• 17 September, 2026 - 1:10 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પશુઓ માટેની બે એન્ટીમાઇક્રોબાયલ્સ દવાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પશુઓ માટે ઉપયોગમાં લેવાતી બે એન્ટીમાઇક્રોબાયલ્સ દવાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો
પશુઓમાં કાર્બોક્સીપેનિસિલિન્સ અને ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ ધરાવતી એન્ટીમાઇક્રોબાયલ્સ દવાઓના ઉપયોગથી માનવો માટે જોખમ
પશુપાલન અને ડેરી વિભાગે કાર્બોક્સીપેનિસિલિન્સ અને ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝના ઉત્પાદન, આયાત, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી
અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર હિતમાં પશુ ઉપયોગ માટે એન્ટિબાયોટિક્સ કાર્બોક્સીપેનિસિલિન્સ (carboxypenicillins) અને ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ (phosphonic acid derivatives) તેમ જ તેની ફોર્મ્યુલેશન પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ આપતું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે પશુઓમાં આ દવાઓનો ઉપયોગ માનવો માટે જોખમ ઊભું કરી શકે છે. આ પગલું ગયા વર્ષે ૨૩ સપ્ટેમ્બરે મંત્રાલય દ્વારા પશુઓમાં ૩૪ એન્ટીમાઇક્રોબાયલ્સના ઉપયોગ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને અનુરૂપ છે, જે યુરોપિયન યુનિયનના દેશો દ્વારા લેવાયેલા પગલાં જેવું જ છે.
મંત્રાલયે તાજેતરના ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને ખાતરી થઈ છે કે પશુઓમાં કાર્બોક્સીપેનિસિલિન્સ અને ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ ધરાવતી એન્ટીમાઇક્રોબાયલ્સ દવાઓના ઉપયોગથી માનવો માટે જોખમ રહેલું છે. મંત્રાલયે એ પણ નોંધ્યું હતું કે પશુ ઉપયોગ માટે આ દવાઓના સુરક્ષિત વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જાહેર હિતમાં કાર્બોક્સીપેનિસિલિન્સ અને ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ ધરાવતા તમામ એન્ટીમાઇક્રોબાયલ્સની આયાત, ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવો જરૂરી અને યોગ્ય છે તે બાબતે કેન્દ્ર સરકાર સંતુષ્ટ છે.
ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથેના પરામર્શ બાદ આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ભારતના ગેઝેટની નકલો જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાની તારીખથી ૩૦ દિવસનો સમયગાળો પૂરો થયા પછી આ પ્રસ્તાવ વિચારણા માટે લેવાની યોજના છે. મંત્રાલયે આ નિર્ધારિત સમયગાળામાં કોઈપણ વ્યક્તિ પાસેથી વાંધા અને સૂચનો પણ મંગાવ્યા છે. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાયેલી તેની ૯૩મી બેઠકમાં, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) ની ભલામણોને પગલે ખાદ્ય-ઉત્પાદક પશુઓમાં વૃદ્ધિના હેતુઓ અથવા ઉત્પાદન વધારવા માટે આ દવાઓ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર વિચારણા કરી હતી.
ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે જણાવ્યું હતું કે, “DTAB એ આ બાબતે વિચાર-વિમર્શ કર્યો હતો અને પશુપાલન અને ડેરી વિભાગ-DAHDની ભલામણો સાથે સંમત થઈને પશુ ઉપયોગ માટે કાર્બોક્સીપેનિસિલિન્સ અને ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝના ઉત્પાદન, આયાત, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.” આ એન્ટિબાયોટિક્સ DTAB દ્વારા પ્રતિબંધ માટે વિચારવામાં આવેલી કુલ ૩૭ એન્ટીમાઇક્રોબાયલૌષધીય પ્રોડક્ટ્સનો ભાગ હતી, જે કમિશન ઇમ્પ્લિમેન્ટિંગ રેગ્યુલેશનમાં દર્શાવ્યા મુજબ ખાદ્ય-ઉત્પાદક પશુઓમાં વૃદ્ધિ અથવા ઉત્પાદન વધારવા માટે વપરાતી હતી, જ્યારે આ દવાઓ માનવોમાં અમુક ચોક્કસ ચેપની સારવાર માટે અનામત રાખવામાં આવી છે.
આ દવાઓને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન-સીડીએસસીઓ દ્વારા પશુ ચિકિત્સામાં રોગોની સારવાર માટે પણ મંજૂરી આપવામાં આવી ન હતી.  ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે શરૂઆતના તબક્કામાં ૩૪ એન્ટીમાઇક્રોબાયલ્સના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી, જ્યારે ત્રણ એન્ટીમાઇક્રોબાયલ્સ – કાર્બોક્સીપેનિસિલિન્સ, બીટા-લેક્ટેમેઝ ઇનહિબિટર્સ સાથે સેફાલોસ્પોરિન્સનું મિશ્રણ અને ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ પરના નિર્ણયને મુલતવી રાખ્યો હતો.
અગાઉ પ્રતિબંધ હેઠળ મૂકેલી દવાઓ
પશુ ઉપયોગ માટે પ્રતિબંધિત ૩૪ દવાઓની યાદીમાં ૧૫ એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે જેમાં યુરેઇડોપેનિસિલિન્સ, સેફ્ટોબિપ્રોલ, સેફ્ટારોલિન, સિડેરોફોર સેફાલોસ્પોરિન્સ, કાર્બાપેનેમ્સ, પેનેમ્સ, મોનોબેક્ટમ્સ, ગ્લાયકોપેપ્ટાઇડ્સ, લિપોપેપ્ટાઇડ્સ, ઓક્સાઝોલિડિનોન્સ, ફિડાક્સોમિસિન, પ્લાઝોમિસિન, ઇરાવાસાયક્લિન અને ઓમાડાસાયક્લિનનો સમાવેશ થાય છે. ૧૮ એન્ટિવાયરલ્સની બીજી યાદીમાં અમાન્ટાડીન, બલોક્સાવિર મારબોક્સિલ, ફાવિપિરાવિર, ગેલિડેસિવિર, લેક્ટિમિડોમાયસિન, લેનિનામિવિર, મેથિસાઝોન, મોલ્નુપિરાવિર, ઓસેલ્ટામિવિર, રિબાવિરિન વગેરે નોટિફિકેશનનો ભાગ છે. આ ઉપરાંત, એન્ટીપ્રોટોઝોઅલ દ્રગ નિટાઝોક્સાનાઇડ પર પણ પશુઓમાં ઉપયોગ માટે નોટિફિકેશન સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડે તે સમયે ભલામણ કરી હતી કે DAHD એ યોગ્ય નિર્ણય માટે DTAB ની સ્પષ્ટ ભલામણો સાથે વહેલામાં વહેલી તકે આ ત્રણ એન્ટીમાઇક્રોબાયલ્સ પર રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. આ ભલામણ પછી જ DAHD એ પશુ ઉપયોગમાંથી કાર્બોક્સીપેનિસિલિન્સ અને ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ પર પ્રતિબંધ મૂકવાની તેની ભલામણ રજૂ કરી હતી.
કમિશન ઇમ્પ્લિમેન્ટિંગ રેગ્યુલેશન 2022/1255એ દવાઓની યાદી આપતી વખતે જણાવ્યું હતું કે, “અમુક એન્ટીમાઇક્રોબાયલ દવાઓ અથવા તેના જૂથોને માનવ દવામાં તેમની અસરકારકતાને વધુ સારી રીતે જાળવી રાખવા અને એન્ટીમાઇક્રોબાયલ રેસિસ્ટન્સ સામેની લડાઈને ટેકો આપવાના હેતુથી માનવોમાં ચોક્કસ ચેપની સારવાર માટે અનામત રાખવા જોઈએ, જે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. યુરોપિયન યુનિયનના નિયમોમાં ઉલ્લેખિત સ્ટેન્ડિંગ કમિટી ઓન વેટરનરી મેડિસિનલ પ્રોડક્ટ્સનો અભિપ્રાય આ મુજબનો જ છે. અગાઉ અહેવાલ આપ્યા મુજબ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વર્ષ ૨૦૨૪ ના અંતમાં નોન-સ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ (NSAID) નાઇમ્સુલાઇડ (nimesulide) અને પશુ ઉપયોગ માટે તેના ફોર્મ્યુલેશનના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તે પશુઓ માટે જોખમી હોવાનું જણાયું હતું.

Read Previous

ગુજરાતના પશુપાલકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે આકરાં પગલાં લેવા  સરકારે કાયદા બનાવ્યો

Most Popular