ક્રૂડના 100 ડૉલરથી ઉપર રહે તો ડૉલર સામે રૂપિયો ગગડી 102ની સપાટીએ પહોંચશે
ભારતીય રૂપિયાનું મૂલ્ય ટકાવી રાખવામાં રિઝર્વ બેન્કને વધુ પડતી મથામણ કરવી પડશેઃ રૂપિયાની અફરાતફરી મેનેજ કરવાનું રિઝર્વ બેન્ક બંધ કરે તો ડોલર સામે રૂપિયો 102 સુધી પહોંચી શકે
ભારતના વિદેશી મુદ્રાના ભંડોળમાં ફેબ્રુઆરી પછીથી $38 અબજનો ઘટાડો થયો છે, કારણ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રૂપિયાની અસ્થિરતા નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે રૂપિયાનો ઘટાડો હજુ અટક્યો નથી.
ભારતીય રૂપિયો સોમવારે અમેરિકન ડોલર સામે 96ના સ્તરથી નીચે સરકી ગયો હતો. વધતા ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત ચાલી રહેલી વેચવાલી અને મજબૂત ડોલર ઇન્ડેક્સના કારણે રૂપિયાના મૂલ્ય પર સતત દબાણ વધી રહ્યું છે.
નિષ્ણાતો માને છે કે મજબૂત ડોલર ઇન્ડેક્સ, ઊંચા ક્રૂડ ઓઇલના કારણે વધતો કરંટ એકાઉન્ટ ડિફિસિટ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત ચાલી રહેલી વેચવાલી સહિતના તમામ પરિબળો રૂપિયાને દબાણ હેઠળ રાખી રહ્યા છે.
ક્રૂડ ઓઇલ સૌથી મોટો મુદ્દો
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. તેથી વૈશ્વિક ક્રૂડના ભાવમાં વધારો સીધી અસર રૂપિયાની કિંમત પર કરે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ લગભગ $109 પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ $104 પ્રતિ બેરલની આસપાસ બોલાઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, ખાસ કરીને ઇરાન સંબંધિત અનિશ્ચિતતાના કારણે ઓઇલના ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. જો ક્રૂડ $100થી ઉપર રહેશે અને રિઝર્વ બેન્ક હૂંડિયામણ બજારમાં હસ્તક્ષેપ ઘટાડશે તો ડોલર સામે રૂપિયો 102 સુધી પહોંચી શકે છે.
RBIએ ખર્ચ્યા $38 અબજ
યુદ્ધ જેવી પરિસ્થિતિ શરૂ થાય તે પહેલાં ભારતનો ફોરેક્સ રિઝર્વ લગભગ $728 અબજ હતું. ફોરેક્સ રિઝર્વ હવે ઘટીને $690 અબજની આસપાસ આવી ગયું છે. એટલે કે RBIએ લગભગ $38 અબજનો ઉપયોગ કર્યો છે. માત્ર માર્ચ મહિનામાં જ રિઝર્વ બેન્કે રૂપિયા સ્થિર રાખવા માટે $28 અબજ ખર્ચ્યા હતા. તે કોઈ ચોક્કસ લેવલ પર રૂપિયાને જાળવી રાખવા માંગતી નથી. રિઝ્વ બેન્કનો મુખ્ય ઉદ્દેશ અતિશય વોલેટિલિટી રોકવાનો છે.
ભારત પાસે હાલમાં લગભગ 11 મહિનાના આયાત ખર્ચ જેટલું ફોરેક્સ કવર છે, પરંતુ રિઝર્વમાં સતત ઘટાડો ચિંતાનો વિષય બની રહ્યો છે.
FII વેચવાલીથી વધી ચિંતા
માર્ચ મહિનામાં જ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય બજારમાંથી લગભગ $11 અબજ ખેંચી લીધા હતા. આ રકમ 2025ના સમગ્ર વર્ષ દરમિયાન થયેલા $19 અબજ આઉટફ્લોના અડધાથી પણ વધુ છે. ભારતના મૂળભૂત આર્થિક પરિબળો હજુ પણ મજબૂત છે, પરંતુ વૈશ્વિક ભૂરાજકીય તણાવના કારણે રોકાણકારોમાં ડરનું વાતાવરણ છે. હાલનું દબાણ વધુ “ફિયર ફેક્ટર”ને કારણે છે.
રૂપિયો ક્યાં સ્થિર થઈ શકે?
2013 અને 2022ના કરન્સી સંકટની સરખામણીએ વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર થયા બાદ રૂપિયો 95થી 96ની આસપાસ સ્થિર થઈ શકે છે. પરંતુ તે માટે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના સેન્ટિમેન્ટમાં સુધારો જરૂરી રહેશે. હાલમાં રિઝર્વ બેન્ક “મેનેજ્ડ વોલેટિલિટી”ની નીતિ હેઠળ કામ કરી રહી છે, એટલે કે રૂપિયાના ઘટાડાને સંપૂર્ણપણે અટકાવવાને બદલે તેને નિયંત્રિત રીતે આગળ વધવા દેવામાં આવી રહ્યું છે.




