ભારતમાં સોનાની આયાતમાં 50 થી 60 ટન ઘટાડા સંભાવના

ભારતમાં દર વર્ષે સરેરાશ 800 ટન સોનાની આયાત થાય છે, આ વરસે 7થી આઠ કાનો ઘટાડો થવાનો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ
વિશ્વમાં સૌથી વધુ સોનું ખરીદનાર તરીકે જાણીતા ભારતમા 2026-27ના નાણાંકીય વર્ષ દરમિયાન સોનાની આયાતમાં સાતથી આઠ ટકાન ઘટાડો થવાની સંભાવના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે વ્યક્ત કરી છે. ભારતમાં વરસે દહાડે સરેરાશ 800 ટન સોનાની આયાત કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી એક વર્ષ માટે અટકાવી દેવા લોકોને અપીલ કરી તે પછી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પ્રસ્તુત અંદાજ જાહેર કર્યો છે. ભારતીય રૂપિયાની વધઘટને અંકુશમાં રાખવા પણ સોનાની આયાત ઘટાડીને ડૉલરની ડિમાન્ડ ઘટાડવી જરૂરી હોવાથી તથા ભારતનું વિદેશી હૂંડિયામણનો ખર્ચ ઓછો થાય તે માટે પણ સોનાની આયાત ઓછી કરવી જરૂરી છે.
વિદેશી હૂંડિયામણની બચત કરવા માટે જ સરકારે સોનાની આયાત પરની ઇમ્પોર્ટ ડ્યૂટી છ ટકાથી વધારીને પંદર ટકા કરી દીધી છે. ચાંદીની આયાત પરની ડ્યૂટી પણ છ ટકાથી વધારીને 15 ટકા કરી દીધી છે. સોના પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારાવાના પગલાં લીધા પછી સોનાની આયાતમાં મોટો ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભારત વિશ્વભરમાં સૌથી વધુ સોનું ખરીદનારા અને ધરાવતા દેશોમાં મોખરે છે. જો કે, ભારતમાં આટલી વિશાળ માત્રામાં થતી સોનાની ખરીદી દેશના આયાત બિલ પર ભારે દબાણ લાવે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તીવ્ર વધારાને કારણે દેશના આયાત બિલ પર પહેલેથી જ દબાણ વધી રહ્યું છે, ત્યારે સરકારે આ કિંમતી ધાતુની આયાત ઘટાડવા માટે કડક પગલાં લીધા છે.
ભારત સરકાર દ્વારા સોનાની ખરીદી પર અંકુશ લાવવાના પ્રયાસો વચ્ચે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) એ અનુમાન લગાવ્યું છે કે વર્ષ ૨૦૨૬માં સોનાની આયાતમાં ૫૦ થી ૬૦ ટનનો ઘટાડો થશે. વાર્ષિક ધોરણે જોઈએ તો, આ વર્ષ ૨૦૨૫ ની સરખામણીમાં ૧૦ ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે. સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા વિવિધ નિયમો આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ બનશે, જે ભારતીય રૂપિયાને મજબૂતી આપશે અને સોનાની આયાત પાછળ વિદેશમાં વહી જતા ફોરેક્સ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ)ને અટકાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતનું સોનાનું આયાત બિલ ૭૧.૯૮ અબજ ડોલરની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયું હતું.



