• 2 August, 2026 - 7:42 AM

વીમા કંપનીઓએ 7 દિવસમાં જવાબ ન આપે તો વીમા લોકપાલ એકતરફી આદેશ કરી દેશે: IRDAI

વીમા કંપનીઓએ 7 દિવસમાં જવાબ ન આપે તો વીમા લોકપાલ એકતરફી આદેશ કરી દેશે: IRDAI

 નિયમનું પાલન કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં ઉપલબ્ધ રેકોર્ડના આધારે એકતરફી નિર્ણય લેવામાં આવી શકે છે.

વીમા ફરિયાદોના નિકાલમાં થતા વિલંબને ઘટાડવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI) એ વીમા કંપનીઓને વીમા લોકપાલ કાર્યાલયમાં દસ્તાવેજો સબમિટ કરવા માટેના સમયમર્યાદાનું સખતપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. નિયમનકારે ચેતવણી આપી છે કે આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં ઉપલબ્ધ રેકોર્ડના આધારે એકતરફી નિર્ણય લેવામાં આવી શકે છે.

નિયમનકારે વીમા કંપનીઓને વીમા લોકપાલ તરફથી નોટિસ મળ્યાના સાત દિવસની અંદર તમામ સહાયક દસ્તાવેજો સાથે સેલ્ફ-કન્ટેઇન્ડ નોટ્સ સબમિટ કરવા જણાવ્યું છે. ત્યારબાદ માંગવામાં આવેલી કોઈ પણ વધારાની માહિતી કે દસ્તાવેજો ત્રણ દિવસમાં રજૂ કરવાના રહેશે.

ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા ઇરડાઈના સર્ક્યુલરમાં વીમા કંપનીઓને ટુકડે-ટુકડે મોકલવાને બદલે તમામ જરૂરી માહિતી અને દસ્તાવેજો ‘એક જ વારમાં’ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નિયમનકારે જણાવ્યું હતું કે આ પ્રકારની પદ્ધતિ પોલિસીધારકોની ફરિયાદોના ઉકેલમાં વિલંબ માટે જવાબદાર રહી છે. ઇરડાઈએ વીમા કંપનીઓને આ સર્ક્યુલરની તારીખથી 30 દિવસની અંદર વીમા લોકપાલ કાર્યાલયોમાંથી સેલ્પ કન્ટેન્ટેન્ડેડ નોટ્સ અને  વધારાની માહિતી અને દસ્તાવેજો માટેની તમામ બાકી વિનંતીઓનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થાય છે કે વીમા કંપનીઓને પાલન કરવા માટે 22 ઓગસ્ટ 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ સર્ક્યુલરમાં સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ વીમા લોકપાલ કાર્યાલયોને શક્તિ આપે છે કે જો વીમા કંપનીઓ આ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેઓ એકતરફી કાર્યવાહી કરી શકે છે. ઇરડાઈએ એ જણાવ્યું હતું કે જ્યાં વીમા કંપની નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરતી નથી, ત્યાં સંબંધિત લોકપાલ કાર્યાલય ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેન રૂલ્સ, 2017 હેઠળ નિર્ધારિત સમયમર્યાદાનું પાલન કરવા માટે, વધુ કોઈ પણ વિલંબ કર્યા વિના રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રીના આધારે બાબતનો નિર્ણય કરશે.

આ પગલાથી વીમા કંપનીઓ દ્વારા દસ્તાવેજો રોકી રાખીને અથવા હપ્તામાં સબમિટ કરીને કાર્યવાહીમાં વિલંબ કરવાની વૃત્તિ પર અંકુશ આવવાની ધારણા છે. નિયમનકારે જણાવ્યું હતું કે તાજેતરના ઓરિએન્ટેશન પ્રોગ્રામ દરમિયાન વીમા લોકપાલ સાથેની વાતચીત પછી આ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે, જેમાં બહાર આવ્યું હતું કે વીમા કંપનીઓ દ્વારા સેલ્ફ-કન્ટેઇન્ડ નોટ્સ (SCNs), સપોર્ટિંગ દસ્તાવેજો અને વધારાની માહિતી સબમિટ કરવામાં ‘અતિશય વિલંબ’ કરવામાં આવે છે. તેણે એ પણ નોંધ્યું છે કે વીમા કંપનીઓ અવારનવાર દસ્તાવેજો ટુકડે-ટુકડે પૂરા પાડે છે, જેના પરિણામે પોલિસીધારકો અને લાભાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદોના નિકાલમાં વિલંબ થાય છે.

IRDAI ના જણાવ્યા અનુસાર, ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેન રૂલ્સ, 2017 હેઠળ કલ્પના કરાયેલ 90-દિવસની મુદતમાં લોકપાલ ફરિયાદોની તપાસ કરે અને નિર્ણયો આપે તે માટે સમયસર દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે. આ સર્ક્યુલરથી લોકપાલની કાર્યવાહીમાં થતા વિલંબ અંગે વારંવાર સવાલો ઉઠાવતા પોલિસીધારકોને રાહત મળવાની શક્યતા છે. વીમા કંપનીઓ માટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરીને અને બિન-પાલનના કિસ્સામાં એકતરફી નિર્ણય લેવાની મંજૂરી આપીને, IRDAI એ વીમા લોકપાલ સિસ્ટમની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ગ્રાહકોની ફરિયાદોનો ઝડપી ઉકેલ નિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. નિયમનકારે જણાવ્યું હતું કે આ નિર્દેશો સક્ષમ અધિકારીની મંજૂરીથી જારી કરવામાં આવ્યા છે અને પુનઃવીમાકર્તા (reinsurers) સિવાય તમામ વીમાકર્તાઓને લાગુ પડે છે.

Read Previous

GST કલેક્શન જુલાઈમાં 15.4% વધીને રૂ. 2.11 લાખ કરોડ થયું

Read Next

બેન્ચમાર્ક ઈન્ડેક્સ પ્રતિકાર સપાટીને તોડીને વધુ ઉપર જવાની શક્યતા છે

Most Popular