• 17 September, 2026 - 1:10 PM

ગુજરાતના પશુપાલકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે આકરાં પગલાં લેવા  સરકારે કાયદા બનાવ્યો

ગુજરાતના પશુપાલકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે આકરાં પગલાં લેવા  સરકારે કાયદા બનાવ્યો

સમૃદ્ધ પશુપાલક – સક્ષમ ગ્રામીણ અર્થતંત્ર’ના ભાજપ સરકારના સંકલ્પ સાકાર કરતું વિધેયક પસાર કરવામાં આવ્યું: ૧૦૬ લાખથી વધુ ભેંસો, ૯૬ લાખથી વધુ ગાયો તેમજ ઘેટાં-બકરાં અને મરઘાં-બતકાં ધરાવતા લાખો પશુપાલક પરિવારોને સીધો આર્થિક અને આરોગ્ય વિષયક લાભ થશે.

કાયદો ઉદ્યોગવિરોધી નથી, પરંતુ ગુણવત્તા સાથે સમજૂતી કરનારાઓ સામે લાલ આંખ કરવા માટે લાવવામાં આવ્યો છેઃ જીતુ વાઘાણી

ગાંધીનગરઃ પશુપાલકો સાથે છેતરપિંડી કરનારા અને અનીતિથી ભેળસેળયુક્ત આહાર બનાવનારા તત્વો સામે સરકાર કડક હાથે કામ લેવામાં આવશે. નવા કાયદા અંગે બોલતા ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, “આ કાયદો ઉદ્યોગવિરોધી નથી, પરંતુ ગુણવત્તા સાથે સમજૂતી કરનારાઓ સામે લાલ આંખ કરવા માટે લાવવામાં આવ્યો છે. વેપારીઓ અને ઉત્પાદકોને કોઈ અન્યાય કે કનડગત ન થાય તે માટે લાયસન્સની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને ફેસલેસ રાખવામાં આવી છે.”

પશુપાલકો, ડેરી સેક્ટરને લાભ થશે

આ કાયદો પસાર થતાં જ રાજ્યભરના પશુપાલકો, મરઘાં પાલકો અને સહકારી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓએ તેને ખૂબ જ હકારાત્મક રીતે આવકાર્યો છે. સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત તથા અન્ય ડેરી સંઘોએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે: “ભેળસેળયુક્ત પશુ આહાર બનાવનારાઓ સામે સરકારે લાલ આંખ કરીને પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. બહારના રાજ્યો કે વિદેશથી આવતા આહાર પર પણ આ નિયમો લાગુ પડવાથી પશુપાલકોને વાજબી કિંમતે શુદ્ધ આહાર મળી રહેશે.” સહકારી મંડળીઓના મોભીઓનું કહેવું છે કે કાયદાના કારણે માર્કેટમાંથી નકલી અને કેમિકલયુક્ત સસ્તો ખાણ-દાણ બનાવતા અસામાજિક તત્વો દૂર થશે, જેથી સાચી કિંમતે શુદ્ધ પશુ આહાર ઉત્પાદિત કરતી ડેરીઓ અને કંપનીઓને પ્રોત્સાહન મળશે.

કોને કેટલો અને કેવી રીતે ફાયદો થશે?

નવા કાયદાનો પશુપાલકો અને ખેડૂતોને સૌથી વધુ લાભ મળશે. એક, તેનાથી પશુઓના દૂધ ઉત્પાદનમાં વધારો થશે. શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળવાથી ગાય-ભેંસની દૂધ આપવાની ક્ષમતા અને દૂધમાંના ફેટના પ્રમાણમાં સુધારો થશે. બીજું, તેનાથી આર્થિક નુકસાનમાંથી રાહત મળશે. અગાઉ ભેળસેળવાળા ખોરાકથી પશુઓ બીમાર પડતાં કે મૃત્યુ પામતાં હતા. તેથી પશુપાલકોને હજારો રૂપિયાનું નુકસાન થતું હતું. હવે પશુપાલકોને આર્થિક સુરક્ષા મળશે. ત્રીજું, પશુ આરોગ્યની જાળવણી કરવી સરળ બનશે. પ્રતિબંધિત એન્ટિબાયોટિક્સ કે ઝેરી રસાયણોયુક્ત ખાણથી પશુઓની રોગપ્રતિકારક શક્તિ બગડતી અટકશે. ચોથું, પ્રમાણિક ઉત્પાદકો અને મિલ માલિકોને બજારમાં અયોગ્ય સ્પર્ધાનો સામનો કરવો પડશે નહિ. અગાઉ ગુણવત્તા વગરનો સસ્તો અને ભેળસેળયુક્ત પશુ આહાર વેચનારા વેપારીઓ કારણે સારો આહાર બનાવતા અસલી ઉત્પાદકોને નુકસાન થતું હતું. કાયદાથી ભેળસેળિયા તત્વો માર્કેટમાંથી બહાર થશે. પાંચમું, ગુજરાતના બ્રાન્ડ નેમનો વિકાસ થશે. શુદ્ધ પશુ આહારના ઉત્પાદનથી ગુજરાતના ડેરી અને ફીડ ઉદ્યોગની ઈમેજ દેશ-વિદેશમાં સુધરશે, જેથી અન્ય રાજ્યો અને દેશોમાં નિકાસ વધશે.

