક્નોલોજીસમાં નાખવામાં આવશે, જે બેટરી સેલ ઉત્પાદન અને વિતરણનું કામ કરે છે. તેમ જ રૂ. 1,500 કરોડ ઓલા ઇલેક્ટ્રિક ટેક્નોલોજીસને ફાળવવામાં આવશે, જે ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદન અને ઇલેક્ટ્રિક વેહિકલની વેલ્યુ ચેઇન સંબંધિત સેવાઓ સંભાળે છે. ઓલા સેલ ટેક્નોલોજીએ ઇન-હાઉસ બેટરી સેલ ઉત્પાદન દ્વારા આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. તેની સાથે જ કંપનીની જનરેશન થ્રીના વાહન પ્લેટફોર્મ યોજનાઓને ટેકો મળી રહેશે. બીજી તરફ ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજીસ ઇલેક્ટ્રિક વેહિકલના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે, જે ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ અને સમગ્ર ઇલેક્ટ્રિક વેહિલકની વેલ્યુ ચેઇન સંબંધિત સેવાઓ સંભાળે છે.
આજે શેરબજારમાં મહત્વના લેવલ અને સ્ટ્રેટેજી
ગત સપ્તાહમાં શેરબજારો નેગેટિવ ઝોનમાં બંધ રહ્યા હતા. બેએસઈ સેન્સેક્સમાં 2.70 ટકા અને એનએસઈ નિફ્ટીમાં 2.20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે 30 શેરવાળો સેન્સેક્સ 75,237.99 પર બંધ રહ્યો હતો, જ્યારે 50 શેરવાળો નિફ્ટી 23,643.50 પર બંધ રહ્યો હતો. અંતિમ ટ્રેડિંગ સત્રમાં બંને ઇન્ડેક્સમાં આશરે 0.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આજે શેરબજારની શરૂઆત થોડી પોઝીટિવ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર નિફ્ટી ફ્યુચર્સ 61 પોઈન્ટ અથવા 0.26 ટકા વધીને 23,769 પર ટ્રેડ થઈ રહ્યા હતા. રેલીગેર બ્રોકિંગના નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને અમેરિકા-ઇરાન વિવાદ અંગેની અનિશ્ચિતતાએ ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા ઊભી કરી છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 105 ડોલરથી ઉપર ગયો છે. ક્રૂડ ઓઈલના વધતા ઊર્જા ભાવોના કારણે મોંઘવારી, વેપાર ખાધ અને ઊર્જા આધારિત સેક્ટરો પર માર્જિન દબાણ અંગે ચિંતા વધી છે.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટન નિષ્ણાતોનું કહેવું છે કે હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના આંકડાં ઓ અપેક્ષા કરતાં વધુ આવ્યા અને ઇંધણના વધતા ભાવ અને બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને કારણે રોકાણકારોનું ધ્યાન હવે મોંઘવારીના જોખમ તરફ ગયું છે. દરમિયાન વિદેશી સંસ્થાગત રોકાણકારોએ અઠવાડિયા દરમિયાન મોટાભાગે વેચવાલી કરતા રહ્યા હતા અને તેમણે રૂ.13,500 કરોડથી વધુની વેચવાલી કરી હતી. બીજી તરફ સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ લગભગ રૂ.18,500 કરોડની ખરીદી કરી બજારને ટેકો આપ્યો હતો.
આગામી દિવસોમાં કયા પરિબળો મહત્વના રહેશે?
એનરિચ મનીના નિષ્ણાતો માને છે કે રોકાણકારોની ભાવના અમેરિકા-ઇરાન વિવાદ, વૈશ્વિક ઊર્જા બજાર અને રાજદ્વારી ચર્ચાઓ પર નિર્ભર રહેશે. હોર્મુઝ જળમાર્ગ ફરી શરૂ કરવાની દિશામાં કોઈ સકારાત્મક પ્રગતિ થશે તો બજારમાં ફરી જોખમ લેવા માટેનો ઉત્સાહ વધી શકે છે.
જોકે યુનાઈટેડ આરબ અમિરાતના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાની ઘટનાને પરિણામે સમગ્ર સ્થિતિ વકરે તો માહોલ બજાર માટે નકારાત્મક થઈ શકે છે. બીજીતરફ દેશની અંદર, 20 મેના રોજ જાહેર થનારા એપ્રિલ 2026ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પર પણ રોકાણકારોની નજર રહેશે, જે ઔદ્યોગિક ગતિવિધિ અંગે મહત્વપૂર્ણ સંકેત આપશે.
નિફ્ટી અને સેન્સેક્સ
નિફ્ટી 23,800થી 24,500ની કન્સોલિડેશન રેન્જમાંથી નીચે તૂટ્યો છે, જે બજારની નબળી રચના દર્શાવે છે. હવે 23,800થી 24,000નો ઝોન તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. જ્યારે મહત્વનો સપોર્ટ 23,150 પર છે અને તેનાથી નીચે 22,900નો લેવલ મહત્વપૂર્ણ રહેશે. નજીકનો સપોર્ટ ઝોન 23,500થી 23,400 છે. જો નિફ્ટી આ લેવલથી નીચે જાય તો 23,200થી 23,000 સુધી ઘટાડો થઈ શકે છે.
સેન્સેક્સ હાલમાં 75,200થી 75,300 ઝોન નજીક ટ્રેડ થઈ રહ્યો છે. 75,600થી 76,000નો વિસ્તાર મુખ્ય રેઝિસ્ટન્સ રહેશે, જ્યારે 74,500થી 74,200નો વિસ્તાર મહત્વનો સપોર્ટ ગણાશે. હાલના સમયમાં ડિફેન્સિવ સેક્ટરોમાં ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સલામત રહેશે. ફાર્મા, હેલ્થકેર, પસંદગીના FMCG, એનર્જી અને મેટલ આધારિત કંપનીઓ તુલનાત્મક રીતે વધુ સ્થિર રહી શકે છે. બીજી તરફ IT, વ્યાજદર સંવેદનશીલ સેક્ટરો અને વૈકલ્પિક વપરાશ આધારિત સેગમેન્ટ્સ પર દબાણ યથાવત રહી શકે છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં નજીકના સમયમાં સાવચેત અને પસંદગીયુક્ત અભિગમ જળવાઈ રહેવાની સંભાવના છે.

