• 18 September, 2026 - 9:54 AM

અમેરિકાના સો ટકા ટેરિફના બિલના ગુજરાત અને ભારતના નિકાસકારો પર કેવી અસર પડી શકે છે

અમેરિકાના નવા બિલથી ગુજરાતના નિકાસકારોની ઊંઘ ઉડી જશે સો ટકા ટેરિફ લાદે તો ગુજરાત પર મોટો ખતરો
અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જો રશિયા પરના નવા પ્રતિબંધિત બિલ પર હસ્તાક્ષર કરીને તેને અમલમાં મુકશે, તો ભારતથી અમેરિકામાં થતી નિકાસ પર સો ટકા-૧૦૦ ટકા સુધીનો જંગી ટેરિફ લાગી શકે છે. આ નિર્ણયની સીધી અને ગંભીર અસર ગુજરાતના નિકાસ આધારિત અર્થતંત્ર પર પડી શકે છે. ગુજરાત દેશના કુલ નિકાસમાં અગ્રેસર રાજ્ય હોવાથી અમેરિકા દ્વારા લેવાનારા આ આકરા નિર્ણયથી ગુજરાતથી અમેરિકા ખાતે રવાના થતા અબજો ડોલરના માલસામાનના શિપમેન્ટ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ દંડ સ્વરૂપે ટેરિફ ઝીંકવાની આ જોગવાઈથી ખાસ કરીને ગુજરાતના પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે મોટો સવાલ ઊભો થયો છે.
ગુજરાતમાંથી અમેરિકા તરફ થતી નિકાસમાં સૌથી મોટો હિસ્સો રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ્સ અને ગારમેન્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી (હીરા ઉદ્યોગ), ફાર્માસ્યુટિકલ્સ તેમજ કેમિકલ્સ સેક્ટરનો છે. જો ૧૦૦ ટકા ટેરિફ અમલી બને તો ગુજરાતના આ મુખ્ય ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા વૈશ્વિક બજારમાં સાવ તળિયે બેસી જશે. તેમાંય ખાસ કરીને સુરતનો ડાયમંડ ઉદ્યોગ અને જામનગર-ભરૂચ બેલ્ટના કેમિકલ-પેટ્રોકેમિકલ્સ એકમો માટે આંતરરાષ્ટ્રીય ઓર્ડર જાળવી રાખવા અશક્ય બની જશે, કારણ કે ભાવ ડબલ થઈ જતાં અમેરિકાના આયાતકારો અન્ય દેશો તરફ વળી શકે છે.

માત્ર ટેક્સટાઈલ અને જેમ્સ-જ્વેલરી ક્ષેત્રે જ ગુજરાતની અમેરિકા ખાતેની વાર્ષિક નિકાસમાં આશરે રૂ. ૩૫,૦૦૦ થી ૫૦,૦૦૦ કરોડનો સીધો ઘટાડો આવી શકે છે.

ગુજરાતના ટેક્સટાઈલ અને ડાયમંડ-જ્વેલરી સેક્ટર પર સંભવિત અસરઃ ગુજરાતના શ્રમ સઘન એટલે કે સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઈલ અને જેમ્સ એન્ડ જ્વેલરી પર પડશે. આ બંને ક્ષેત્રો માટે અમેરિકા સૌથી મોટું અને નફાકારક બજાર છે. અમેરિકી બજારમાં ભારતીય કાપડ પર હાલમાં સામાન્ય રીતે ૮થી ૧5 ટકા જેટલી કસ્ટમ ડ્યુટી લાગે છે. જો આ ડ્યુટી વધારીને ૧૦૦ ટકા કરી દેવામાં આવે, તો ગુજરાતના કાપડ ઉત્પાદનો અમેરિકાના બજારમાં બસો ટકા મોંઘા થઈ જશે. અમદાવાદના નારોલ, વટવા અને ગારમેન્ટ ઝોનમાંથી અમેરિકાના મોટા રિટેલ બ્રાન્ડ્સ એટલે કે વૉલમાર્ટ, ટાર્ગેટ અને ગેપને કોટન ગારમેન્ટ્સ, ડેનિમ અને લેડીઝ વેરનો મોટો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સો ટકા ટેરિફ લાગતાં જ અમેરિકી ખરીદદારો ભારતમાંથી ઓર્ડર રદ કરીને બાંગ્લાદેશ, વિયેતનામ, પકિસ્તાન કે કેમ્બોડિયા તરફ વળી જશે, કારણ કે આ દેશો પર આવા કોઈ પ્રતિબંધો નથી.

