સરકારને ગેરેન્ટી મુક્ત નિકાસ ધિરાણ આપવું છે, પણ નિકાસકારોને જોઈતું જ નથી
સરકારને ગેરેન્ટી મુક્ત નિકાસ ધિરાણ આપવું છે, પણ નિકાસકારોને જોઈતું જ નથી
સરકારની ગેરેંટી-મુક્ત નિકાસ ધિરાણ યોજનામાં નિકાસકારોને રસ નથી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
એક્સપોર્ટ પ્રમોશન મિશન-EPM અંતર્ગત સરકારની ગેરેંટી-મુક્ત નિકાસ ધિરાણ યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ ખૂબ ઓછો રસ દાખવ્યો છે. જાન્યુઆરીમાં આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં માત્ર 140 નિકાસકારોએ જ આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ યોજના હેઠળ, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો 85 ટકા ગેરેંટી કવરેજ સાથે રૂ. 10 કરોડ સુધીની લોન મેળવી શકે છે. મધ્યમ કદના ઉદ્યોગો આ જ લોન મેળવવા માટે 65 ટકા ગેરેંટી કવરેજ મેળવવાની લાયકાત ધરાવે છે.
સરકાર વતી આ યોજનાનું સંચાલન કરતા ‘ક્રેડિટ ગેરેંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ’એ છેલ્લા છ મહિનામાં માત્ર 159 ‘ઉદ્યમ રજીસ્ટ્રેશન નંબર્સ’ (UIN) જનરેટ કરવામાં મદદ કરી છે. ગેરેંટી-મુક્ત લોન મેળવવા માટે પાત્ર સાહસો માટે યુઆઈએન એટલે કે 16-અંકનો કોડ આપવો ફરજિયાત છે. બેંકો આ UIN નો ઉપયોગ વ્યવસાયની વિગતો ચકાસવા અને સીજીટીએમએસઈ-CGTMSE પોર્ટલ પર ગેરેંટી કવરેજ માટે અરજી કરવા માટે કરે છે.
ક્રેડિટ ગેરેંટી યોજના પ્રત્યેનો આ નબળો પ્રતિસાદ, ફ્લેગશિપ EPM હેઠળની જ અન્ય એક યોજના – ‘પ્રિ-એન્ડ-પોસ્ટ-શિપમેન્ટ ક્રેડિટ’ માટેની વ્યાજ સબવેન્શન (સહાય) યોજનાને મળેલા જોરદાર પ્રતિસાદથી બિલકુલ વિપરીત છે. જાન્યુઆરીમાં તેની શરૂઆત થઈ ત્યારથી, 8,459 નિકાસકારોએ વાર્ષિક નિકાસકાર દીઠ રૂ. 50 લાખ સુધીની લોન પર 2.75 ટકાની વ્યાજ સહાય મેળવવા માટે નોંધણી કરાવી છે. આ વ્યાજ સહાય યોજનાનું સંચાલન કરતી એક્ઝિમ બેંકે છેલ્લા છ મહિનામાં 20,000 થી વધુ UIN જનરેટ કરવામાં મદદ કરી છે.
આ ગેરેંટી-મુક્ત લોન યોજના ખાસ કરીને એમએસએમઈ (MSMEs) ને લક્ષ્ય બનાવીને શરૂ કરાઈ હોવાથી, તેના વિશેની જાગૃતિનો અભાવ અને જટિલ કાગળિયા (પેપરવર્ક) તેની ધીમી ગતિના સંભવિત કારણો છે. મોટી કંપનીઓની સરખામણીમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટેની સરકારી યોજનાઓ વિશે ઓછી જાગૃત હોય છે, અને તેમને જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરવા માટે વધુ માર્ગદર્શનની પણ જરૂર પડે છે.
ગયા અઠવાડિયે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ ઓફ ટ્રેડની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, ઉદ્યોગ સંગઠનો અને દેશભરના એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠક દરમિયાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ રાજ્ય સરકારોને આ યોજનાના પ્રમોશનમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા જણાવ્યું હતું. ડીજીએફટીએ રાજ્ય સરકારના અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ આ યોજનાનો ઉપયોગ વધારવા માટે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી અને સભ્ય ધિરાણ સંસ્થાઓ સાથે વાતચીત કરે છે. વાણિજ્ય મંત્રાલયે એવો પણ સુઝાવ આપ્યો છે કે રાજ્યના અધિકારીઓ પાત્રતા ધરાવતા નિકાસકારોમાં જાગૃતિ લાવવા માટે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર્સ અને એમએસએમઈ-ડિસ્ટ્રિક્ટ ફેસિલિટેશન ઓફિસ દ્વારા માહિતગાર કરવાના સત્રો યોજના જરૂરી છે.
ગેરેંટી-મુક્ત સહાય અને વ્યાજ સહાય બંને યોજનાઓ એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM) ના નાણાકીય સહાય સ્તંભ ‘નિર્યાત પ્રોત્સાહન’ હેઠળ શરૂ કરવામાં આવી છે. સરકારે કુલ છ વર્ષના રૂ. 10,401 કરોડના બજેટમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં નિર્યાત પ્રોત્સાહન માટે રૂ. 1,440 કરોડ ફાળવ્યા છે.
ધીમી ગતિના મુખ્ય મુદ્દા
- જાન્યુઆરીમાં યોજના શરૂ થયા પછી માત્ર 140 નિકાસકારોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું.
- ક્રેડિટ ગેરેંટી ફંડ ટ્રસ્ટ (CGTMSE) એ છ મહિનામાં માત્ર 159 UIN જનરેટ કર્યા.
- નિષ્ણાતોના મતે જાગૃતિનો અભાવ અને જટિલ કાગળિયા આ ધીમા પ્રતિસાદ માટે જવાબદાર છે.
- DGFT એ રાજ્ય સરકારોને યોજનાનો વપરાશ સુધારવા માટે બેન્કિંગ કમિટીઓ સાથે જોડાવા તાકીદ કરી.
