મે 2026માં GST આવક રૂ. 1.94 લાખ કરોડને વટાવી ગઈ
વપરાશ, ઉત્પાદન અને આયાતમાં વ્યાપક વૃદ્ધિથી સરકારની ગુડ્રસ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં વધારો થયો
ભારતમાં વસ્તુ અને સેવા કર (GST)ની વસૂલાત મે 2026 દરમિયાન વધીને રૂ. 1.94 લાખ કરોડથી વધુ થઈ છે. સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, ગયા વર્ષની સરખામણીએ કુલ જીએસટીની આવકમાં 3.2 ટકાનો વધારો નોંધાયો છે. મે મહિનાની વસૂલાત એપ્રિલ દરમિયાન થયેલા માલના વપરાશ અને સેવાઓના ઉપયોગને પ્રતિબિંબિત કરે છે. સરકારી માહિતી અનુસાર મે 2025ની જીએસટી આવકમાં એક ટેલિકોમ કંપની દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણી માટે કરવામાં આવેલી રૂ. 10,000 કરોડની એક વારની ચૂકવણીનો પણ સમાવેશ થાય છે.
આ ખાસ ચુકવણીને બાદ કરતાં મે 2026માં જીએસીની કુલ આવક નવ ટકા વધી છે. ચીજવસ્તુઓના વેચાણમાં થયેલા વધારાને પરિણામે જીએસટીની આવકમાં વધારો થયો છે. જોકે મોંઘવારીમાં થયેલા વધારાને પરિણામે પણ જીએસટીની આવક વધી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ માલ-ગુડ્સના ક્ષેત્રમાં વૃદ્ધિ વ્યાપક અને મજબૂત રહી છે. એપ્રિલ 2026માં કરપાત્ર માલ પુરવઠો રૂ.40.10 લાખ કરોડનો રહ્યો હતો. એપ્રિલ 2025માં: ₹31.61 લાખ કરોડનો રહ્યો હતો. આમ એક જ મહિનામાં તેમાં 26.9 ટકાનો વધારો થયો છે.
મહત્વની બાબત એ છે કે દેશના તમામ 27 મુખ્ય કોમોડિટી જૂથોમાં વૃદ્ધિ નોંધાઈ છે. મે મહિના દરમિયાન કૃષિ, ઉત્પાદન-મેન્યુફેક્ચરિંગ, રસાયણ ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ, ગ્રાહક ઉત્પાદનો-કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના વેચાણમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ દર્શાવે છે કે સ્થાનિક માંગ હજુ પણ મજબૂત છે.
સેવા ક્ષેત્રે પણ મજબૂત પ્રદર્શન
સેવા (Services) ક્ષેત્રે પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. એપ્રિલ 2026માં કરપાત્ર સેવા પુરવઠો રૂ. 11.50 લાખ કરોડથી વધુનો થયો છે. તેમાં 22.2 ટકાનો વધારો થયો છે. દરેક મુખ્ય સેવા ક્ષેત્રે હકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. તેમાં રિયલ એસ્ટેટ, બાંધકામ , પરિવહન સેવાનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે રોકાણ અને વપરાશ બંને ક્ષેત્રોમાં સકારાત્મક પ્રવૃત્તિ ચાલુ છે.
આયાત પર IGST વસૂલાતમાં જોરદાર વધારો
મે 2026 દરમિયાન આયાત પર વસૂલાત થતો આઈજીએસટીની આવક 20.2 ટકા વધી છે. આ વૃદ્ધિ મુખ્યત્વે નીચેની વસ્તુઓની આયાતને કારણે થઈ છે. ઔદ્યોગિક કાચો માલ, મધ્યવર્તી ઉત્પાદનો અને ઊર્જા સંબંધિત સામગ્રીનો તેમાં સમાવેશ થાય છે. આ સૂચવે છે કે દેશની ઔદ્યોગિક પ્રવૃત્તિ મજબૂત બની રહી છે.
રિફંડ ચુકવણીમાં પણ વધારો
સરકારે નિકાસકારો અને ઉત્પાદકોને સહાયરૂપ થવા માટે જીએસટીના રિફંડની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી છે. રિફંડ બાદ નેટ GST વસૂલાત 10.1 ટકા વધી છે. ઓટોમેટેડ રિફંડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નિકાસકારોને ઝડપી રિફંડ આપવામાં આવી રહ્યા છે. આથી ઉદ્યોગોને વર્કિંગ કેપિટલમાં રાહત મળી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે એપ્રિલ અને મે 2026ના સંયુક્ત આંકડા મુજબ જીએસટીની આવકમાં 8.8 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર 2025 પછીના જીએસટીના દરોમાં ઘટાડા અને વૈશ્વિક ભૂરાજકીય અસ્થિરતા છતાં ભારતીય અર્થતંત્રે મજબૂત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. તેમણે ઉદ્યોગોને વર્કિંગ કેપિટલ સહાય માટે ઇનપુટ GST રિફંડના નિયમોમાં વધુ રાહત આપવાની ભલામણ કરી છે.
તેમણે GST માળખામાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા કરવાની માંગણી કરી છે. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યા દૂર કરવાની, ઇનપુટ સેવાઓ પરના રિફંડને સરળ બનાવવાની, પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવાની, રિફંડ પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાની તથા રિસ્કી કરદાતા તરીકે ટેગ કરવાની પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાની વ્યવસ્થા કરવાની માગણી કરવામાં આવી રહી છે.
ગુજરાત માટે તેનો અર્થ શું?
ગુજરાત દેશના સૌથી મોટા ઉત્પાદન અને નિકાસ કેન્દ્રોમાંનું એક હોવાથી આ આંકડા રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેનો ગુજરાતને લાભ મળે તેવી સંભવના પછી છે. કેમિકલ ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ રહી છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં માંગમાં વધારો થઈ રહ્યો છે. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગમાં સુધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોકેમિકલ અને રિફાઇનરી ક્ષેત્રને ફાયદો થઈ રહ્યો છે. બંદરો મારફતે આયાત-નિકાસ પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ, અંકલેશ્વર, મોરબી અને કચ્છ જેવા ઔદ્યોગિક કેન્દ્રોને આ વધારાનો મોટો અને સીદો લાભ મળી શકે છે.




