નવા પેટ્રોલ વાહનોના ૧૦ માંથી ૬ માલિકોએ માઇલેજમાં ૧૦ ટકાથી વધુ ઘટાડો થયાની ફરિયાદ કરી
પ્રતીકાત્મક તસવીર
વાહનો માટેના ઇંધણની ગુણવત્તામાં સંભવિત ખામી તરફ વાહનના માલિકોએ ધ્યાન દોર્યું
અમદાવાદઃ ૨૦૨૩-૨૪ માં ખરીદેલા પેટ્રોલ વાહનોના લગભગ ૧૦ માંથી ૬ માલિકોએ અહેવાલ આપ્યો છે કે ૨૦૨૫ ની શરૂઆતથી તેમના વાહનો ૧૦ ટકાથી વધુ ઓછી ઇંધણ કાર્યક્ષમતા (માઇલેજ) આપી રહ્યા છે. આ પરિસ્થિતિને પગલે ‘લોકલસર્કલ્સ’ નામની સંસ્થા દ્વારા ઇંધણ પુરવઠા શૃંખલામાં પેટ્રોલની સંભવિત ભેળસેળ અથવા દૂષિતતા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ તારણો ૨૭૭ જિલ્લાઓમાં ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન ખરીદેલા પેટ્રોલ વાહનોના ૨૨,૦૦૦ થી વધુ માલિકો પર કરવામાં આવેલા લોકલસર્કલ્સના સર્વેક્ષણ પર આધારિત છે. અહેવાલ અનુસાર, ૫૯% ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેમના વાહનોની માઇલેજમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે દર ચારમાંથી એક વ્યક્તિએ ૨૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો છે.
આ સામુદાયિક પ્લેટફોર્મે દલીલ કરી હતી કે ઇંધણ કાર્યક્ષમતામાં આટલો મોટો ઘટાડો માત્ર ૨૦ ટકા ઇથેનોલ ધરાવતા ‘E20’ પેટ્રોલના ઉપયોગથી સમજાવી શકાય નહીં. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે માઇલેજ પર E20 ઇંધણની અસર આશરે ૩ ટકાથી ૫ ટકાની જ હોવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે અન્ય અભ્યાસોએ નિયંત્રિત પરિસ્થિતિઓમાં ૧ ટકાથી ૬ ટકાના નુકસાન તરફ ઈશારો કર્યો છે.
અહેવાલમાં રજૂ કરવામાં આવેલા તારણ મુજબ આ સર્વે ઇંધણની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે કારણ કે આ સર્વેમાં સામેલ વાહનો ભારતના રસ્તાઓ પર દોડતા સૌથી નવા વાહનોમાંના છે અને તેઓ ઊંચા ઇથેનોલ મિશ્રણ પર ચાલવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. લોકલસર્કલ્સે જણાવ્યું હતું કે માઇલેજમાં આટલા મોટા પાયે થયેલો ઘટાડો વાહનની સામાન્ય જૂની થવાની પ્રક્રિયાને બદલે ઇંધણ પુરવઠાની શૃંખલામાં ક્યાંક ભેળસેળ અથવા પ્રદૂષણની સંભાવના તરફ નિર્દેશ કરે છે.
આ અહેવાલમાં ૨૦૨૩ પહેલા બનેલા પેટ્રોલ વાહનોના માલિકોના પ્રતિભાવો સાથે પણ સરખામણી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે જૂના પેટ્રોલ વાહનોના ૬૬ ટકા માલિકોએ પણ માઇલેજમાં ૧૦ ટકાથી વધુ ઘટાડો નોંધાવ્યો છે, જે દર્શાવે છે કે આ સમસ્યા તમામ કેટેગરીના વાહનોમાં છે અને તે વાહનની ઉંમર કે ડિઝાઈન સાથે સંબંધિત નથી.
૨૦૨૩-૨૪ ના પેટ્રોલ વાહનોના માલિકોમાંથી:
- ૨૫ ટકા માલિકોએ ૨૦ ટકા થી વધુ માઇલેજ ઘટાડો નોંધાવ્યો.
- ૧૬ ટકા માલિકોએ ૧૫ ટકાથી ૨૦ ટકા નો ઘટાડો નોંધાવ્યો.
- ૧૮ ટકા માલિકોએ ૧૦ ટકાથી -૧૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો.
- ૫ ટકા માલિકોએ ૫ટકાથી ૧૦ ટકાનો ઘટાડો અનુભવ્યો.
- ૮ ટકા માલિકોએ ૧થી ૨ ટકાનો આંશિક ઘટાડો નોંધાવ્યો.
