• 13 July, 2026 - 12:11 AM

માલની ખરીદી કરનાર વેપારીએ ભરેલા જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાનો રસ્તો ખોલી દેવાશે

માલની ખરીદી કરનાર વેપારીએ ભરેલા જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાનો રસ્તો ખોલી દેવાશે

સપ્લાયરની ભૂલનો ખરીદનાર વેપારીને દંડ નહિ થાય: નવા સૂચિત સુધારાનો મૂળભૂત ઉદ્દેશ સપ્લાયર્સ સરકારમાં ટેક્સ જમા ન કરાવે તો ખરીદદારોને તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગુમાવવાથી બચાવવાનો છે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લગતી કાયદાકીય નિષ્ણાતોની સમિતિએ સપ્લાયરની ભૂલ હોય કે સપ્લાયરનો ડિફોલ્ટ હોય તો તેની સામે ખરીદદારોના ઇનપુટ ટેક્સ ક્રેડિટને સુરક્ષિત રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી
દીધી છે. શુક્રવારે આ પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે.

જીએસટી કાઉન્સિલની કાયદા સમિતિએ મંજૂર કરેલા પ્રસ્તાવનો મૂળભૂત ઉદ્દેશ સપ્લાયર્સ સરકારમાં ટેક્સ જમા ન કરાવે તો ખરીદદારોને તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગુમાવવાથી બચાવવાનો છે.

આ પ્રસ્તાવ હેઠળ, ખરીદદારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સલામત અને સુરક્ષિત રહેશે. જો સપ્લાયરે બિલ બનાવ્યું હોય તો તેને પરિણામે તે ખરીદદારના જીએસટીઆર-2બીમાં દેખાતું હોય જ હોય. બીજીતરફ તેની પાસેથી માલની ખરીદી કરનારા એ સાબિત કરવા સક્ષમ હોય કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સહિતની ચૂકવણી બેંકિંગ ચેનલો અથવા અન્ય નિર્ધારિત પેમેન્ટ દસ્તાવેજો દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રકારના કિસ્સાઓમાં ટેક્સ સત્તાવાળાઓ ખરીદદારની ક્રેડિટ નકારવાને બદલે, ટેક્સ ન ચૂકવનાર ડિફોલ્ટર સપ્લાયર પાસેથી વસૂલાત માટેની કાર્યવાહી કરે તેવી જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓની લાગણી અને માગણી છે. કાયદા સમિતિના

આ પ્રસ્તાવને સૌ પ્રથમ ફિટમેન્ટ કમિટીએ મંજૂરી આપી હતી. ત્યારબાદ આ અઠવાડિયાના અંતમાં કાયદા સમિતિએ તેને મંજૂરી આપી હતી.

હવે આગામી થોડા અઠવાડિયામાં જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠક મળશે, ત્યારે આ પ્રસ્તાવ તેના સમક્ષ મૂકવામાં આવે તેવી અપેક્ષા છે, જીએસટીના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આ જ ઉદ્યોગ જગતની લાંબા સમયથી પેન્ડિંગ માંગણી હતી. આ પ્રસ્તાવને બંને સમિતિઓ દ્વારા પહેલેથી જ મંજૂરી આપી દેવામાં આવી છે.

એકવાર આ પ્રસ્તાવ પસાર થઈ ગયા પછી, તે આ ટેક્સ વ્યવસ્થા હેઠળના સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એકનું નિવારણ કરશે. આ પગલું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળની વર્તમાન સ્થિતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે.

હાલમાં, જો સપ્લાયર સરકારને ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વ્યવસાયોને જીએસટી સહિતની સંપૂર્ણ ઇન્વોઇસ કિંમત ચૂકવ્યા પછી પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરત ખેંચવા માટે કહી શકાય છે.

વેપારઉદ્યોગેદલીલ કરી છે કે વેચાણ પછી સપ્લાયરના ટેક્સ પાલન કરવા પર ખરીદદારોનું કોઈ નિયંત્રણ હોતું નથી. તેથી અન્ય કરદાતાની ભૂલનું પરિણામ ભોગવવાની ફરજ ખરીદદારને ન પાડવી જોઈએ. તેના પ્રત્યુત્તરમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે બોગસ ઇન્વોઇસ-નકલી બિલ અને ટેક્સ ચોરીના મોટી સંખ્યામાં સામે આવેલા કેસોને કારણે અગાઉ આ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જીએસટીઆર-2બી પાત્રતા ધરાવતી ઇનપુટ ટેક્સ ક્રેડિટનું સિસ્ટમ-જનરેટેડ સ્ટેટમેન્ટ છે. તેમાં હવે ઇનપુટ ટેક્સ ક્રેડિટની મેળવણી અને પાલન માટે મુખ્ય દસ્તાવેજ બની ગયું છે.તેઓ સપ્લાયરના રજીસ્ટ્રેશનની ચકાસણી કરી શકે છે અને જીએસટીઆર-2બીના માધ્યમથી બિલની મેળવણી કરી શકે છે, પરંતુ સપ્લાયર્સ ગ્રાહકો પાસેથી ઉઘરાવેલો ટેક્સ પાછળથી જમા કરાવે છે કે નહીં તેના પર ધ્યાન રાખવાનો તેમની પાસે કોઈ વ્યવહારુ રસ્તો નથી.

આ સ્થિતિમાં બેંકિંગ ચેનલો દ્વારા ચૂકવણીનો યોગ્ય પુરાવો મળી જતો હોય તો તે એ વાતનો ઉદ્દેશ્યપૂર્ણ પુરાવો પૂરો પાડી શકશે. આ પુરાવો મળતાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા મથી રહેલા વેપારી કે ખરીદદારે સદભાવનાપૂર્વક કામ કર્યું હોવાનું પ્રસ્થાપિત કરી શકાય છે અને વ્યવહાર હેઠળ તેની જવાબદારીઓ પૂરી કરી છે, તેથી ઘણા સાચા કિસ્સાઓને મદદ મળશે.

 

Read Previous

યોગ્ય નોકરીઓનો અભાવ મહિલાઓની રોજગારીને મર્યાદિત કરે છે

Read Next

લાંબા ગાળાના રોકાણકારો એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના આઈપીઓમાં રોકાણ કરી શકે

Most Popular