રોજગારી પર સંકટ: ગારમેન્ટિંગ એમ્પ્લોયમેન્ટ-ઓરિએન્ટેડ ક્ષેત્ર છે. ઓર્ડર ઘટવાથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લાખો પ્રોડક્શન વર્કર્સ અને મહિલા કારીગરોની રોજીરોટી જોખમાઈ શકે છે.

ટેકનિકલ ટેક્સટાઈલ: ગુજરાતના સુરત, નવસારી અને અંકલેશ્વર બેલ્ટમાં ટેકનિકલ ટેક્સટાઈલના પ્રોડક્ટ્સ ખાસ્સા તૈયાર કરવામાં આવે છે અને તેની નિકાસ પણ કરવામાં આવે છે ગુજરાત મેડ-મેડ ફાઈબર, સ્પેશિયાલિટી ફેબ્રિક્સ, નોન-વોવન ફેબ્રિક, મેડિકલ ટેક્સટાઈલ અને ઈન્ડસ્ટ્રિયલ ફેબ્રિક્સનું મોટું ઉત્પાદક છે. ટેકનિકલ ટેક્સટાઈલમાં માર્જિન ઓછું અને વોલ્યુમ વધારે હોય છે. ૧૦૦ ટકા ટેરિફના કારણે ગુજરાતના પ્રોડક્ટ્સ વૈશ્વિક માર્કેટમાંથી સીધા જ બહાર ફેંકાઈ જશે. સુરતના મેન મેડ ફાઈલર સેક્ટરની વાત કરીએ તો સુરત મુખ્યત્વે સિન્થેટિક કાપડ અને પ્રોસેસિંગ માટે જાણીતું છે. યુએસ સપ્લાય ચેઈન તૂટવાથી સ્થાનિક કાપડ મિલો અને પાવરલૂમ એકમોમાં ઓવર-સપ્લાય થતાં કાપડના ભાવ સ્થાનિક બજારમાં પણ તળિયે બેસી જવાની ભીતિ છે.

 સુરતનો ડાયમંડ ઉદ્યોગ અને સોના-ચાંદીના દાગીના પર અસર

સુરતમાં વિશ્વના આશરે ૯૦ ટકા હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે, અને અમેરિકા પોલિશ્ડ ડાયમંડ અને જ્વેલરીનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. સુરતથી અમેરિકા ખાતે વાર્ષિક અબજો ડોલરના હીરાની સીધી અથવા મુંબઈ મારફતે નિકાસ થાય છે. સો ટકા ટેરિફ લાગવાના કિસ્સામાં અમેરિકામાં ભારતીય હીરા ખરીદવા ડબલ કિંમતે જ પડશે. સુરત હાલમાં લેબ-ગ્રોન (કૃત્રિમ) ડાયમંડનું ગ્લોબલ હબ બની રહ્યું છે, જેનો મુખ્ય ખરીદદાર અમેરિકાનો યુવા વર્ગ છે. ડ્યુટી વધતાં આ ઉગતા ઉદ્યોગને શરૂઆતમાં જ મોટો ફટકો પડશે. અમેરિકા અગાઉથી જ રશિયાની કંપની ‘અલરોસા’ના રફ ડાયમંડ પર પ્રતિબંધ લાદી ચૂક્યું છે. રશિયન ઓઈલ મુદ્દે આ નવું સૅંક્શન્સ બિલ અમલી બને, તો સુરતના એવા ડાયમંડ યુનિટ્સ પર કડક ચકાસણી આવશે જે રશિયન રફ પ્રોસેસ કરે છે.