- માત્ર ૧૮ ટકકા ઉત્તરદાતાઓએ ઇંધણ ક્ષમતામાં કોઈ ફેરફાર ન હોવાનું જણાવ્યું, જ્યારે ૧૦ ટકા લોકો આ અસરનું મૂલ્યાંકન કરવામાં અસમર્થ હતા.
આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલની અસરો અંગે ચર્ચા ચાલી રહી છે. ભારતે તેના મૂળ લક્ષ્યાંક કરતાં કેટલાંક વર્ષો વહેલા, એપ્રિલ ૨૦૨૫ થી દેશભરમાં E20 પેટ્રોલ લાગુ કર્યું હતું. ત્યારથી, વાહનચાલકોએ ઘટેલી માઇલેજ અને કાર્યક્ષમતા અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ ઇંધણ મિશ્રણ કાર્યક્ષમતામાં મર્યાદિત ઘટાડો કરે છે અને એન્જિનને વ્યાપક નુકસાન થવાના દાવાઓને ફગાવી દીધા છે. આ સાથે જ, કેન્દ્ર સરકારે રાજ્યોને ઇંધણમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવા અને ઇથેનોલ-મિશ્રિત ઇંધણ પુરવઠા શૃંખલામાં ગુણવત્તાના ધોરણો જાળવી રાખવા નિર્દેશ આપ્યો છે.
લોકલસર્કલ્સે જણાવ્યું હતું કે ઇથેનોલના વધુ પડતા મિશ્રણ પાછળ આર્થિક પ્રલોભનો હોઈ શકે છે કારણ કે સરકારના બ્લેન્ડિંગ પ્રોગ્રામ હેઠળ સપ્લાય કરવામાં આવતા ઇથેનોલની કિંમત છૂટક પેટ્રોલ કરતાં ઘણી ઓછી છે. ઇથેનોલ પેટ્રોનની તુલનામાં પ્રતિ લિટર ઓછી ઉર્જા ધરાવતું હોવાથી, નિર્ધારિત મર્યાદાથી વધુ બ્લેન્ડિંગ કરવાથી વાહનની માઇલેજ ઘટી શકે છે. આ બાબત રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપો) પર પરંપરાગત ઇંધણ ગુણવત્તા તપાસ દ્વારા શોધી કાઢવી મુશ્કેલ છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે કેરોસીન અથવા સોલ્વન્ટની ભેળસેળ શોધવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા હાલના ફિલ્ડ ટેસ્ટ વધુ પડતા ઇથેનોલને ઓળખવા માટે સક્ષમ નથી. તેણે ભારતીય ધોરણો હેઠળ નિર્ધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરીને પેટ્રોલ પંપો પર ઇથેનોલના પ્રમાણની નિયમિત તપાસ કરવા અને જ્યાં જરૂરી હોય ત્યાં પ્રયોગશાળા વિશ્લેષણ કરવાની માંગ કરી છે.
લોકલસર્કલ્સે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રિટેલ ઇંધણના નમૂનાઓમાંથી ઇથેનોલ મિશ્રણની સુસંગતતા પરનો ડેટા પ્રકાશિત કરવા અને વાસ્તવિક મિશ્રણના જથ્થા સાથે ઇથેનોલની હિલચાલનો મેળ મેળવવા વિનંતી કરી છે જેથી કોઈ પણ પ્રકારનું ઓવર-બ્લેન્ડિંગ અથવા ગેરરીતિ પકડી શકાય. સંસ્થાએ જણાવ્યું હતું કે તેઓ આ સર્વેક્ષણના તારણો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને અન્ય સત્તાવાળાઓને સબમિટ કરશે, અને વાહનના પ્રદર્શન પર E20 પેટ્રોલની અસર વિશે કોઈ આખરી તારણ પર પહોંચતા પહેલા ઇંધણની ગુણવત્તાની વિગતવાર તપાસની માંગ કરશે.
આ સર્વેક્ષણમાં દેશના ૨૭૭ જિલ્લાના ઉત્તરદાતાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં ૪૨% ટાયર-૧ શહેરોમાંથી, ૩૦% ટાયર-૨ સ્થળોમાંથી અને બાકીના ૨૮% ટાયર-૩, ટાયર-૪, ટાયર-૫ અને ગ્રામીણ જિલ્લાઓમાંથી હતા. લોકલસર્કલ્સના જણાવ્યા અનુસાર, તમામ સહભાગીઓ તેમના પ્લેટફોર્મ પર નોંધાયેલા વપરાશકર્તાઓ હતા.