આડકતરી રીતે સામાન્ય નાગરિકોને પણ લાભ થશે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ નક્કી કરી આપેલા વન હેલ્થના એટલે કે પશુઓની સમાન તન્દુરસ્તીના અભિગમ મુજબ જો પશુઓ ઝેરી કે ભેળસેળવાળો ખોરાક ખાશે અને તેનું દૂધ પીવાથી કે માંસ-ઈંડાંના વપરાશથી તે ઝેરી તત્વો માનવ શરીરમાં પણ દાખલ થાય છે. શુદ્ધ પશુ આહારથી માનવ સ્વાસ્થ્યનું પણ રક્ષણ થશે. સામાન્ય નાગરિકને કાનૂની રક્ષણ મળશે. પશુ મૃત્યુના કિસ્સામાં ૧૦ વર્ષ સુધીની કડક જેલની જોગવાઈથી ગુનાહિત ભેળસેળ કરનારા તત્વોમાં ડર ઊભો થશે. બીજું, પારદર્શિતા વધશે. ડિજિટલ લાયસન્સિંગ અને બીઆઈએસ તથા આઈસીએઆરના સ્ટાન્ડર્ડથી આહારની ગુણવત્તા સુનિશ્ચિત થશે. ત્રીજું, નાના પશુપાલકોને રાહત મળશે. ઘરે પશુ ખાણ બનાવતા ખેડૂતોને લાયસન્સ પ્રક્રિયામાંથી બહાર રાખીને અમલદારશાહીથી બચાવવામાં આવ્યા છે.

ગેરફાયદા અને અમલીકરણના પડકારો

નાના અને ગ્રામીણ કક્ષાના પશુ આહાર વેપારીઓ માટે લાયસન્સિંગ મેળવવું અને નિયમિત લેબ ટેસ્ટિંગ કરાવવાનો ખર્ચ થોડો વધી શકે છે. તદુપરાંત ઇન્સ્પેક્ટર રાજનો ભય વધશે. જો અધિકારીઓ દ્વારા સેમ્પલિંગની પ્રક્રિયા યોગ્ય રીતે ન થાય, તો પ્રમાણિક વેપારીઓને પણ વહીવટી મુશ્કેલીઓનો સામના કરવો પડી શકે છે જોકે ઓનલાઇન સિસ્ટમથી આ ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તદુપરાંત લેબોરેટરી નેટવર્કની જરૂરિયાત વધી રહ છે. સમગ્ર રાજ્યમાં આહારનું નિયમિત ટેસ્ટિંગ કરવા માટે પૂરતા પ્રમાણમાં સરકારી ચકાસણી લેબ અને નિષ્ણાતો હોવા જરૂરી બનશે.

સામાન્ય પશુપાલકો અને ખેડૂતોએ નવા પસાર થયેલા વિધેયક અંગે પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે તેનાથી આર્થિક રાહત મળશે અને સલામતી વધશે. અગાઉ નકલી આહાર ખાવાથી ગાય-ભેંસ બીમાર પડતાં હતા અને અકાળે મૃત્યુ પામતી હતી. તેમ જ તેમના દૂધમાં ફેટનું પ્રમાણ ઘટી જતું હતું. પશુપાલકોએ આ કાયદાને તેમની ‘આર્થિક સુરક્ષાની ગેરંટી’ તરીકે ગણાવી છે.

પોતાના જ પશુઓ માટે ઘરે જ ચાર કે આહાર બનાવતા નાના પશુપાલકોને લાયસન્સમાંથી મુક્તિ આપવાના નિર્ણયથી ખેડૂતોએ સરકારી બાબુશાહીથી બચવા બદલ રાહત અનુભવી છે. મરઘાં-બતકાં ઊછેર કરનારાઓ પણ નવા કાયદાથી ખુશ થયા છે. મરઘાંપાલકો માટે ભેળસેળયુક્ત ચણના કારણે ચિકન અને ઈંડાંની ગુણવત્તા પર અસર પડતી હતી અને ચેપનો ડર રહેતો હતો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને આઈસીએઆરના ધોરણો મુજબ ચણ મળવાથી પૌલ્ટ્રી ફાર્મમાં મૃત્યુદર ઘટે તેવી આશા વધી ગઈ છે.

