• 25 July, 2026 - 3:01 AM

ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરથી નાના ઉદ્યોગોને મોટો ફટકો, ઉત્પાદન ખર્ચમાં વધારો થયો

ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરથી નાના ઉદ્યોગોને મોટો ફટકો, ઉત્પાદન ખર્ચમાં વધારો, નાના ઉદ્યોગોની મોટી સમસ્યા

દેશમાં અમલમાં મૂકવામાં આવેલા મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર મોટા ઉદ્યોગોની સરખામણીએ નાના ઉદ્યોગોને વધુ અસર કરી રહ્યા છે અને સમગ્ર સપ્લાય ચેઇનમાં ખર્ચ વધારી રહ્યા છે. આ તારણ સેન્ટર ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા વર્કિંગ પેપરમાં રજૂ કરવામાં આવ્યું છે. આયોજન પંચના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ, જે બાદમાં રચાયેલા નીતિ આયોગના પૂર્વગામી હતા, તથા હાલમાં સેન્ટર ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસના ડિસ્ટિંગ્વિશ્ડ ફેલો મોન્ટેક સિંહ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે મધ્યવર્તી – કાચા માલના ઉત્પાદનો પર લાગુ કરાયેલા ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરથી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને નુકસાન થાય છે. CSEP દ્વારા આયોજિત ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરની શરૂઆત ગુણવત્તાના નિયમોના નામે સંરક્ષણવાદી પગલાં તરીકે થઈ હતી.

તેમણે ઉદ્યોગોને પણ અપીલ કરી હતી કે સરકાર કોઈ નીતિ અંતિમ સ્વરૂપ આપે તે પહેલાં જ તેઓ વધુ સક્રિય રીતે સરકાર સાથે ચર્ચા કરે. સેન્ટર ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસના અભ્યાસ મુજબ, નાના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતા ઇનપુટ્સ પર લાગુ કરાયેલા ક્વોલિટી કન્ટ્રોલ નિયમોની ઉત્પાદન અને ગ્રોસ વેલ્યૂ એડિશન પર નોંધપાત્ર અસર જોવા મળી નથી. પરંતુ ઊંચા ખર્ચના ભારને કારણે તેમની નફાકારકતામાં 47.6 ટકા ઘટાડો નોંધાયો છે.મોટા ઉદ્યોગોમાં ઇનપુટ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના  અમલથી ઉત્પાદન મૂલ્યમાં 9.6 ટકાનો વધારો જોવા મળ્યો, જે ઉત્પાદનોની ઊંચી કિંમતો ગ્રાહકો પર પસાર કરવામાં આવી હોવાનો સંકેત આપે છે.

પરિણામે મોટા ઉદ્યોગોના GVAમાં 37 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અભ્યાસના લેખકોને જાણવા મળ્યું કે આઉટપુટ ઉત્પાદનો પર લાગુ કરવામાં આવેલા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરને કારણે ગ્રોસ વેલ્યુ એડિશનમાં 44 ટકા અને નફામાં 58.9 ટકાનો ઘટાડો થયો, જ્યારે મોટા ઉદ્યોગોની કાર્યક્ષમતા અને નફાકારકતા પર તેની નોંધપાત્ર અસર જોવા મળી નથી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા અમલમાં મૂકાયેલા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. તે પહેલાં સ્વૈચ્છિક રહેલા ધોરણોને ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. આ નિયમો હેઠળ સ્થાનિક ઉત્પાદકો અને આયાતકારો બંનેએ પોતાના ઉત્પાદનો બજારમાં વેચાણ કરતાં પહેલાં તમામ પરીક્ષણ અને પ્રમાણપત્રની આવશ્યકતાઓ પૂર્ણ કરવી ફરજિયાત છે. QCOના દાયરામાં આવતા ઉત્પાદનોની સંખ્યા 2019માં 88 હતી, જે વધીને 2024માં 765 થઈ ગઈ છે. તેમાં મોટાભાગના ઉત્પાદનો મધ્યવર્તી માલ અથવા કાચા માલ છે.