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને નિકાસ એકમો પર પણ અસર પડશે. સુરત અને અમદાવાદના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી અમેરિકા માટે પ્લેન ગોલ્ડ, સ્ટડ્ડ જ્વેલરી અને સિલ્વર જ્વેલરી તૈયાર થાય છે. સો ટકા ટેરિફ લાગવાથી તેની નિકાસ ઘટી શકે છે. તેનો સીધો ફાયદો ચીન અને થોઈલેન્ડને મળી શકે છે. સોના-ચાંદીના દાગીના પર ૧૦૦ ટકા ટેરિફ લાગવાથી અમેરિકી આયાતકારો થાઈલેન્ડ, વિયેતનામ કે ઈટલી જેવા દેશોમાંથી ખરીદી શરૂ કરશે, જેનાથી ગુજરાતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ બંધ થવાના આરે આવી શકે છે. માત્ર ટેક્સટાઈલ અને જેમ્સ-જ્વેલરી ક્ષેત્રે જ ગુજરાતની અમેરિકા ખાતેની વાર્ષિક નિકાસમાં આશરે રૂ. ૩૫,૦૦૦ થી ૫૦,૦૦૦ કરોડનો સીધો ઘટાડો આવી શકે છે. સુરત ડાયમંડ ઈન્ડસ્ટ્રીના આશરે ૭ લાખ અને ગુજરાત ટેક્સટાઈલ સેક્ટરના આશરે ૧૫ લાખથી વધુ કારીગરો કે મજૂરો પર આંશિક કે પૂરી બેરોજગારીનું જોખમ ઊભું થઈ શકે છે. GTRI રિપોર્ટ (૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬) અનુસાર, જો ૧૦૦% ટેરિફ લાદવામાં આવે તો અમેરિકા ખાતે થતી ભારતની આશરે $૮૫-૯૦ બિલિયનની વાર્ષિક મર્ચેન્ડાઇઝ નિકાસમાંથી $૩૦ થી $૪૦ બિલિયન જેટલી નિકાસ સીધી જોખમાઈ શકે છે. ગુજરાત ભારતની કુલ નિકાસમાં આશરે ૨૫-૩૦% હિસ્સો ધરાવે છે. જો યુએસ સાથેનો વેપાર ઠપ થાય, તો ગુજરાતની વાર્ષિક $૧૧૬.૩૩ બિલિયનની વૈશ્વિક નિકાસમાંથી માત્ર યુએસ માર્કેટ સંબંધિત નિકાસમાં રૂ. ૭૦,૦૦૦ કરોડથી રૂ. ૧ લાખ કરોડનો સંભવિત ઘટાડો આવી શકે છે.

