સોનાના ભાવમાં ઘટાડો થાય તો ગોલ્ડ લોન માર્કેટ પર શું અસર થશે?
સોનામાં નિયમિત રોકામ કરવાનું પસંદ કરનારાઓ અને સોનાનું ટ્રેડિંગ કરનારા ટ્રેડર્સે શું કરવું જોઈએ?
અમદાવાદઃ તાજેતરના વર્ષોમાં સોનાના વધતા ભાવો અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓના આક્રમક ધિરાણને કારણે ભારતમાં ગોલ્ડ લોન માર્કેટ રેકોર્ડ સ્તરે આગળ વધી રહ્યું છે. પરંતુ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની વોલેટિલિટી અંગેની ચેતવણી અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા સોનાના ભાવમાં સંભવિત સુધારા (કરેક્શન)ના અંદાજો વચ્ચે આ સેક્ટરની મોટી પરીક્ષાનો આરંભ થયો છે.
ગોલ્ડ લોન માર્કેટમાં અભૂતપૂર્વ તેજી
સોનાના બજારના સર્વગ્રાહી વિકાસદરની વાત કરીએ તો એલારા સિક્યોરિટીઝના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024 થી 2026 દરમિયાન ગોલ્ડ લોન માર્કેટ 42 ટકાના વાર્ષિક સર્વગ્રાહી વિકાસ દરથી વધારો થયો છે. અન્ય રિટેલ લોન કરતાં આ વધારો બમણો છે.
ગોલ્ડ લોનમાં NBFCs નું વર્ચસ્વ
નાણાકીય વર્ષ 2026 માં જ NBFCsની ગોલ્ડ લોન બુકમાં 96.5 ટકાનો વાર્ષિક ઉછાળો નોંધાયો હતો. હાલમાં NBFCs ના કુલ રિટેલ પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો 17.4 ટકા જેટલો ઊંચો છે.
સોનાના ભાવ ઘટે તો પણ જોખમ કેમ ઓછું છે?
સામાન્ય રીતે સોનાના ભાવ ઘટે ત્યારે બેન્કો કે કંપનીઓ પાસે રાખેલું સોનું (કોલેટરલ) ઓછી કિંમતનું થઈ જાય છે, જેનાથી ડિફોલ્ટનું જોખમ વધે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આ સેક્ટર નીચેના કારણોસર સુરક્ષિત દેખાય છે. એક, લોન ટુ વેલ્યુ રેશિયો નીચો છે. રીઝર્વ બેન્કના રિપોર્ટ મુજબ સરેરાશ લોન-ટુ-વેલ્યુનો રેશિયો 60 ટકાથી નીચે છે. એટલે કે જો રૂ. 100 નું સોનું ગીરો મૂક્યું હોય, તો તેની સામે રૂ. 60 થી ઓછી લોન અપાઈ છે. આનાથી સોનાના ભાવ 10-15 ટકા ઘટે તો પણ ધિરાણકર્તા સુરક્ષિત રહે છે. જોકે તેને કારણે મોટા મૂલ્યની વસ્તુ રાખીને ઓછી લોન પર બાર ટકા કે તેનાથી વધુ વ્યાજ લે છે આ દ્રષ્ટિએ લોનનો વ્યાજ દર વાસ્તવમાં દેખાય છે તેના કરતાં ઊંચો થઈ જાય છે. આ સંજોગોમાં લોન ટુ વેલ્યુનો રેશિયો 80થી 85 ટકાની આસપાસનો હોવો જોઈએ.
બીજું, ગ્રાહકો મજબૂત છે. ગોલ્ડ લોન લેનારાઓમાંથી માત્ર 6 ટકી જ નવા ગ્રાહકો છે. બાકીના 94 ટકી એવા ગ્રાહકો છે જેમનો રિપેમેન્ટ હિસ્ટ્રી પહેલેથી સારો છે. ત્રીજું, મજબૂત કેપિટલ બફર છે. આ સેક્ટરમાં કેપિટલ એડિક્વસી રેશિયો 24.6 ટકાના આરામદાયક સ્તરે છે, જે કોઈપણ આંચકાને પચાવવા માટે પૂરતો છે.
કયા જોખમો પર નજર રાખવી જરૂરી છે?
સોનાના ભાવમાં કરેક્શનની શક્યતા હોવાથી થોડા જોખમો રહેલા છે. આ જોખમો પર નજર રાખવી જરૂરી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અંદાજ મુજબ, 2026 ના બીજા ભાગમાં સોનાના ભાવ વ્યાજદરમાં ફેરફાર અને વૈશ્વિક અર્થતંત્રના કારણે 5 ટકાથી 15 ટકા સુધી ઘટી શકે છે. જોકે, સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી (વાર્ષિક 1,000 ટન)ને કારણે મોટો કડાકો થવાની સંભાવના નહિવત છે.
ચોથું, સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટીની અસર પણ જોવા મળે છે. ભારતમાં સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દેવામાં આવતા સોનાની માંગમાં 50-60 ટન એટલે કે આશરે 10 ટકાનો ઘટાડો આવી શકે છે.
પાંચમું, આર્થિક મંદીનું બેવડું જોખમ છે. જો સોનાના ભાવ ઘટવાની સાથે દેશમાં આર્થિક મંદી આવે તો લોન લેનારાઓ સોનું છોડાવી નહીં શકે અને માર્કેટમાં હરાજી થાય અને રિસાયકલ ગોલ્ડનું પ્રમાણ વધશે, જે માર્જિન પર દબાણ લાવી શકે છે.
રોકાણકારો અને ટ્રેડર્સ માટે માર્કેટ વ્યુહ
લાંબા ગાળાના રોકાણકારોની વાત કરીએ તો ગોલ્ડ લોન આપતી અગ્રણી NBFCs (જેમ કે Muthoot Finance, Manappuram Finance વગેરે) અને આક્રમક ધિરાણ કરતી બેન્કોના બિઝનેસ મોડલમાં તાત્કાલિક કોઈ મોટું જોખમ નથી. સોનાના ભાવ સ્થિર કે થોડા નરમ થવાના કારણે આગામી સમયમાં આ કંપનીઓનો ગ્રોથ રેટ થોડો ધીમો પડી શકે છે. તેથી આ સેક્ટરના શેરોમાં વર્તમાન સ્તરેથી આક્રમક ખરીદી કરવાને બદલે ભાવમાં ઘટાડો થાય ત્યારે જ ધીમે-ધીમે લેવાલી કરી શકાય છે. ઘટાડે લેણ કરવાનો અભિગમ લાભદાયી સાબિત થઈ શકે છે.
શોર્ટ-ટર્મ ટ્રેડર્સની વાત કરીએ તો આગામી થોડા મહિના સોનાના વૈશ્વિક ભાવો અને RBI ની કડક નજરના કારણે ગોલ્ડ લોન સેક્ટરના શેરોમાં મોટી વધ-ઘટ જોવા મળી શકે છે. ટ્રેડર્સે કોઈ પણ લોન્ગ પોઝિશન બનાવતી વખતે કડક સ્ટોપલોસ રાખવો જોઈએ. જ્યાં સુધી સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ નવી દિશા ન નક્કી કરે, ત્યાં સુધી આ સેક્ટરમાં માત્ર સીમિત નફા માટે જ ટ્રેડિંગ કરવું યોગ્ય રહેશે.
(ડિસ્ક્લેમર: આ અહેવાલ માત્ર બજારના ઉપલબ્ધ ડેટાના વિશ્લેષણ પર આધારિત છે. શેરબજાર કે કોમોડિટીમાં રોકાણ કરતાં પહેલાં તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો.)