ગયા વર્ષના અંતમાં ત્રણ ક્ષેત્રોના 14-ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર પાછા ખેંચવામાં આવ્યા હતા. ગયા મહિને ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગે રમકડાં, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, એર કન્ડિશનર અને ફૂટવેર સહિતની 10 વસ્તુઓના ઉત્પાદકોને ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરનું સંપૂર્ણ પાલન કર્યા વગર પણ ગુણવત્તાના ધોરણો સુનિશ્ચિત કરવાનો વૈકલ્પિક માર્ગ આપ્યો હતો. આ વ્યવસ્થા ઉત્પાદકો ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરનું સંપૂર્ણ પાલન કરી શકે ત્યાં સુધીના સંક્રાંતિ-ટ્રાન્ઝિશન સમયગાળા માટે કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં હાજર સેમસંગના પબ્લિક અફેર્સ ડિરેક્ટર શરત ચંદરએ રેફ્રિજરેટરનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે માત્ર તૈયાર ઉત્પાદન જ નહીં, પરંતુ સ્ટીલ, તાંબુ, કોમ્પ્રેસર, કાચ અને ફાસ્ટનર્સ જેવા તેના વિવિધ ઘટકો પર પણ અલગ-અલગ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર લાગુ પડે છે. તેમણે જણાવ્યું કે જો ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરનો ઉપયોગ બિન-ટેરિફ વેપાર અવરોધ તરીકે આયાતને મર્યાદિત કરવા માટે કરવામાં આવશે, તો બજાર થોડાક જ સપ્લાયરો પર નિર્ભર બની જશે. સમય જતાં તે ભારતની ભાવ આધારિત સ્પર્ધાત્મકતાને અસર કરી શકે છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં એવા ઘણા જાણીતા ઉદ્યોગોના ઉદાહરણો છે જ્યાં ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર લાગુ નહોતા છતાં ભારત વૈશ્વિક સ્તરે મોટો ઉત્પાદક અને નિકાસકાર બન્યું છે.તે જ કાર્યક્રમમાં નીતિ આયોગના ઇન્ડસ્ટ્રી અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમના ડિરેક્ટર ઇશ્તિયાક અહમદે જણાવ્યું કે જ્યારે મંત્રાલય દ્વારાક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર જાહેર કરવામાં આવે છે ત્યારે તે ફરજિયાત બની જાય છે અને ત્યાંથી મોટાભાગની સમસ્યાઓ ઊભી થાય છે.

તેમણે જણાવ્યું કે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, ઇનપુટ ખર્ચમાં વધારો અને પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ફાઉન્ડેશન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટના સ્થાપક-નિર્દેશક રાહુલ અહલુવાલિયાએ જણાવ્યું કે ભારતનો તુલનાત્મક લાભ ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગમાં છે, જ્યાં બજારની તકો અપસ્ટ્રીમ કોમ્પોનેન્ટ ઉત્પાદન કરતાં ઘણી મોટી છે. તેમણે કહ્યું કે સસ્તા મધ્યવર્તી માલની ઉપલબ્ધતા પર નિયંત્રણ મૂકવાથી ઉત્પાદન ખર્ચ વધે છે, સ્પર્ધાત્મકતા ઘટે છે અને અંતે ઉત્પાદકો, ગ્રાહકો તથા સમગ્ર અર્થતંત્રને નુકસાન થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્થાનિક ઉત્પાદન વધારવાથી થતા લાભોની સામે તેની આર્થિક કિંમતનું પણ મૂલ્યાંકન કરવું જરૂરી છે. સેન્ટર ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસના વર્કિંગ પેપરમાં ભલામણ કરવામાં આવી છે કે નવા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર માત્ર ગુણવત્તાના આધારે જ લાદવામાં આવે અને તેના હેતુઓ સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવશે.

Read Previous

વીમા પોલીસી પર લોન પૈસાની જરૂરિયાત સંતોષવા સાથે લાંબા ગાળાનું જીવન વીમા રક્ષણ પણ યથાવત રાખે છે

Most Popular