સપ્ટેમ્બર ૨૦૨૬માં ગુજરાત વિધાનસભા દ્વારા પશુપાલકો, મરઘા પાલકો અને પશુ આહાર ઉત્પાદકો માટે ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ (ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ગુણવત્તા નિયંત્રણ) વિધેયક – ૨૦૨૬’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. નવા વિધેયક અંગે બોલતા ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક – ૨૦૨૬’ અંગે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન અંગેનું આ વિધેયક વિશ્વ આરોગ્ય સંસ્થાના સમાન તન્દુરસ્તીના અભિગમ પર આધારિત છે. ‘તંદુરસ્ત પશુ – સમૃદ્ધ પશુપાલક – સક્ષમ ગ્રામીણ અર્થતંત્ર’ એ અમારી ભાજપ સરકારનો મુખ્ય સંકલ્પ છે. જે કાયદાનું પાલન કરે છે તેવા નીતિમત્તાવાળા ઉત્પાદકો અને પશુપાલકોનું રક્ષણ કરવું એ સરકારની પ્રાથમિકતા છે, પરંતુ પશુપાલકો સાથે છેતરપિંડી કરનારા અને અનીતિથી ભેળસેળયુક્ત આહાર બનાવનારા તત્વો સામે સરકાર કડક હાથે કામ લેવામાં આવશે.”

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે ગૃહમાં સર્વાનુમતે બિલ પસાર થયા બાદ અધ્યક્ષશ્રીએ પણ પશુઓના કલ્યાણ અને આરોગ્ય રક્ષણ માટે આ સક્રિય પગલું ભરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણી અભિનંદનને પાત્ર છે. આ કાયદાથી રાજ્યના ૧૦૬ લાખથી વધુ ભેંસો, ૯૬ લાખથી વધુ ગાયો તેમજ ઘેટાં-બકરાં અને મરઘાં-બતકાં ધરાવતા લાખો પશુપાલક પરિવારોને સીધો આર્થિક અને આરોગ્ય વિષયક લાભ થશે. શુદ્ધ આહાર મળવાથી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધશે, જે અંતતઃ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે.

કાયદા હેઠળ લાયસન્સ લેવું ફરજિયાત  

એક,પશુ આહાર, મરઘાં-ચણ કે ખનિજ મિશ્રણનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ કરતા તમામ એકમો માટે ઓનલાઇન લાયસન્સ લેવું ફરજિયાત બની જશે. બે, પશુપાલન વિભાગ દ્વારા લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણપણે ‘ઓનલાઇન અને ફેસલેસ’ રાખવામાં આવશે જેથી વેપારીઓને હેરાનગતિ ઓછી થઈ જશે, ત્રણ, ગુણવત્તા માટેના ચોક્કસ માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે. પશુ આહાર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના ધોરણો મુજબ હોવો આવશ્યક છે. ચાર, સરકારી અધિકારીઓ દ્વારા સમયાંતરે પશુ આહારના નમૂનાઓનું લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવશે. પાંચ, ખેડૂતો કે પશુપાલકો પોતાના પશુઓ માટે ઘરે બનાવતા આહાર તથા સંશોધન તુ માટે ઉત્પાદિત થતા આહારને લાયસન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સજા અને દંડની કડક જોગવાઈઓ

ગુનાનો પ્રકાર સજા અને દંડની જોગવાઈ
સબ-સ્ટેન્ડર્ડ (હલકી ગુણવત્તાનો) આહાર ૧ વર્ષ સુધી લાયસન્સ સસ્પેન્ડ અને રૂ. ૫ લાખ સુધીનો દંડ.
ભ્રામક લેબલિંગ / મિસબ્રાન્ડિંગ ૩ વર્ષ સુધી લાયસન્સ સસ્પેન્ડ અને રૂ. ૫ લાખ સુધીનો દંડ.
ભેળસેળવાળો આહાર (પશુનું મૃત્યુ ન થાય તો) લાયસન્સ રદ, ૧ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. ૫ લાખ સુધીનો દંડ.
ભેળસેળવાળા આહારથી પશુનું મૃત્યુ થાય તો લાયસન્સ રદ, ૭ થી ૧૦ વર્ષ સુધીની કડક જેલની સજા અને રૂ. ૧૦ લાખ સુધીનો દંડ.

Read Previous

આજે નિફ્ટી સ્પોટ ઇન્ટ્રા ડેમાં શું થઈ શકે?

Read Next

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પશુઓ માટેની બે એન્ટીમાઇક્રોબાયલ્સ દવાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ

Most Popular