ગુજરાતના મુખ્ય નિકાસ સેક્ટર્સ
પેટ્રોલિયમ અને રિફાઇનરીઝ: જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઝ રશિયન ક્રૂડ પ્રોસેસ કરીને યુરોપ અને અમેરિકામાં નિકાસ કરતી આવી છે. ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લાગવાથી આ ક્ષેત્રની માર્જિન અને નિકાસ વોલ્યુમ પર સીધો મોટો ફટકો પડશે.
ટેક્સટાઇલ અને ગારમેન્ટ્સ: અમદાવાદ અને સુરત જેવા ટેક્સટાઇલ હબમાંથી અમેરિકા ખાતે થતી રેડીમેડ કપડાંની નિકાસ પર પ્રોટેક્શનિસ્ટ ટેરિફ વાગતાં બાંગ્લાદેશ કે વિયેતનામ જેવા દેશો સામે સ્પર્ધા કરવી કઠિન બનશે.
જેમ્સ એન્ડ જ્વેલરી: સુરતના હીરા ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે. જો ટેરિફ લાદવામાં આવે તો પોલિશ્ડ ડાયમંડની માગમાં તીવ્ર ઘટાડો આવી શકે છે, જેનાથી સ્થાનિક રોજગારી પર પણ જોખમ ઊભું થશે.
ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ: ગુજરાતનું ફાર્મા સેક્ટર અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની માન્યતા પ્રાપ્ત જેનેરિક દવાઓનો મોટો પુરવઠો પૂરો પાડે છે. સો ટકા ટેરિફના કિસ્સામાં દવાઓ અને સ્પેશિયાલિટી કેમિકલ્સના અમેરિકાના ઓર્ડર રદ થવાની શક્યતા વધી જશે.
સો ટકા ટેરિફ પૂરેપૂરો અમલમાં મૂકાય તો ભારતની અમેરિકા ખાતેની અબજો ડોલરની નિકાસ પર અસર પડી શકે છે. તેમાં ગુજરાતનો સિંહફાળો છે, તેમાં ખૂબ જ મોટો અને અભૂતપૂર્વ ઘટાડો આવવાની પૂરતી ક્ષમતા રહેલી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશ પોતાની ઉર્જા સુરક્ષા અને વેપારી હિતો રક્ષવા કટિબદ્ધ છે અને આવા પ્રતિબંધોથી દ્વિપક્ષીય સંબંધો પર પણ વિપરીત અસર પડશે. આ બિલ અમલમાં આવે તો તેની સૌથી આકરી વિપરીત અસર ભારત અને વિશેષ કરીને દેશના ‘નિકાસ એન્જિન’ ગણાતા ગુજરાત પર પડશે. ગુજરાત ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સના આંકડા મુજબ વાર્ષિક આશરે $૧૧૬.૩૩ બિલિયન એટલે કે રૂ. ૯.૮૩ લાખ કરોડની કુલ વૈશ્વિક નિકાસ કરે છે, જેમાં અમેરિકા તેનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.
ટેરિફથી બચવા અન્ય રૂટ કે વિકલ્પો છે?
અમેરિકી સૅંક્શન્સ અને ટેરિફના કડક નિયમો (Rules of Origin) ના કારણે થર્ડ-કન્ટ્રી (ત્રીજા દેશ) મારફતે રી-રૂટિંગ કરીને નિકાસ કરવાનો વિકલ્પ અત્યંત જોખમી અને વ્યવહારિક રીતે મુશ્કેલ છે. ભારત પોતાના માલને દુબઈ કે વિયેતનામ જેવા મુક્ત વેપાર કરાર ધરાવતા દેશો મારફતે મોકલે તો પણ જો ઉત્પાદનમાં ‘મૂળ ભારતીય અથવા રશિયન ઇનપુટ’ માલૂમ પડે, તો અમેરિકી કસ્ટમ્સ સેકન્ડરી સેંક્શન્સ હેઠળ સમગ્ર શિપમેન્ટ પર ૧૦૦ ટકા ટેરિફ અને દંડ લાદી શકે છે. હા, તેનાથી બચવા માટે ‘રૂપિયા-રૂબલ’ સેટલમેન્ટ મિકેનિઝમથી બેંકિંગ પ્રતિબંધોથી બચી શકાય છે, પરંતુ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે મુક્ત વેપાર કરાર કરવા અથવા દ્વિપક્ષીય વાટાઘાટો જ એકમાત્ર કાનૂની માર્ગ છે.
આ સજોગોમાં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું “ઈન્ડિયા ફર્સ્ટ” અને ઉર્જા સુરક્ષા પ્રત્યેનું સ્ટેન્ડ વૈશ્વિક સ્તરે અત્યંત સરાહનીય અને વાજબી માનવામાં આવે છે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જાહેર કરેલા અધિકૃત નિવેદન મુજબ, ૧.૪ અબજ નાગરિકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારત સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. યુક્રેન યુદ્ધ બાદ જ્યારે પશ્ચિમી દેશોએ રશિયન તેલ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ભારતે ડિસ્કાઉન્ટેડ દર (સસ્તા ભાવે) રશિયન ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવના રિપોર્ટ અનુસાર, ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૬માં રશિયા પાસેથી $૪૦.૮ બિલિયનનું ક્રૂડ ખરીદ્યું હતું. જો ભારતે સસ્તું રશિયન તેલ ન ખરીદ્યું હોત, તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જાત અને ફુગાવો બેકાબૂ બની ગયો હોત. 
રશિયા તરફ ઝૂકવાથી ભારતને થયેલા ફાયદા
ભારતીય વાણિજ્ય મંત્રાલય અને જીટીઆરઆઈના આંકડા અનુસાર, રશિયન ક્રૂડ પર મળેલા ડિસ્કાઉન્ટથી ભારતે બિલિયનો ડોલરની વિદેશી મુદ્રા-હૂંડિયામણ બચાવ્યું છે, જેનાથી દેશમાં ફુગાવો અંકુશમાં રહ્યો છે. વાણિજ્ય મંત્રાલયના સપ્ટેમ્બર ૨૦૨૬ના ડેટા અનુસાર, ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $૭૦ બિલિયનની ઐતિહાસિક સપાટીએ પહોંચવા આવ્યો છે. 
વિશ્વના રાજકારણ પર અસર
વડાપ્રધાન મોદીના નિર્ણયથી માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક ક્રૂડ બજારમાં તીવ્ર ઉછાળો આવતો અટક્યો હતો. જો ભારત જેવો વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ રશિયા પાસેથી ખરીદી બંધ કરીને ગલ્ફ દેશો તરફ વળ્યો હોત તો વૈશ્વિક સ્તરે તેલનો ભાવ $૧૫૦ પ્રતિ બેરલને વટાવી ગયો હોત, જે અમેરિકી અને યુરોપીયન અર્થતંત્ર માટે પણ વિનાશક સાબિત થયો હોત. પશ્ચિમના દબાણ છતાં ભારતે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખી છે. તેનાથી બ્રિક્સ અને ગ્લોબલ સાઉથમાં ભારતની એક મજબૂત અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકેની છબી વધુ દ્રઢ બની છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરી શકાય?

Read Next

આજે નિફ્ટી ઇન્ટ્રા ડેમાં શું કરી શકાય?

Most Popular